
Khaleda Zia News: બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાન ખાલિદા ઝિયાનું આજે મંગળવારે વહેલી સવારે 6 કલાકે 80 વર્ષની વયે અવસાન થયું છે,તેઓ ઢાકાની એવરકેર હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા જ્યાં તેઓનું નિધન થયું છે.
બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાન અને બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP) ના અધ્યક્ષ ખાલિદા ઝિયાની તબિયત છેલ્લા ઘણાજ સમયથી નાજુક હતી અને ફરી વિદેશ એર લિફ્ટ કરી શકાય તેવી સ્થિતિમાં ન હતા.ખાલિદા ઝિયા 1991 થી 1996 અને 2001 થી 2006 સુધી બાંગ્લાદેશના વડા પ્રધાન રહ્યા.તેઓ બેનઝીર ભુટ્ટો પછી બાંગ્લાદેશના પ્રથમ મહિલા વડા પ્રધાન અને મુસ્લિમ વિશ્વના બીજા મહિલા વડા પ્રધાન હતા.
મહત્વનું છે કે ગતરોજ સોમવારે, ખાલિદા ઝિયાના મૃત્યુના એક દિવસ પહેલા બોગુરા-7 મતવિસ્તાર માટે તેમનું નામાંકન દાખલ કરવામાં આવ્યું હતું તે સમયે ઝિયા વેન્ટિલેટર પર હતા.પાર્ટીના વરિષ્ઠ નેતાઓએ બપોરે ૩ વાગ્યાની આસપાસ ડેપ્યુટી કમિશનર અને રિટર્નિંગ ઓફિસરની ઓફિસમાં ફોર્મ સબમિટ કર્યું હતું અને બીજા દિવસે મંગળવારે ખાલિદા ઝિયાનું નિધન થયું છે.
■પાર્ટીએ એક ટૂંકા નિવેદનમાં આ વાતને પુષ્ટિ આપી છે.
પીઢ નેતા અનેક સ્વાસ્થ્ય સબંધી સમસ્યાઓથી ઘેરાયેલા હતા અને તબિયત લથડતા તેઓને
ગત તા. 23 નવેમ્બરે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ પણ તબિયતમાં સુધારો નહિ થતાં તા. 11 ડિસેમ્બરથી વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા.બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાન ખાલિદા ઝિયા અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યા હતા.
બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાન ખાલિદા ઝિયા લીવર, કિડની, ડાયાબિટીસ, સંધિવા અને આંખની બીમારીઓ સહિત વિવિધ સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડાતા હતા.તેઓ ચાલુ વર્ષમાં 6 મેના રોજ લંડનથી બાંગ્લાદેશ પરત ફર્યા હતા જ્યાં અગાઉ ચાર મહિના સુધી અદ્યતન તબીબી સારવાર મેળવી હતી ત્યારબાદ બાંગ્લાદેશમાં પરત આવ્યા અને ઢાકામાં એવરકેર હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા જ્યાં તેઓએ અંતિમ શ્વાસ લીધા હતા.
■ખાલિદા ઝિયા કોણ હતા?
ખાલિદા ઝિયાનો જન્મ ૧૫ ઓગસ્ટ, ૧૯૪૫ ના રોજ થયો હતો,તેઓ બાંગ્લાદેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ઝિયાઉર રહેમાનના પત્ની હતા.તેઓ બાંગ્લાદેશના પ્રથમ મહિલા વડા પ્રધાન હતા બેનઝીર ભુટ્ટો પછી તેઓ મુસ્લિમ દેશના વડા પ્રધાન બનનારા બીજા મહિલા હતા.૧૯૮૧ માં ઝિયાઉર રહેમાનની હત્યા બાદ ખાલિદા ઝિયા રાજકારણમાં પ્રવેશ્યા અને બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP) ની કમાન સંભાળી. ૧૯૮૨ માં લશ્કરી બળવા પછી, તેમણે લોકશાહી માટે ચળવળનું નેતૃત્વ કર્યું.
૧૯૯૧ ની સામાન્ય ચૂંટણીઓમાં, તેમના પક્ષે બહુમતી સાથે સરકાર બનાવી, અને ખાલિદા ઝિયા પહેલી વાર વડા પ્રધાન બન્યા. તેઓ ૧૯૯૬ સુધી વડા પ્રધાન રહ્યા. આ પછી, તેમણે ૨૦૦૧ થી ૨૦૦૬ સુધી વડા પ્રધાન તરીકે પણ સેવા આપી. તેમની સરકાર પર ભ્રષ્ટાચારનો પણ આરોપ મૂકવામાં આવ્યો હતો.
રાજકીય હિંસા અને અસ્થિરતાને કારણે ૨૦૦૭ ની ચૂંટણીઓ મુલતવી રાખવામાં આવી હતી. ત્યારબાદ, લશ્કરી સમર્થિત સરકારે ખાલિદા ઝિયા અને તેમના બે પુત્રો પર ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા.શેખ હસીનાની સરકારમાં પણ ખાલિદા ઝિયાની મુશ્કેલીઓ ચાલુ રહી.ખાલિદા ઝિયા અને તેમના પુત્રો સામેના આરોપોની તપાસ ચાલુ રહી. 2018માં ખાલિદા ઝિયાને અનેક કેસોમાં સજા ફટકારવામાં આવી હતી.
ઓગસ્ટ 2024 માં શેખ હસીનાની સરકારના પતન પછી, ખાલિદા ઝિયાને ઘણા આરોપોમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. તેમની મુક્તિ પછી, તેમને 7 જાન્યુઆરી, 2025 ના રોજ લંડન એરલિફ્ટ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમની ઘણા મહિનાઓ સુધી સારવાર ચાલી હતી.બાંગ્લાદેશ પરત ફર્યા પછી પણ, ખાલિદા ઝિયા બીમાર રહ્યા. તેમને નવેમ્બરમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે, એવું માનવામાં આવતું હતું કે તેઓ ફેબ્રુઆરી 2026 માં યોજાનારી સામાન્ય ચૂંટણી લડી શકે છે.
મહત્વનું છે કે તેમના મોટા પુત્ર તારિક રહેમાન પણ 17 વર્ષ પછી બાંગ્લાદેશ પાછા ફર્યા છે તેઓ ચૂંટણી માટે તૈયારીઓ કરી રહયા છે.દરમિયાન, ખાલિદા ઝિયાનું હોસ્પિટલમાં આજે વહેલી સવારે નિધન થતાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.
આ પણ વાંચો:
Bauxite mineral theft: ખેડાના અમૃતપુરા ગામે 62 હેક્ટર ગૌચરની જમીનમાંથી કોલસો ખોદાશે!









