
ખ્યાંતિકાંડ કેસમાં પાછલા એક મહિનાથી ફરાર રાજશ્રી કોઠારીની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી લીધી છે. હોસ્પિટલના પાર્ટનર એવા રાજશ્રીને રાજસ્થાનથી પકડી પાડવામાં આવ્યા છે. જણાવી દઇએ કે, આ કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અત્યાર સુધીમાં સાત આરોપીઓને ઝડપી પાડ્યા છે. જોકે, હજું પણ કાર્તિક પટેલ ફરાર છે, જે વિદેશમાં હોવાની માહિતી સામે આવી રહી છે.
ખ્યાતિકાંડ મામલે છેલ્લા એક મહિનાથી ફરાર આરોપી રાજશ્રી કોઠારી દ્વારા અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં આગોતરા જામીન અરજી કરવામાં આવી હતી, જે કોર્ટે 5 ડિસેમ્બરે ફગાવી દીધી હતી. ક્રાઈમ બ્રાન્ચનાં સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, છેલ્લા ઘણા સમયથી રાજશ્રી કોઠારી અને કાર્તિક પટેલને શોધવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા હતા, જેમાં અલગ અલગ પક્ષો દ્વારા આગોતરા જામીનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
બીજી તરફ રાજશ્રી કોઠારી ખ્યાતિ હોસ્પિટલમાં ડાયરેક્ટર તરીકે ફરજ બજાવતી હતી અને તે આ હોસ્પિટલના આખા કૌભાંડમાં કઈ રીતની સામેલ હતી એ અંગેની તપાસ હવે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ માટે મહત્ત્વની થઈ ગઈ છે. રાજશ્રી કોઠારી આટલા સમય સુધી કોને મળી હતી અને તેને મદદ કરવા માટે ઘણા બધા લોકોએ પ્રયાસ કર્યો હોય એવું પણ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને જાણવા મળ્યું છે.
આ પણ વાંચો- પુષ્પા ફિલ્મમાં ચંદન ચોર પકડાય કે નહીં પરંતુ હકીકતમાં તો આંધ્ર પ્રદેશની પોલીસ પાટણ સુધી પહોંચી ગઈ
તે છેલ્લા ઘણા સમયથી પોતાના કોન્ટેક્ટ બંધ કરીને રાજસ્થાનની અલગ અલગ જગ્યાએ ફરતી હોવાનું જાણવા મળ્યું છે. આ સમગ્ર પ્રકરણમાં અગાઉ પણ જ્યારે આરોપીઓ પકડાયા ત્યારે પણ રાજશ્રી કોઠારીને એ વિશેની જાણ હતી કે આરોપીઓ પકડાયા છે, તેથી તેને બચવા માટે ઘણા લોકોએ મદદ કરી હોવાની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને શંકા છે. આ સમગ્ર મામલે હવે વધુ ખુલાસા થાય એવી શક્યતા છે.
ખ્યાતિકાંડના ઝડપાયેલા આરોપીઓ
ડો. પ્રશાંત વઝીરાણી
ચિરાગ હીરાસિંહ બગીસિંહ રાજપૂત
મિલિન્દ કનુભાઈ અમરતલાલ પટેલ
રાહુલ રાજેન્દ્રકુમાર શાંતિલાલ જૈન
પ્રતીક યોગેશભાઇ હીરાલાલ ભટ્ટ
પંકિલ હસમુખભાઈ મોહનભાઈ પટેલ
ડો. સંજય પટોળિયા
રાજશ્રી કોઠારી
ખ્યાતિ હોસ્પિટલમાં કરવામાં આવતા હતા લોકોના જીવ સાથે ચેડા
અમદાવાદના એસજી હાઈવે પર આવેલી ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં 11 નવેમ્બરના રોજ કડીના બોરીસણા ગામના 19 લોકોની એન્જિયોગ્રાફી અને એ પૈકીના 7 લોકોની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી, જેમાંથી બે દર્દીનાં મોત થતાં હોસ્પિટલ પર હોબાળો થયો હતો. ખ્યાતિ હોસ્પિટલના સંચાલકો અને તબીબો દ્વારા PMJAY યોજનાનો લાભ લેવા માટે લોકોને ઓપરેશનની જરૂર ન હોવા છતાં ખોટી રીતે કરી નાખ્યાં હોવાનું સામે આવ્યું હતું.
આ મામલે ફરિયાદ નોંધાયા બાદ પ્રથમ તમામ લોકોના ઓપરેશ કરનારા ડો. પ્રશાંત વઝીરાણીની ધરપકડ કરવામાં આવી હતી. તેના રિમાન્ડ પૂર્ણ થતાં તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયો હતો. એ બાદ ક્રાઈમ બ્રાન્ચે એક બાદ એક એમ આઠ આરોપીને દબોચી લીધા છે, જ્યારે કાર્તિક પટેલ હજી પણ ફરાર છે. જેનું છેલ્લુ લોકેશન દુબઈમાં મળ્યું હતું.
આ પણ વાંચો- એક વખત ફરીથી ખેડૂતોનું શંભુ બોર્ડર પર ચક્કાજામ; ઇન્ટરનેટ સેવાઓ બંધ








