
Thorium Reactor India: ભારતનું સૌથી મોટું પરમાણુ મિશન નિષ્ફળ ગયું છે,થોરિયમ રિએક્ટર અને તેના ઇંધણ વિકસાવવા માટે દાયકાઓથી સંશોધન દ્વારા પોતાની ઉર્જા જરૂરિયાતો પૂરી કરવાનું ભારતનું સ્વપ્ન અધૂરું રહી ગયું છે,કહી શકાય કે નિષ્ફળ ગયું છે તો બીજી તરફ માત્ર આઠ વર્ષના સંશોધન પછી એક વિદેશી કંપનીએ સફળતાપૂર્વક આ મિશન પૂર્ણ કરી લીધું છે. નોંધપાત્ર વાત એ છે કે, તે વિદેશી કંપનીના સલાહકારોમાં એવા ભારતીયો સામેલ છે કે જેઓ ભારતના પરમાણુ મિશનમાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા હતા.
સીધી વાત છે કે તેઓ ભારત માટે ન કરી શક્યા પણ વિદેશી કંપની માટે કરી શક્યા છે.બિઝનેસ વર્લ્ડના એક અહેવાલ મુજબ, ભારતના થોરિયમ મિશનની નિષ્ફળતા જાસૂસી કે બ્લુપ્રિન્ટ ચોરીનો દાવો નથી પરંતુ તે ચોક્કસપણે એક રાષ્ટ્રીય ગુપ્તતા અને રહસ્યનો ભાગ બની ગયું છે અને આ ટેકનોલોજી ભારતને નહિ પણ અન્યોને કઈ રીતે કામ લાગી ગઇ? તેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે.
■ચાલો સમજીએ કે થોરિયમ રિએક્ટર ભારત માટે કેમ મહત્વપૂર્ણ છે અને તે શા માટે એક મોટી નિષ્ફળતા છે.
●ભારતમાં થોરિયમનો વિશાળ ભંડાર છે.
ભારત પરમાણુ ઉર્જા માટે યુરેનિયમની આયાત કરે છે. જોકે, ભારતમાં થોરિયમ મોટી માત્રામાં જોવા મળે છે. તેથી, ભારત થોરિયમમાંથી પરમાણુ ઉર્જા ઉત્પન્ન કરવા માટે થોરિયમ રિએક્ટર બનાવી રહ્યું છે.
■ BARC નું સંશોધન
BARC એ ભારતની અગ્રણી પરમાણુ સંશોધન સંસ્થા છે અને દેશના થોરિયમ કાર્યક્રમનું ઐતિહાસિક કેન્દ્ર છે.
અહીં 70 વર્ષથી થોરિયમ સંશોધન ચાલી રહ્યું છે અને અબજો ડોલરનું રોકાણ કરવામાં આવ્યું છે.
■વિદેશી કંપનીની સફળતા
હવે સૌથી મહત્વનો પોઈન્ટ એ છે કે ભારતીય રિએક્ટર માટે વિશ્વનું પ્રથમ વ્યાપારી રીતે ઉપલબ્ધ થોરિયમ ઇંધણ BARC માંથી નહીં પરંતુ આઠ વર્ષ પહેલાં સ્થપાયેલી વિદેશી ખાનગી કંપની પાસેથી 2025માં આવ્યું હતું,જે દેશ (યુનાઇટેડ સ્ટેટ્સ) માં લગભગ અડધી સદી પહેલા થોરિયમ સંશોધન છોડી દેવામાં આવ્યું હતુ.
■ANEEL નું અનાવરણ
ક્લીન કોર થોરિયમ એનર્જી (CCTE) નામની એક ઓછી જાણીતી કંપનીએ ANEEL નું અનાવરણ કર્યું, જે ભારતના રિએક્ટર માટે રચાયેલ વ્યાપારી રીતે ઉપલબ્ધ થોરિયમ-આધારિત ઇંધણ છે,એક એવું ઇંધણ જેનો અભ્યાસ, પરીક્ષણ અને સિદ્ધાંત ઘડવામાં ભારત પોતે દાયકાઓથી સંશોધન કરી રહ્યું છે.
■વિદેશી કંપનીને ભારતીય સલાહકારો
CCTE-ANEEL ઇંધણ વિકસાવતી અમેરિકન કંપનીના સલાહકારોમાં ભારતના પરમાણુ ઉર્જા આયોગના ભૂતપૂર્વ અધ્યક્ષ ડૉ. અનિલ કાકોડકરનો પણ સમાવેશ થાય છે કે તેઓ લાંબા સમયથી ભારતના થોરિયમ કાર્યક્રમના લીડરમાંના એક રહ્યા છે.
■ કાકોડકરના નામ પરથી ANEEL ઇંધણનું નામકરણ
ANEEL ઇંધણ (સમૃદ્ધ જીવન માટે અદ્યતન પરમાણુ ઊર્જા)નું નામ કાકોડકરના નામ પરથી રાખવામાં આવ્યું છે,દાયકાઓ સુધી, કાકોડકર માત્ર ભારતના થોરિયમ પ્રયાસમાં ભાગીદાર જ નહોતા પરંતુ તેઓ તેના સૌથી અગ્રણી આશ્રયદાતા હતા.
■ CCTE ને કોણે ભંડોળ પૂરું પાડ્યું?
CCTE ની સ્થાપના 2017 માં મેહુલ શાહ દ્વારા કરવામાં આવી હતી, જે તેના સ્થાપક અને CEO તરીકે સેવા આપે છે.
આ પ્રારંભિક ભંડોળમાં સામેલ મુખ્ય વ્યૂહાત્મક રોકાણકારોમાં ReNew ના સ્થાપક અને ભૂતપૂર્વ ભારતીય નાણામંત્રી યશવંત સિંહાના પુત્ર સુમંત સિંહા, કોગ્નિઝન્ટના ભૂતપૂર્વ CEO લક્ષ્મી નારાયણન અને HDFC ના ભૂતપૂર્વ ચેરમેન દીપક પારેખનો સમાવેશ થાય છે. ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર એમ.કે. નારાયણન પણ સલાહકાર તરીકે આ જ વિદેશી સાહસ સાથે સંકળાયેલા છે.
આ અહેવાલોમાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે જે કામ ભારત અબજોના ખર્ચ છતાં અડધી સદી સુધી ન કરી શક્યું તે વિદેશી કંપનીએ માત્ર આઠ વર્ષમાં કરી બતાવ્યું અને મહત્વની વાત એ છે કે તે કંપનીના સલાહકારો અને ફંડ આપનારા પૈકી કેટલાક ભારતીય સામેલ છે કે જેઓ ભારતના ન્યુક્લિયર મિશનમાં મોટી જવાબદારી નિભાવી રહયા હતા.
આ પણ વાંચો:
Police recruitment: ગુજરાત પોલીસમાં ભરતી માટે થઈ જાવ રેડી; PSI-LRDની શારીરિક કસોટીની તારીખો જાહેર!








