
World Press Freedom Index: રિપોર્ટર્સ વિધાઉટ બોર્ડર્સ (RSF) દ્વારા 30 એપ્રિલ, 2026ના રોજ જાહેર કરવામાં આવેલા વાર્ષિક સૂચકાંકમાં ભારતની સ્થિતિ વધુ કથળી છે. કુલ 180 દેશોની યાદીમાં ભારત હવે 157માં સ્થાને પહોંચી ગયું છે, જે ગત વર્ષ 2025માં 151માં સ્થાને હતું. છેલ્લા એક વર્ષમાં ભારતના રેન્કિંગમાં છ સ્થાનનો ઘટાડો નોંધાયો છે. આ રિપોર્ટ દર્શાવે છે કે દુનિયાના સૌથી મોટા લોકશાહી દેશમાં પ્રેસની આઝાદી ગંભીર સંકટમાં છે. ખાસ કરીને છેલ્લા 25 વર્ષમાં વૈશ્વિક સ્તરે પત્રકારત્વનો સરેરાશ સ્કોર ક્યારેય આટલો નીચો રહ્યો નથી અને દુનિયાના અડધાથી વધુ દેશો હવે ‘મુશ્કેલ’ શ્રેણીમાં આવી ગયા છે.
પાડોશી દેશોની સરખામણીમાં ભારત પાછળ: સુરક્ષા અને આઝાદીનો અભાવ
આશ્ચર્યની વાત એ છે કે ભારતના લગભગ તમામ પાડોશી દેશો આ સૂચકાંકમાં ભારત કરતા વધુ સારી સ્થિતિમાં છે. પાકિસ્તાન 153માં, ભૂટાન 150માં અને નેપાળ 87માં સ્થાને છે. ભારતનું 157મું સ્થાન તેને પેલેસ્ટાઈન કરતા પણ નીચે લઈ ગયું છે, જે યુદ્ધ જેવી સ્થિતિનો સામનો કરી રહ્યું છે. આ ઇન્ડેક્સમાં નોર્વે અને નેધરલેન્ડ જેવા દેશો ટોચ પર છે, જ્યારે ચીન અને ઉત્તર કોરિયા જેવા દેશો સૌથી નીચેના સ્તરે છે. અમેરિકા જેવા દેશોમાં પણ પત્રકારત્વ પ્રત્યે નકારાત્મકતા વધી છે અને ત્યાંના રેન્કિંગમાં પણ સાત સ્થાનનો ઘટાડો થયો છે.
મીડિયા માલિકીનું કેન્દ્રીકરણ અને ‘અનૌપચારિક કટોકટી’ જેવી સ્થિતિ
RSF ના અહેવાલ મુજબ, ભારતમાં મીડિયા માલિકીનું જે રીતે કેન્દ્રીકરણ થયું છે તે લોકશાહી માટે ખતરારૂપ છે. રિલાયન્સ અને અદાણી જેવા મોટા ઉદ્યોગપતિઓ દ્વારા મીડિયા ગૃહોનું સંચાલન કરવામાં આવતા મુખ્યધારાના મીડિયામાં વિવિધતા ખતમ થઈ રહી છે. રિપોર્ટમાં 2014 પછીની સ્થિતિને ‘અનૌપચારિક કટોકટી’ તરીકે વર્ણવવામાં આવી છે, જ્યાં સરકાર અને મોટા કોર્પોરેટ ગૃહો વચ્ચેની નિકટતા પત્રકારત્વની નિષ્પક્ષતાને દબાવી રહી છે. સરકાર વિજ્ઞાપનો દ્વારા મીડિયા પર દબાણ લાવે છે જેથી તેઓ કન્ટેન્ટને સેન્સર કરે અથવા સરકારની તરફેણમાં સમાચાર બતાવે.
પત્રકારો વિરુદ્ધ હિંસા અને ટ્રોલિંગનો વધતો પ્રકોપ
ભારતમાં પત્રકારો માટે કામ કરવું દિવસેને દિવસે જોખમી બની રહ્યું છે. જે પત્રકારો સરકારની ટીકા કરે છે તેમને ઓનલાઈન સતામણી, જાનથી મારી નાખવાની ધમકીઓ અને શારીરિક હુમલાઓનો સામનો કરવો પડે છે. ખાસ કરીને મહિલા પત્રકારોને સોશિયલ મીડિયા પર સંગઠિત નફરત અભિયાન અને ટ્રોલિંગનો શિકાર બનાવવામાં આવે છે. રિપોર્ટ મુજબ, ભારતમાં દર વર્ષે સરેરાશ 2-3 પત્રકારોની હત્યા થાય છે, જે ભારતને પત્રકારો માટે વિશ્વના સૌથી ખતરનાક દેશોમાંનો એક બનાવે છે. રાજદ્રોહ અને આતંકવાદ વિરોધી કાયદાઓનો ઉપયોગ કરીને પત્રકારોને જેલમાં ધકેલવાની ઘટનાઓ પણ વધી રહી છે.
ન્યૂઝરૂમમાં વિવિધતાનો અભાવ અને વધી રહેલું વિચારધારાનું વર્ચસ્વ
ભારતીય ન્યૂઝરૂમમાં સામાજિક વિવિધતાની કમી પણ એક ગંભીર સમસ્યા છે. વ્યવસ્થાપન સ્તરે હજુ પણ ઉચ્ચ જ્ઞાતિના પુરુષોનું વર્ચસ્વ છે, જેને કારણે લઘુમતીઓ અને મહિલાઓનો અવાજ દબાઈ જાય છે. ટીવી ડિબેટમાં મહિલાઓની ભાગીદારી 15% થી પણ ઓછી છે. હિન્દુ રાષ્ટ્રવાદી વિચારધારાના પ્રભાવ હેઠળ મીડિયાનો મોટો હિસ્સો ધાર્મિક સમાચારો પાછળ ખર્ચાય છે, જે ઘણીવાર નફરતને પ્રોત્સાહન આપે છે. ‘ગોદી મીડિયા’ જેવા શબ્દોના વધતા ઉપયોગથી સ્પષ્ટ થાય છે કે પત્રકારત્વ હવે પ્રશ્નો પૂછવાને બદલે માત્ર સત્તાનું ગુલામ બની ગયું છે.
આ પણ વાંચો:








