
Pakistan: અમેરિકા અને ઈઝરાયેલે ઈરાન ઉપર હુમલો કર્યા બાદ પશ્ચિમ એશિયામાં અસ્થિરતાનો માહોલ છે ત્યારે હવે પાકિસ્તાનને એવો ડર છે કે હવે પછીનો ટાર્ગેટ પાકિસ્તાન હોય શકે છે, આ અટકળો ઘણા સમયથી ચાલી રહી છે જેમાં તે હવે ગુપ્ત રીતે પરમાણુ હથિયારો વધારવા ચીન સાથે મળીને કામ કરતું હોવાનું પણ સામે કહેવામાં આવી રહ્યું છે અને આ વાત અમેરિકાના રિપોર્ટમાં ધ્યાને આવતા પાકિસ્તાનમાં ફફડાટ છે કે અમેરિકા હવે પાકિસ્તાન ઉપર પણ ભવિષ્યમાં હુમલા કરી શકે છે આ અટકળો વચ્ચે ભારતમાં પાકિસ્તાનના પૂર્વ હાઈ કમિશનર રહી ચૂકેલા અબ્દુલ બાસિતનું ઉશ્કેરણીજનક નિવેદન સામે આવ્યું છે તેઓએ કહ્યું છે કે, જો ભવિષ્યમાં અમેરિકા પાકિસ્તાન પર કોઈ પણ પ્રકારનો હુમલો કરે છે, તો પાકિસ્તાને તેનો બદલો લેવા માટે ભારતની રાજધાની નવી દિલ્હી અને મુંબઈ જેવા મોટા શહેરોને ટાર્ગેટ કરી હુમલાઓ કરી બૉમ્બ ફેંકવા પડશે.
ABN ન્યૂઝ પર એક ટીવી ડિબેટમાં અબ્દુલ બાસિતે કહ્યું હતું કે, “માની લો કે ઈરાનમાં સ્થિતિ વધુ બગડે છે અને ઈઝરાયલ આપણા પડોશમાં આવીને બેસી જાય છે. એવી પણ સ્થિતિ ઊભી થાય કે અમેરિકા આપણા પરમાણુ કાર્યક્રમને નિશાન બનાવે અથવા આપણી પરમાણુ તાકાત ખતમ કરવાનો પ્રયાસ કરે અને જો અમેરિકા પાકિસ્તાન પર હુમલો કરે, તો આપણી પાસે શું રસ્તો બચશે?” કારણ કે “અમેરિકા સુધી પહોંચવાની આપણી તાકાત નથી, એટલે ભારત પર હુમલો કરીશું’
બાસિતે વધુમાં ઉમેર્યુ કે, “અમેરિકા આપણી પરમાણુ રેન્જની બહાર છે, આપણે તેમના પ્રાદેશિક લશ્કરી થાણાઓ સુધી પહોંચી શકતા નથી અને ઈઝરાયલ પર પણ હુમલો કરી શકતા નથી. તો આપણી પાસે શું વિકલ્પ રહેશે? આપણે બીજું કંઈ કરી શકીએ તેમ નથી. ભલે આપણે અમેરિકા ન પહોંચી શકીએ, પણ આપણે કંઈ પણ વિચાર્યા વગર સીધો ભારત પર હુમલો કરવો પડશે. આપણે મુંબઈ અને નવી દિલ્હી પર બોમ્બમારો કરવો પડશે. આપણે હાર નહીં માનીએ, પછી જે થાય તે જોયું જશે.”
બાસિતનું આ ઉશ્કેરણીજનક નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધ ચાલુ છે અને બીજી તરફ અફઘાનિસ્તાન સાથે પાકિસ્તાનનો સંઘર્ષ ચાલુ છે. મુંબઈ અને દિલ્હીનો ઉલ્લેખ કરીને બાસિતે માત્ર 26/11 ના આતંકવાદી હુમલાની કડવી યાદો જ તાજી નથી કરી, પરંતુ આખી દુનિયા સામે પાકિસ્તાનની એ માનસિકતા પણ છતી કરી દીધી છે કે તેઓ પોતાની લશ્કરી નિષ્ફળતાઓ અને હતાશાનો ગુસ્સો માત્ર ભારત પર જ ઉતારવા માંગે છે. તેમણે વાત પૂરી કરતા એમ પણ કહ્યું કે, ભારત ક્યારેય આવું નહીં ઈચ્છે કે કોઈ પાકિસ્તાન પર ખરાબ નજર નાખે.
અબ્દુલ બાસિત પાકિસ્તાનના વરિષ્ઠ ડિપ્લોમેટ અને પૂર્વ હાઈ કમિશનર છે. તેમણે 2014 માં ભારતમાં પોતાનો કાર્યકાળ શરૂ કર્યો હતો અને સળંગ 3 વર્ષ સુધી ભારતમાં પાકિસ્તાની હાઈ કમિશનર તરીકે સેવા આપી હતી. આ પહેલા તેઓ 2012 થી 2014 સુધી જર્મનીમાં પણ પાકિસ્તાનના રાજદૂત રહી ચૂક્યા છે. જે દેશમાં રહીને તેમણે વર્ષો સુધી કામ કર્યું છે, આજે એ જ ભારત વિરુદ્ધ તેઓ આ પ્રકારની વાતો કરી તેઓની માનસિકતાનો પરિચય આપી રહયા છે.
અબ્દુલ બાસિતનું નિવેદન પાકિસ્તાનની સુરક્ષા વિચારસરણીનો એક ભાગ છે. ભૂતપૂર્વ રાજદ્વારી તરીકે બાસિતની ટિપ્પણીઓ પાકિસ્તાનના લશ્કરી અને વ્યૂહાત્મક દ્રષ્ટિકોણને પ્રતિબિંબિત કરે છે. નિષ્ણાતો ભારતના વિવિધ ભાગોને નિશાન બનાવવાના તેમના આહવાનને એ જ જૂની કટ્ટરપંથી વિચારસરણી સાથે જોડી રહ્યા છે.
આ પણ વાંચો:
OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!







