
Post-Election Violence in Gujarat: લોકશાહીમાં ચૂંટણી એ હાર અને જીતનો એક ભાગ છે, જેમાં વિજેતાએ નમ્રતા અને હારનાર ઉમેદવારે જનમતનો સ્વીકાર કરવાનો હોય છે. જોકે, ગુજરાતમાં તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ ભાજપના કેટલાક ઉમેદવારો પોતાની હાર પચાવી શક્યા નથી. દાહોદ, ભરૂચ અને દાંતા જેવા વિસ્તારોમાં એવા કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે જ્યાં હારેલા નેતાઓએ મતદારો પર વેર વાળવા માટે સરકારી મિલકતોને નુકસાન પહોંચાડ્યું અને પાયાની જરૂરિયાતો બંધ કરવાની ધમકીઓ આપી છે. આ પ્રકારની વર્તણૂકથી રાજકારણમાં સેવાની ભાવના સામે ગંભીર પ્રશ્નાર્થો ઊભા થયા છે.
ભરૂચમાં ખુલ્લી તલવાર સાથે ધમકી: “હવે ગામમાં પાણી નહીં આવે”
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના દહેગામની કાવી-રની બેઠક પરથી એક ભયાનક વીડિયો સામે આવ્યો છે. આ બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર સોહેલ મલેક સામે ભાજપના ઉમેદવાર સકીલ ખાલીદ મલેકની હાર થઈ હતી. હારથી લાલઘૂમ થયેલા સકીલ મલેકે ભાજપનો ખેસ પહેરીને પોતાના પિતા સાથે એક વીડિયો વાયરલ કર્યો, જેમાં તેમના પિતા હાથમાં ખુલ્લી તલવાર સાથે ગ્રામજનોને ધમકાવતા જોવા મળ્યા હતા. તેમણે જાહેરાત કરી કે આ કોઈ સૂચના નથી પણ આખરી નિર્ણય છે અને હવેથી ગામનો પાણી પુરવઠો બંધ કરી દેવામાં આવશે. જો કોઈને વાંધો હોય તો સીધો તેમનો સંપર્ક કરવા માટે પણ પડકાર ફેંક્યો હતો.
દાહોદમાં વેરવૃત્તિ: હાર મળતા જ સોલાર સ્ટ્રીટ લાઈટના થાંભલા તોડી નાખ્યા
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના કદવાળ ગામમાં પણ હારનો આવો જ બદલો લેવામાં આવ્યો હોવાનો વીડિયો વાયરલ થયો છે. આરોપ છે કે તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ વસૈયા સવસિંગે પોતાની હાર બાદ ગામમાં લગાવેલી સોલાર સ્ટ્રીટ લાઈટના થાંભલા તોડી પાડ્યા હતા. જનતાએ વોટ ન આપ્યા હોવાની અદાવત રાખીને સાર્વજનિક સુવિધા છીનવી લેવાની આ ઘટનાએ સ્થાનિક લોકોમાં ભારે રોષ જન્માવ્યો છે. જોકે, મીડિયા દ્વારા આ વાયરલ વીડિયોની સત્યતા અંગે કોઈ સત્તાવાર પૃષ્ટિ કરવામાં આવી નથી, પરંતુ દ્રશ્યોમાં તોડફોડ સાફ દેખાઈ રહી છે.
દાંતામાં અજીબોગરીબ અદાવત: પશુપાલકોનું દૂધ લેવાની ડેરીએ પાડી ના
બનાસકાંઠાના દાંતા તાલુકાના કાંસા પાતળીયા ગામમાં ચૂંટણીની અદાવત પશુપાલકો સુધી પહોંચી ગઈ છે. અહીં ચૂંટણીમાં વોટિંગના મુદ્દે અદાવત રાખીને પાતળીયા દૂધ મંડળીએ ખેડૂતોનું દૂધ સ્વીકારવાની મનાઈ કરી દીધી હતી. નવાઈની વાત એ છે કે આ ગામમાં ભાજપને 60 ટકાથી વધુ મત મળ્યા હોવા છતાં નેતાઓ દ્વારા ગ્રામજનો પર દ્વેષ ભાવના રાખવામાં આવી રહી હોવાનું કહેવાય છે. દૂધ મંડળીના સભ્યો દ્વારા કરવામાં આવેલી આ નારજગીને કારણે મોટી સંખ્યામાં પશુપાલકો દૂધ ભરેલા કેન લઈને પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને પોતાની વ્યથા રજૂ કરી હતી.
રાજનીતિમાં વેરનું ઝેર: શું જનતાની સેવા આવી રીતે થશે?
ચૂંટણી પૂર્ણ થયા બાદ ઉમેદવારો દ્વારા લેવામાં આવી રહેલા આવા બદલાલક્ષી પગલાં લોકશાહીના મૂલ્યોનું હનન કરે છે. નાગરિકોને સરકારી સુવિધાઓ મેળવવાનો બંધારણીય અધિકાર છે અને કોઈ પણ રાજકીય પક્ષ કે હારેલો ઉમેદવાર તેને રોકી શકતો નથી. સત્તા ન મળતા જનતાની પાયાની જરૂરિયાતો જેમ કે પાણી, વીજળી કે દૂધ વેચાણ પર રોક લગાવવી એ જનસેવાના નામે માત્ર સ્વાર્થની રાજનીતિ છે. રાજકીય પક્ષોએ સમજવાની જરૂર છે કે પ્રજાના કામ કરશો તો જ તે ફરીથી પસંદ કરશે, ધમકીઓ કે તોડફોડથી જનતાનું દિલ જીતી શકાતું નથી.
આ પણ વાંચો:







