
Sagbara Farmers Protest: સાગબારાના આદિવાસી ખેડૂતો દ્વારા જમીનના હક અને ખેતી કરવાની મંજૂરી માટે કરવામાં આવેલા આંદોલન બાદ મામલો ફરી ગરમાયો છે. ખેડૂતો 24થી 25 દિવસ સુધી ધરણા પર બેઠા હતા. આ દરમિયાન રાજ્ય સરકારના બે મંત્રીઓ સ્થળ પર પહોંચ્યા હતા અને ખેડૂતોના 14 મુદ્દાઓ અંગે ચર્ચા કર્યા બાદ 90 દિવસની અંદર સમસ્યાનો ઉકેલ લાવી સનદ આપવાની ખાતરી આપી હતી. આશ્વાસન બાદ ખેડૂતોના ઉપવાસ અને ધરણા પૂર્ણ કરાવવામાં આવ્યા હતા.
ખેડૂતોનું કહેવું છે કે સમાધાન બાદ બીજા જ દિવસે જ્યારે તેઓ પોતાની જમીન પર ખેતી કરવા પહોંચ્યા ત્યારે વન વિભાગના અધિકારીઓએ તેમને રોક્યા હતા. જેના કારણે ફરીથી ખેડૂતો અને વન વિભાગ વચ્ચે બબાલની સ્થિતિ સર્જાઈ હતી.
વર્ષોથી ખેતી કરતા હોવાનો ખેડૂતોનો દાવો
સાગબારા વિસ્તારના ખેડૂતોનો દાવો છે કે તેઓ ઉમરપાળાની જમીન પર વર્ષોથી ખેતી કરી રહ્યા છે. કેટલાક ખેડૂતો 2002થી પણ પહેલાંથી ત્યાં ખેતી કરતા હોવાનો દાવો કરે છે. 2008માં વન અધિકાર કાયદો આવ્યા બાદ તેમણે પોતાના જમીનના દાવા માટે અરજીઓ કરી હતી. કેટલાક ખેડૂતોને સનદ મળી હોવાનું પણ જણાવાયું છે, જ્યારે અનેક દાવાઓ હજુ પેન્ડિંગ હોવાનું ખેડૂતોનું કહેવું છે.
ખેડૂતોનો પ્રશ્ન છે કે જ્યારે તેમના દાવા હજુ પેન્ડિંગ છે અને તેઓ લાંબા સમયથી જમીન પર ખેતી કરતા આવ્યા છે, ત્યારે તેમને ખેતી કરતા રોકવામાં કેમ આવે છે?
ખેતી રોકાતા પાક અને પરિવારની ચિંતા
ખેડૂત આગેવાનોનું કહેવું છે કે છેલ્લા બે વર્ષથી અનેક ખેડૂતો ખેતી કરી શક્યા નથી. હવે ફરી ખેતીની સિઝન ચાલી રહી છે ત્યારે જો 90 દિવસ સુધી રાહ જોવી પડે તો પાક ક્યારે ઉગાડશે અને પરિવારોનું ગુજરાન કેવી રીતે ચાલશે તે મોટો પ્રશ્ન છે.
એક ખેડૂત આગેવાને જણાવ્યું કે તેઓએ તુવેરનું વાવેતર કર્યું છે, પરંતુ પશુઓ દ્વારા પાકને નુકસાન થવાની તથા વન વિભાગના કર્મચારીઓ દ્વારા ખેતીમાં અવરોધ ઊભો કરવાની ફરિયાદ છે. ખેડૂતોના જણાવ્યા મુજબ અગાઉ કેટલાક ખેતરોમાં રહેલા ઝૂંપડાં પણ તોડી પાડવામાં આવ્યા હતા.
200થી 250 ઝૂંપડાં તોડવાના આક્ષેપ
આદિવાસી આગેવાનોના જણાવ્યા અનુસાર 2024માં અંદાજે 200થી 250 જેટલા ઝૂંપડાં તોડી પાડવામાં આવ્યા હતા. ખેડૂતોનો આરોપ છે કે તેમના ઘરવખરીનો સામાન, નળિયા, લાકડાં સહિતની વસ્તુઓ પણ હટાવવામાં આવી હતી. આ કાર્યવાહીથી અનેક પરિવારો મુશ્કેલીમાં મુકાયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
ખેડૂતોનું કહેવું છે કે તેઓ કોઈ કંપની કે ફેક્ટરી સ્થાપવા માટે જમીન માગતા નથી. તેમની એકમાત્ર માંગ છે કે જે જમીન પર તેઓ વર્ષોથી ખેતી કરે છે ત્યાં તેમને ખેતી કરવા દેવામાં આવે.
લીલાબેન વસાવાની તબિયત લથડી હતી
આંદોલન દરમિયાન ખેડૂત આગેવાન લીલાબેન વસાવા પણ ઉપવાસ પર બેઠા હતા. 25 દિવસ સુધી ચાલેલા આંદોલન દરમિયાન તેમની તબિયત લથડતાં તેમને રાજપીપળાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમના જણાવ્યા મુજબ ખેડૂતોની ખેતી, રોજગારી અને ખોરાકનો પ્રશ્ન ગંભીર બન્યો હોવાથી તેમણે આંદોલનનો માર્ગ અપનાવ્યો હતો.
તેમનો સવાલ છે કે જો સરકાર 90 દિવસમાં સનદ આપવાની વાત કરે છે તો ત્યાં સુધી ખેડૂતો શું કરશે? બે વર્ષથી ખેતી બંધ હોય અને હવે વધુ ત્રણ મહિના ખેતી ન કરી શકાય તો પરિવારોના જીવનનિર્વાહ અને બાળકોના શિક્ષણ સહિતના ખર્ચ કેવી રીતે ચાલશે?
વન અધિકાર અધિનિયમનો હવાલો આપી કાર્યવાહી સામે વાંધો
આદિવાસી આગેવાનો વન અધિકાર અધિનિયમ, 2006ની જોગવાઈઓનો હવાલો આપી રહ્યા છે. તેમનું કહેવું છે કે પેન્ડિંગ દાવાઓ ધરાવતા ખેડૂતો સામે તેમની જમીન પર વનીકરણ અથવા અન્ય પ્રકારની કાર્યવાહી ન થવી જોઈએ. તેમ છતાં વન વિભાગ દ્વારા ખેડૂતોને ખેતી કરતા અટકાવવામાં આવતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
અખિલ ભારતીય આદિવાસી વિકાસ પરિષદના યુવા પ્રમુખ ધનરાજ દલપતસિંહ વસાવાએ પણ આ મુદ્દે સરકારને આ સમાધાનની શરતોનું પાલન કરવાની માંગ કરી છે.
ગીર ફાઉન્ડેશન અને અભયારણ્યને લઈને પણ સવાલો
ખેડૂત આગેવાનો દ્વારા ગીર ફાઉન્ડેશન અને અભયારણ્ય સંબંધિત પ્રક્રિયા અંગે પણ સવાલો ઉઠાવવામાં આવ્યા છે. તેમના દાવા મુજબ 2018 દરમિયાન કેટલાક નિર્ણયો અને પ્રોજેક્ટો અંગે સ્થાનિક ખેડૂતોને યોગ્ય રીતે જાણ કરવામાં આવી નહોતી. વર્ષોથી જમીન પર રહેતા અને ખેતી કરતા લોકોને નોટિસ આપવામાં આવી હતી કે નહીં તે અંગે પણ પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે.
નવસારીમાં વિરોધ કરવાની ચીમકી
ખેડૂતોનું કહેવું છે કે જો તેમની ખેતી તાત્કાલિક શરૂ કરવા દેવામાં નહીં આવે અને તેમની સમસ્યાનો ઉકેલ નહીં આવે તો તેઓ વધુ મોટું આંદોલન કરી શકે છે. 8 તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવસારી આવવાના હોવાના સંદર્ભમાં સમગ્ર આદિવાસી પટ્ટાને એકત્ર કરી પોતાના હક અને ન્યાય માટે રજૂઆત કરવાની ચીમકી પણ આગેવાનો દ્વારા આપવામાં આવી છે.
હાલ ખેડૂતો એક તરફ સરકારની 90 દિવસમાં સનદ આપવાની ખાતરી અને બીજી તરફ જમીન પર ખેતી કરવા જતા વન વિભાગ દ્વારા રોકવામાં આવવાના આક્ષેપ વચ્ચે ફસાયા છે. સમાધાન બાદ થયેલી આ સ્થિતિમાં હવે સરકાર ખેડૂતોને ખેતી કરવાની મંજૂરી આપે છે કે નહીં અને 14 મુદ્દાના સમાધાનનો અમલ કેવી રીતે થાય છે તેના પર સૌની નજર છે.







