
Colombia Hippos Vantara: કોલંબિયામાં અત્યારે એક અનોખી પર્યાવરણીય કટોકટી સર્જાઈ છે, જેનો છેડો દાયકાઓ જૂના ડ્રગ કાર્ટેલ લીડર પાબ્લો એસ્કોબાર સાથે જોડાયેલો છે. 1993માં એસ્કોબારના મૃત્યુ બાદ, તેના ફાર્મ હાઉસમાંથી મુક્ત થયેલા હિપોપોટેમસ (હિપ્પો) ની સંખ્યા કુદરતી શિકારીઓના અભાવે એટલી વધી ગઈ છે કે તે સ્થાનિક પર્યાવરણ અને માછીમારો માટે જોખમરૂપ બન્યા છે. આ સમસ્યાના ઉકેલ માટે જ્યારે કોલંબિયા સરકાર 80 હિપ્પોને મારી નાખવાની વિચારણા કરી રહી છે, ત્યારે જામનગરના ‘વનતારા’ પ્રોજેક્ટ દ્વારા તેમને ભારત લાવવાની દરખાસ્ત મૂકવામાં આવી છે. જોકે, આ નિર્ણય સામે અનેક ગંભીર તર્કબદ્ધ સવાલો ઉઠી રહ્યા છે.
શું જામનગરની આબોહવા હિપ્પો માટે અનુકૂળ છે?
સૌથી મોટો સવાલ જામનગરના વાતાવરણ સામે છે. હિપ્પો એ ગરમ અને પુષ્કળ પાણી ધરાવતા વિસ્તારોનું પ્રાણી છે. જામનગરનું વાતાવરણ મુખ્યત્વે શુષ્ક અને અતિશય ગરમ રહે છે. વન્યજીવ નિષ્ણાતોના મતે, કુદરતી આવાસ છોડીને કૃત્રિમ સુવિધાઓ વચ્ચે પ્રાણીઓને રાખવા એ તેમના લાંબા ગાળાના સ્વાસ્થ્ય માટે કેટલું યોગ્ય છે? શું માત્ર અત્યાધુનિક ટેકનોલોજી કુદરતી આબોહવાની ગેરહાજરીને ભરી શકશે?
કુનો નેશનલ પાર્કની ઘટનામાંથી બોધપાઠ લેવાની જરૂર
ભારતમાં વિદેશી પ્રાણીઓને લાવવાનો અનુભવ તાજેતરમાં બહુ સુખદ રહ્યો નથી. મધ્યપ્રદેશના ‘કુનો નેશનલ પાર્ક’ માં આફ્રિકાથી લાવવામાં આવેલા ચિત્તાઓના સતત મૃત્યુએ વન્યજીવ પ્રેમીઓમાં ચિંતા જગાડી છે. આ ચિત્તા પ્રોજેક્ટમાં પણ આંતરરાષ્ટ્રીય સ્તરના નિષ્ણાતો સામેલ હતા, તેમ છતાં ભારતીય વાતાવરણ અને સંજોગોમાં વિદેશી વન્યજીવોને અનુકૂળ થવામાં મુશ્કેલી પડી રહી છે. ત્યારે સવાલ એ થાય છે કે શું 80 જેટલા વિશાળકાય હિપ્પોને જામનગર લાવવા પાછળ કોઈ નક્કર વૈજ્ઞાનિક અભ્યાસ કરવામાં આવ્યો છે?
હિપ્પોને ભારત લાવવા પાછળનું સાચું કારણ શું?
જનહિતની દૃષ્ટિએ વિચારીએ તો, જે પ્રાણીઓ કોલંબિયા જેવા વિશાળ દેશ માટે ‘માથાનો દુખાવો’ અને પર્યાવરણીય જોખમ બની ગયા હોય, તેમને હજારો કિલોમીટર દૂર ભારત લાવવા પાછળનો હેતુ શું હોઈ શકે? શું આ માત્ર એક જીવદયાનું કાર્ય છે કે પછી કોઈ મોટો પ્રયોગ? જો આ હિપ્પો અહીંના સ્થાનિક જળસ્ત્રોતો કે પર્યાવરણમાં કોઈ અસંતુલન પેદા કરશે તો તેની જવાબદારી કોની રહેશે?
કોઈપણ ઉદ્યોગપતિ કે સંસ્થા જ્યારે વન્યજીવ બચાવની વાત કરે ત્યારે તે આવકારદાયક લાગે, પરંતુ તર્ક એ છે કે શું આપણે બીજા દેશની ભૂલ આપણા આંગણે તો નથી લાવી રહ્યા ને? કોલંબિયા આ હિપ્પોથી છૂટકારો મેળવવા માંગે છે કારણ કે તે ત્યાંની સ્થાનિક પ્રજાતિઓનો નાશ કરી રહ્યા છે. ભારત જેવા દેશમાં, જ્યાં પહેલેથી જ વન્યજીવ-માનવ સંઘર્ષની અનેક ઘટનાઓ બને છે, ત્યાં 80 હિંસક અને કદાવર પ્રાણીઓનો ઉમેરો કરવો એ જોખમી સાબિત થઈ શકે છે.
વનતારા કેન્દ્ર પાસે સુવિધાઓ હોઈ શકે છે, પરંતુ કુદરતી પસંદગી અને પર્યાવરણીય અનુકૂલન એ ટેકનોલોજીથી ઉપર છે. ‘દરેક જીવન મૂલ્યવાન છે’ એ વાત સાચી, પણ શું આ મૂલ્ય ચૂકવતા પહેલા આપણે ‘કુનો’ જેવી ભૂલોનું પુનરાવર્તન ટાળવા તૈયાર છીએ?
આ પણ વાંચો:







