
Nathuram Godse: મહાત્મા ગાંધીની 30 જાન્યુઆરી 1948ના રોજ થઈ ત્યારથી લઈ આજદિન સુધી અનેક રહસ્યો આજેપણ અકબંધ છે,ત્યારે ગુજરાતીમાં છપાયેલા પુસ્તક “Let’s kill ગાંધી”માં કેટલીક એવી વાતો સામે આવી છે જે ખરેખર ચોંકાવનારી છે.
30 જાન્યુઆરી 1948ના રોજ સાંજના લગભગ 5 :15 વાગ્યા દરમિયાન નવી દિલ્હીના બિરલા હાઉસમાં ( હાલનું ગાંધી સ્મૃતિ)
પ્રાર્થના સભામાં જતા હતા તે દરમિયાન મહાત્મા ગાંધીને નાથુરામ ગોડસે દ્વારા ત્રણ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી, જે એક દુઃખદ ઘટના હતી. આ હત્યારાને ત્યાં હાજર અમેરિકન વાઇસ-કોન્સ્યુલ હર્બર્ટ રેઇનર જુનિયરે તરતજ પકડીને કસ્ટડીમાં લઈ લીધા બાદ કાયદેસરની કાર્યવાહી થઈ હતી.
ગાંધીજીના આ નિર્વાણ દિવસને ભારતમાં ‘શહીદ દિવસ’ અથવા ‘બલિદાન દિવસ’ તરીકે પણ યાદ કરવામાં આવે છે દરમિયાન ગાંધીજીના પૌત્ર તુષાર ગાંધીએ તે ઉપર અંગ્રેજીમાં એક પુસ્તક લખ્યું હતું. જેનું નામ હતું ‘Let’s kill ગાંધી’ આ પુસ્તકમાં ગાંધીજીના અંતિમ દિવસોનું વૃતાંત, તેમની હત્યાનું ષડયંત્ર, હત્યા, તપાસ, કેસ અને કપૂર પંચ વિશે વિસ્તૃત માહિતી છે.
ગાંધીજીની હત્યા અંગે આયોજનપૂર્વક ભ્રમો ફેલાવવામાં આવ્યા હોવાનું પુસ્તકમાં કહેવામાં આવ્યું છે. આ ભ્રમોનો પર્દાફાશ કરતા ‘Let’s kill ગાંધી’ અને ‘ગાંધીનો હત્યારો ગોડસે’, આ બન્ને પુસ્તકોને પ્રકાશિત કરવાની હિંમત કરી છે પત્રકાર કેયૂર કોટકે.
તેઓએ આ પુસ્તક ગુજરાતીમાં છપાય તે માટે ઘણા પ્રકાશકોને મળ્યા પણ કોઈએ આ પુસ્તક છાપવાની હિંમત ન કરી, આખરે કેયૂર કોટક પોતેજ પ્રકાશક બન્યા અને પોતાના ‘કલ્પવૃક્ષ પ્રકાશન’ હેઠળ ‘Let’s kill ગાંધી’ પુસ્તકને તેઓએ ગુજરાતીમાં પ્રકાશિત કર્યું છે.
The Gujarat Reportના સિનિયર પત્રકાર દિલીપ પટેલ સાથેની વાતચીતમાં કેયૂર કોટકે આ અંગે વિસ્તારથી વાત કરી હતી તે અહીં નીચે આપેલા વિડિયોમાં પ્રસ્તુત છે.
● ગાંધી હત્યા અંગે ક્યા ક્યા ભ્રમો ફેલાયેલા છે?
● શું ભારતના ભાગલા માટે ગાંધીજી જવાબદાર હતા?
પુસ્તકમાં ત્રણ ભાગ છે, પ્રથમ ભાગમાં ગાંધીજીની હત્યાના ષડયંત્ર વિશે વિગતવાર વાત થઈ છે. બીજા ભાગમાં ગાંધીજીના અંતિમ બેથી ત્રણ વર્ષોનું વૃત્તાંત છે અને ત્રીજા ભાગમાં કપૂર પંચનાં તારણો છે.
●ગાંધીજીની હત્યા માટે કેટલા પ્રયાસો થયા હતા? શા માટે?
●રૂપિયા 55 કરોડ પાકિસ્તાનને આપવા માટે ગાંધીજીએ આગ્રહ કેમ કર્યો હતો?
●ગાંધીજી અને ગોડસે, બંને અખંડ હિંદુસ્તાનના હિમાયતી હતા. પરંતુ તેમની હિંદુસ્તાનની વિભાવના કેવી રીતે અલગ હતી?
●ગાંધીજીની હત્યા કોણે કરવી એ અંત સમય સુધી નક્કી નહોતું. ષડયંત્રમાં સામેલ દરેક વ્યક્તિ બીજી વ્યક્તિને હત્યા કરવા મનાવી રહ્યો હતો તો છેલ્લે ગોડસેએ શા માટે હત્યા કરી ?
● શું તે સમયે કૉંગ્રેસના આગેવાનોએ ગાંધીજીની દરેક સલાહની અવગણના કરી હતી અને પછી તેમને પસ્તાવો થયો હતો? જો ગાંધીજીની સલાહ માન્યા હોત તો, વિભાજન થવાની શક્યતા ટળી ગઈ હોત અને જો વિભાજન થયું હોત તો પણ શાંતિપૂર્ણ રીત થયું હોત?
●નથુરામ ગોડસેએ ગાંધીજીની હત્યા કરવાની કબૂલાત કરી અને કોઈ પસ્તાવો નથી એમ પણ કહ્યું. તેમ છતાં બે-બે અદાલતોમાં તેને હત્યાને વાજબી ઠેરવવાની તક આપવી ઉચિત હતી?
●20 જાન્યુઆરીએ પ્રાર્થનાસભામાં બોંબવિસ્ફોટ થયો એ દિવસથી 30 જાન્યુઆરી સુધી વચ્ચેના ગાળામાં પોલીસે પોતાની તપાસમાં ઢીલાશ દાખવી હતી?
●શું દિલ્હી અને મુંબઈ, એમ બંને પોલીસ હત્યાની જવાબદારીના દોષનો ટોપલો એકબીજા પર નાંખ્યો હતો?
●કોર્ટમાં મોરારજી દેસાઈની જુબાનીએ જ સાવરકરને બચાવી લીધા હતા?
●કપૂર પંચ દ્વારા તા. 20 થી 30 જાન્યુઆરી વચ્ચે પોલીસની બેદરકારી પર ઘણી ટિપ્પણીઓ કરવામાં આવી છે,ટિળકના પૌત્ર કેતકરે તો 60ના દાયકામાં જાહેરમાં કહ્યું હતું કે, ગાંધીહત્યાનાં કાવતરાની તેમને અગાઉથી જાણ હતી આ અંગે કપૂર પંચે ઝાટકણી કાઢી છે. શું ગાંધીહત્યાનાં કાવતરાંની અનેક લોકોને જાણ હતી?
●ગાંધીહત્યા બાદ સૌથી વધુ દુઃખ સરદાર પટેલને થયું હતું તેઓ તે સમયે ગૃહમંત્રી હતા અને તેઓ પર તે વખતે જયપ્રકાશ નારાયણ જેવા નેતાઓએ બેજવાબદારી દાખવવાનો આરોપ મૂક્યો હતો. સૌથી વધુ દુઃખ સરદારને કઈ બાબતનું હતું?તે પણ પુસ્તકમાં કહેવાયું છે.
આવા ઐતિહાસિક તથ્યો સભર પુસ્તક આજની પેઢી માટે એક નજરાણું બની રહેવાનું છે જે અનેક રહસ્યોને ઉજાગર કરે છે, જે અંગે પ્રકાશક-પત્રકાર કેયૂર કોટકે પ્રકાશ પાડ્યો હતો પ્રસ્તુત છે વિડીયો.
આ પણ વાંચો:
Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા








