
ઉત્તર પ્રદેશના સહારનપુરમાં એક જનસેવા કેન્દ્રમાં લૂંટની ઘટનાએ વિસ્તારમાં ચકચાર મચાવી દીધી હતી. આ ઘટનાનો લાઈવ વીડિયો પણ સામે આવ્યો હતો. જેમાં 4 નકાબધારી બદમાશો જન સેવા કેન્દ્રમાં લૂંટ ચલાવતા જોઈ શકાય છે. આ ઘટના અંબેહાટા પીરના મુખ્ય બજારમાં એસબીઆઈ બેંકની સામે સ્થિત જન સેવા કેન્દ્રમાં બની હતી. આ પોલીસ સ્ટેશન નાકુર વિસ્તારમાં આવે છે.
ત્યારે આજે 4 આરોપીમાંથી એક આરોપીએ X પર બીજો વિડિયો શરે કરી આચરેલા ગુનાની સ્પષ્ટતા કરી રહ્યો છે. આરોપીએ વિડિયો મારફતે સ્વીકાર્યું છે કે 1.50 લાખની લૂંટ થઈ હોવાની ઓપરેટરે ફરિયાદ કરી છે. જો કે આરોપીએ કહ્યું કે બેગમાંથી માત્ર 6,900 રૂપિયા મળ્યા છે. આ ઘટનામાં 3 આરોપીઓને જેલભેગા કર્યા છે. વિડિયો વાઈરલ કરનાર લૂંટારુએ કબૂલ્યું છે કે તે કુલ 6 શખ્સો હતા. 4 લોકો જનસેવા કેન્દ્રમાં ઘુસ્યા હતા અને 2 લોકો બહાર હતા. જોકે ડરેલા એક આરોપીએ તમામ ગુનાઓ વિડિયો મારફતે સ્વીકાર્યા હોવાનું લાગી રહ્યું છે. આ રીતે લૂંટારુએ પોતાનો ગુનાઓ કબૂલતાં વિડિયો વાઈરલ કરતાં લોકોમાં પણ અચરજ છે.
શું છે સમગ્ર મામલો?
હકીકતમાં, 21મી ડિસેમ્બરની રાત્રે બે બાઇક પર આવેલા 4 બદમાશોએ જનસેવા કેન્દ્રમાં ઘૂસીને ઓપરેટર અને કર્મચારીઓને બંદૂકની અણીએ બંધક બનાવ્યા હતા. વીડિયોમાં જોવા મળે છે કે તમામ બદમાશોએ ચહેરા ઢાંકેલા હતા. તેની પાસે પિસ્તોલ હતી, જે તેમણે ઓપરેટરને બતાવી અને તેને ધમકી આપી. ત્યારબાદ તેઓ આશરે રૂ.1.50 લાખ અને મોબાઈલ ફોનની લૂંટ ચલાવી નાસી છૂટ્યા હતા.
ઘટના સમયે જનસેવા કેન્દ્રમાં હાજર રહેલા શુભમ જૈને જણાવ્યું કે, બદમાશોએ પહેલા તેનો મોબાઈલ છીનવી લીધો જેથી તે પોલીસને ફોન ન કરી શકે. આ પછી બદમાશો પૈસા લઈને ત્યાંથી ચાલ્યા ગયા. શુભમે કારમાં તેમનો પીછો કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બદમાશો નાસી છૂટ્યા હતા. માહિતી મળતા જ સીઓ નાકુર અને સ્ટેશન ઈન્ચાર્જ અવિનાશ ગૌતમ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. પોલીસ ટીમે આસપાસના સીસીટીવી ફૂટેજ સ્કેન કરીને બદમાશોની ઓળખ કરવાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં પોલીસે શુભમ જૈનની ફરિયાદના આધારે ગુનો નોંધ્યો હતો.
એસપી દેહત સાગર જૈને કહ્યું કે પોલીસે આ ઘટનામાં સંડોવાયેલા કેટલાક શકમંદોની અટકાયત કરી છે. જ્યારે ફરાર આરોપીઓને પણ ઝડપી પાડવામાં આવશે તેમ જણાવ્યું છે. જ્યારે 1 આરોપીએ ગુનાની કબૂલતો વિડિયો વાઈરલ કરતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.