
Shiv Sena Rebellion History: મુંબઈના રાજકીય ગલિયારાઓમાં શિવસેનાનું નામ આવે એટલે મનમાં બાળાસાહેબ ઠાકરેનું પ્રચંડ વ્યક્તિત્વ અને રસ્તા પરના પ્રચંડ આંદોલનો યાદ આવે. પરંતુ, ૧૯૬૬માં સ્થાપિત થયેલી આ પાર્ટી આજે એક એવા વળાંક પર ઉભી છે, જ્યાં તેનો ભવ્ય ઈતિહાસ તેના અસ્તિત્વના કટોકટીના સમય સાથે સંઘર્ષ કરી રહ્યો છે. તાજેતરમાં શિવસેના (યુબીટી) ના છ સાંસદો—નાગેશ પાટીલ અષ્ટીકર, ઓમરાજે નિંબાળકર, સંજય દીના પાટીલ, સંજય દેશમુખ, સંજય જાધવ અને ભાવુસાહેબ વાકચૌરે—ના બળવાએ ઉદ્ધવ ઠાકરેની છાવણીમાં ફરી એકવાર સન્નાટો પાથરી દીધો છે. ૨૦૨૨માં એકનાથ શિંદેના બળવા પછી પાર્ટી બેફાટ રીતે વહેંચાઈ ગઈ હતી, જેમાં મૂળ નામ અને ચૂંટણી ચિન્હ શિંદે જૂથ પાસે જતું રહ્યું હતું. આજે જ્યારે આ છ સાંસદો ડેપ્યુટી સીએમ એકનાથ શિંદેના જૂથમાં સામેલ થયા છે, ત્યારે સવાલ એ થાય છે કે શું બાળાસાહેબની શિવસેના હવે માત્ર યાદોમાં જ રહી જશે? શિવસેનાનો આ કથિત ‘બળવાખોર’ ઈતિહાસ ઘણો જૂનો અને રસપ્રદ છે.
શરૂઆતનો વિરોધ: ૧૯૭૪માં બંડુ શિંગરેનો નિષ્ફળ પ્રયોગ
શિવસેનાના ઈતિહાસમાં બળવાની આ ગાથા ઘણી જૂની છે. ૧૯૭૦ના દાયકામાં જ્યારે બાળાસાહેબ ઠાકરે પાર્ટીને જમીન પરથી ઉઠાવીને રાજકીય મુખ્યધારામાં લાવવાના પ્રયત્ન કરી રહ્યા હતા, ત્યારે પહેલીવાર આંતરિક પડકાર આવ્યો. બંડુ શિંગરે નામના નેતાએ ૧૯૭૪માં ‘પ્રતિ શિવસેના’ નામની એક સમાંતર સંસ્થા બનાવી. આ બળવાનું કારણ હતું બાળાસાહેબનું તે સમયના કોંગ્રેસી નેતા રામરાવ આદિકને ટેકો આપવાનો નિર્ણય. શિંગરેને લાગ્યું કે ઠાકરે પોતાના સિદ્ધાંતો સાથે બાંધછોડ કરી રહ્યા છે. જો કે, આ બળવો સંગઠનાત્મક શક્તિના અભાવે કઈ ખાસ પ્રભાવ પાડી શક્યો નહીં અને કાળક્રમે શિંગરેનું નામ ઇતિહાસના પાનાઓમાં ખોવાઈ ગયું. આ ઘટનાએ બાળાસાહેબને શીખવ્યું કે પાર્ટીમાં સત્તાના કેન્દ્ર ઠાકરે પરિવાર જ હોવો જોઈએ.
છગન ભુજબળ: ઓબીસી મજબૂત અવાજનું સ્થળાંતર
૧૯૯૧માં જ્યારે છગન ભુજબલે બળવો કર્યો, ત્યારે શિવસેના માટે તે એક મોટો આંચકો હતો. બાળાસાહેબના સૌથી વિશ્વાસુ અને વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા તરીકે કામ કરી ચૂકેલા ભુજબળનું જવું એ વિચારધારાના ટકરાવ અને વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓનું પરિણામ હતું. ભુજબળ કોંગ્રેસમાં જોડાયા અને ત્યારબાદ ૧૯૯૯માં શરદ પવારની એનસીપીમાં સામેલ થઈને મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી બન્યા. તેમનો રાજકીય પ્રવાસ અવિરત રહ્યો છે; અજિત પવાર સાથે એનસીપીના ભાગલા વખતે પણ તેઓ તેમની સાથે ગયા. અત્યારે તેઓ મહારાષ્ટ્ર સરકારમાં કેબિનેટ મંત્રી છે, પરંતુ પાર્ટીની અંદરના પાવર ગેમમાં તેમને પણ અપેક્ષિત સફળતા મળી નથી. તેમનો લાંબો રાજકીય ઈતિહાસ એ વાતનો સાક્ષી છે કે શિવસેનામાંથી નીકળેલા નેતાઓએ પોતાની નવી ઓળખ માટે ઘણીવાર લાંબી કિંમત ચૂકવવી પડી છે.
નારાયણ રાણે: પૂર્વ મુખ્યમંત્રીનું લાંબુ પલાયન
૨૦૦૫માં જ્યારે નારાયણ રાણેને પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા, ત્યારે શિવસેનાના આંતરિક લોકશાહીના દંભ પર મોટો પ્રશ્ન ઊભો થયો હતો. બાળાસાહેબ ઠાકરે દ્વારા ઉદ્ધવ ઠાકરેને ઉત્તરાધિકારી જાહેર કરવાના નિર્ણયથી રાણે સંતુષ્ટ નહોતા. ૩૯ વર્ષના પાર્ટી સાથેના સંબંધ તોડીને રાણે પહેલા કોંગ્રેસમાં ગયા, ત્યાં મંત્રી બન્યા, પરંતુ મુખ્યમંત્રીનું પદ ન મળતા ફરી પોતાની પાર્ટી ‘સ્વાભિમાન પક્ષ’ બનાવી. અંતે ૨૦૧૯માં તેઓ ભાજપમાં જોડાયા અને કેન્દ્રમાં મંત્રી બન્યા. આજે તેમના પુત્રો નીલેશ અને નિતેશ પણ ભાજપની રાજનીતિનો મોટો હિસ્સો છે. રાણેનો કેસ દર્શાવે છે કે શિવસેનામાંથી નીકળેલા નેતાઓ ઘણીવાર ભાજપની મદદથી પોતાની નવી રાજકીય ઇનિંગ્સ શરૂ કરે છે.
રાજ ઠાકરે: વારસદારનો અલગ પથ અને સંઘર્ષ
રાજ ઠાકરેનું પાર્ટી છોડવું એ સૌથી ચોંકાવનારી ઘટના હતી. લાંબા સમય સુધી પિતરાઈ ભાઈ ઉદ્ધવ ઠાકરે સાથેના અણબનાવને કારણે રાજ ઠાકરેએ ૨૦૦૬માં મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) બનાવી. શરૂઆતમાં મુંબઈ, ઠાણે અને નાસિકમાં પાર્ટીએ સારી પકડ બનાવી પણ સમય જતાં તેનું વર્ચસ્વ ઘટતું ગયું. રાજ ઠાકરેનું વલણ સતત બદલાતું રહ્યું છે—એક સમયે કોંગ્રેસનું સમર્થન, તો બીજા સમયે મોદીનું બિનશરતી સમર્થન. ૨૦૨૬માં BMC ચૂંટણીઓ માટે તેમણે ફરી ઉદ્ધવ ઠાકરે સાથે હાથ મિલાવ્યા છે, જે દર્શાવે છે કે રાજકારણમાં કોઈ કાયમી દુશ્મન હોતું નથી. તેમની સભાઓમાં આજે પણ ભીડ ઉમટે છે, પણ રાજકીય સત્તા તેમને હજુ દૂર છે.
એકનાથ શિંદે અને પાર્ટીનું વિભાજન: અત્યાર સુધીનો સૌથી મોટો આંચકો
૨૦૨૨માં એકનાથ શિંદેનો બળવો એ શિવસેનાના ઈતિહાસનો સૌથી મોટો અને નિર્ણાયક વળાંક હતો. ઉદ્ધવ ઠાકરેના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન ૪૦થી વધુ ધારાસભ્યોને લઈને શિંદેએ જે રીતે બળવો કર્યો, તેણે શિવસેનાને બે ફાડમાં વહેંચી દીધી. શિંદે પાસે આજે પાર્ટીનું નામ અને પ્રતીક છે અને તેઓ ભાજપ સાથે મળીને સરકાર ચલાવી રહ્યા છે. આ બળવાએ સાબિત કર્યું કે શિવસેનામાં સંગઠનાત્મક માળખું હવે ઠાકરે પરિવાર કરતા વ્યક્તિગત વફાદારીઓ પર વધુ નિર્ભર છે. આજના છ સાંસદોના પલાયનથી ઉદ્ધવ ઠાકરે જૂથ વધુ નબળું પડ્યું છે. સતત થતા આ બળવાઓ એક ગંભીર પ્રશ્ન ઊભો કરે છે: શું શિવસેના પોતાની મૂળ વિચારધારા ગુમાવી ચૂકી છે, કે પછી બદલાતા રાજકીય યુગમાં ઠાકરે પરિવારનું વર્ચસ્વ હવે પડકારરૂપ બની ગયું છે?
આ પણ વાંચો:







