
Iran War: હોર્મુઝ સ્ટ્રેટ બંધ કર્યા બાદ અહીંથી ચીન સિવાયના કોઈપણ દેશના જહાજોને પસાર નહિ થવા દેવા ઈરાને આપેલી ચેતવણી વચ્ચે ભારત આવી રહેલા થાઈ કાર્ગો જહાજ “મયુરી નારી” આગળ વધવાનું ચાલુ રાખતા હોર્મુઝ સ્ટ્રેટ પર આ જહાજ પર હુમલો થયો હતો.
ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ આ જહાજ ઉપર હુમલાની જવાબદારી સ્વીકારી છે, IRGC નું કહેવું છે કે, લાઇબેરિયાના ધ્વજવાળા જહાજ ‘એક્સપ્રેસ રોમ’ અને થાઈ જહાજ ‘મયુરી નારી’એ તેમની ચેતવણીઓ કાને ધરી ન હતી અને પરવાનગી વગર જ હોર્મુઝ સ્ટ્રેટમાં પ્રવેશ કર્યો હતો, જેના કારણે આ કાર્યવાહી કરવામાં આવી હતી.
■ ઈરાને I”dentification error” થયાનું કબુલ્યું
IRGCના સૂત્રોને ટાંકીને અહેવાલોએ પુષ્ટિ આપી છે કે ઈરાનની દરિયાકાંઠાની મિસાઈલ સંરક્ષણ પ્રણાલીએ મયુરી નારી પર હુમલો કર્યો હતો, પરંતુ તેને ભૂલથી ઈઝરાયેલી કાર્ગો જહાજ સમજી લેવામાં આવ્યું હતું. ઈરાન દાવો કરે છે કે તે ઓળખમાં ભૂલ હતી. જોકે, સંરક્ષણ નિષ્ણાતો માને છે કે તેની અદ્યતન મિસાઈલ ટેકનોલોજી હોવા છતાં, ભારતના કંડલા બંદર તરફ જતા જહાજને ઓળખવામાં કેમ થાપ ખાઈ ગયું તે શંકા ઉભી કરે છે.
IRGC એ જણાવ્યું હતું કે હોર્મુઝમાં તણાવ વચ્ચે ખોટી ઓળખને કારણે આ ઘટના બની હતી, મહત્વનું છે કે મયુરી નારી જહાજ પર મિસાઇલ હુમલો થતાં આ ઘટનામાં બે ભારતીય નાગરિકોએ જીવ ગુમાવ્યા છે જ્યારે એક ભારતીય હજુપણ લાપતા છે.
હુમલા બાદ જહાજમાં આગ લાગી હતી અને એન્જિન રૂમને નુકસાન થયું હતું,જહાજના અન્ય ક્રૂ સભ્યોનો માંડ બચાવ થયો હતો.
■ ભારતે હુમલાની નિંદા કરી
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે આ ઘટના અને તેમાં થયેલા ભારતીયોના મૃત્યુની પુષ્ટિ કરી છે, ભારતના વિદેશ મંત્રાલયે આ હુમલાની આકરી નિંદા કરી વેપારી જહાજો અને નિર્દોષ લોકોના જીવ જોખમમાં ન મૂકવાની ચેતવણી આપી છે.
■ પ્રાદેશિક પરિસ્થિતિ
હોર્મુઝમાં 37 ભારતીય જહાજો ફસાયેલા હોવાના અહેવાલ છે અને 1,109 ખલાસીઓ જોખમમાં છે.
■ઇરાનની ખુલ્લી ધમકી: અહીંથી પસાર થતાં પહેલાં ઇરાનની મંજૂરી લેવી પડશે
IRGC નેવી કમાન્ડર અલીરેઝા તાંગસિરીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ખુલ્લી ધમકી આપી છે કે અહીંથી પસાર થવા માટે કોઈપણ દેશના જહાજે ઈરાનની મંજૂરી લેવી જ પડશે.
ઈરાની સેનાએ સરકારી ટીવી પર એવી પણ જાહેરાત કરી છે કે અમેરિકા, ઈઝરાયલ કે તેમના સાથી દેશો સાથે જોડાયેલા કોઈપણ જહાજને તેઓ નિશાન બનાવશે.
આ પણ વાંચો:
OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!







