
Great Indian Bustard Chick Missing: ગુજરાતના કચ્છમાં વન્યજીવ પ્રેમીઓ માટે અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. દાયકાઓ બાદ ગુજરાતની ધરતી પર ‘જંપસ્ટાર્ટ’ ટેકનિકથી જન્મેલું ગ્રેટ ઈન્ડિયન બસ્ટર્ડ (ઘોરાડ) નું પહેલું બચ્ચું રહસ્યમય રીતે ગાયબ થઈ ગયું છે. આ લુપ્તપ્રાય પક્ષીને બચાવવા માટે જે જેહમત ઉઠાવવામાં આવી હતી, તે આ ઘટનાથી એળે ગઈ હોય તેવું લાગી રહ્યું છે. હાલમાં કચ્છના આ સંરક્ષિત વિસ્તારમાં માત્ર ત્રણ માદા ઘોરાડ બચી છે અને ત્યાં કોઈ નર પક્ષી હાજર નથી, જે આ પ્રજાતિના ભવિષ્ય પર ગંભીર પ્રશ્નાર્થ ચિહ્ન મૂકે છે.
જેસલમેરથી કચ્છ સુધીની લાંબી સફર અને ‘જંપસ્ટાર્ટ’ ટેકનિકનો પ્રયોગ
આ બચ્ચાનો જન્મ કોઈ સામાન્ય ઘટના નહોતી, પરંતુ વૈજ્ઞાનિકોની અથાક મહેનતનું પરિણામ હતું. જેસલમેરના સમ સ્થિત બ્રીડિંગ સેન્ટરમાંથી એક ફર્ટાઈલ (ફળદ્રુપ) ઈંડું પસંદ કરવામાં આવ્યું હતું. આ ઈંડાને ખાસ પોર્ટેબલ ઈનક્યૂબેટરમાં રાખી, તાપમાન જાળવી રાખીને 19 કલાકની સફર બાદ 770 કિલોમીટર દૂર ગુજરાતના નલિયા લાવવામાં આવ્યું હતું. અહીં એક જંગલી માદા ઘોરાડના માળામાં આ ઈંડું મૂકવામાં આવ્યું, જેને સરોગેસી અથવા ‘જંપસ્ટાર્ટ’ ટેકનિક કહેવામાં આવે છે. 26 માર્ચ, 2026ના રોજ આ ઈંડામાંથી બચ્ચું બહાર આવતા તેને સંરક્ષણ ક્ષેત્રની સૌથી મોટી સફળતા માનવામાં આવી હતી.
50 ગાર્ડ્સની વીવીઆઈપી સુરક્ષા અને વન વિભાગની નજર
બચ્ચાના જન્મ પછી તેની સુરક્ષાને વન વિભાગે સર્વોચ્ચ પ્રાથમિકતા આપી હતી. માળાની ચોવીસે કલાક દેખરેખ રાખવા માટે 50 સભ્યોની એક સ્પેશિયલ ટીમ તૈનાત કરવામાં આવી હતી. આ વિસ્તાર તરફ જતા તમામ રસ્તાઓ સીલ કરી દેવામાં આવ્યા હતા અને ઊંચા વોચ ટાવર પરથી દૂરબીન દ્વારા સતત નજર રાખવામાં આવતી હતી. આ સુરક્ષા વ્યવસ્થા કોઈ વીવીઆઈપી વ્યક્તિની સુરક્ષા કરતા પણ ઓછી નહોતી. આમ છતાં, 18 એપ્રિલ પછી આ બચ્ચું તેની માતા સાથે જોવા ન મળતા તંત્રમાં દોડધામ મચી ગઈ છે.
શિકારી પ્રાણીઓનો ખતરો કે સુરક્ષામાં ચૂક?
વન વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર, સુરક્ષાના આટલા ચુસ્ત બંદોબસ્તમાં ક્યાંક ખામી રહી ગઈ હોય તેવી આશંકા છે. એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે વાડાની કોઈ જગ્યાએથી શિકારી કૂતરા, શિયાળ અથવા જંગલી બિલાડી અંદર ઘૂસી ગઈ હશે અને 24 દિવસના આ માસૂમ બચ્ચાને પોતાનો શિકાર બનાવી લીધું હશે. અત્યાર સુધી બચ્ચાના કોઈ અવશેષો મળી આવ્યા નથી, પરંતુ આટલા લાંબા સમયથી તેની કોઈ ભાળ ન મળતી હોવાથી તેના જીવિત હોવાની શક્યતાઓ નહિવત્ માનવામાં આવી રહી છે.
ઘોરાડ સંરક્ષણ માટે કરોડોનો ખર્ચ છતાં પરિણામ શૂન્ય?
રાજસ્થાનના રાજ્ય પક્ષી ઘોરાડને બચાવવા માટે સરકાર અને વન વિભાગ દર વર્ષે કરોડો રૂપિયા ખર્ચ કરે છે. જેસલમેરના ડેઝર્ટ નેશનલ પાર્ક, રામદેવરા અને સમ ખાતે મોટા પાયે બ્રીડિંગ અને સંરક્ષણનું કામ ચાલી રહ્યું છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને તેમના કૂળને વધારવાના પ્રયાસો થઈ રહ્યા છે. પરંતુ, ગુજરાતમાં થયેલી આ ઘટનાએ પક્ષી સંરક્ષણના દાવાઓ સામે મોટા સવાલો ઉભા કર્યા છે. જો કુદરતી શિકારીઓથી બચ્ચાને ન બચાવી શકાય, તો આ લુપ્ત થતી પ્રજાતિને ફરીથી જીવંત કરવી અત્યંત મુશ્કેલ બની રહેશે.
આ પણ વાંચો:







