
Arvind Kejriwal: આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે નીટ (NEET) પેપર લીક મામલે કેન્દ્રની મોદી સરકાર સામે આકરા પ્રહારો કર્યા છે. એક વિશેષ પ્રેસ કોન્ફરન્સમાં તેમણે દેશના ‘જેન જી’ (Gen Z) એટલે કે આધુનિક પેઢીના યુવાનો અને વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ સાધ્યો હતો. કેજરીવાલે બાંગ્લાદેશ અને નેપાળના ઉદાહરણો આપીને જણાવ્યું કે જો ત્યાંના યુવાનો રસ્તા પર ઉતરીને સરકારો બદલી શકવાની તાકાત ધરાવતા હોય, તો શું ભારતના યુવાનો પેપર લીક કરનારાઓને જેલ ભેગા ન કરી શકે?. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે જો દેશમાં પેપર લીકનું દૂષણ અટકાવવું હોય, તો હવે યુવાનોએ પોતે જ આંદોલનની કમાન સંભાળવી પડશે.
૨૦૧૪ થી અત્યાર સુધી ૯૩ પેપર લીક: કેજરીવાલે આંકડાઓ સાથે સરકારને ઘેરી
કેજરીવાલે મોદી સરકારના કાર્યકાળ દરમિયાન થયેલા પેપર લીકના ચોંકાવનારા આંકડા રજૂ કર્યા છે. તેમણે આરોપ લગાવ્યો કે ૨૦૧૪ માં જ્યારથી કેન્દ્રમાં ભાજપ સરકાર આવી છે, ત્યારથી અત્યાર સુધી દેશમાં કુલ ૯૩ પેપર લીક થઈ ચૂક્યા છે. આ ઘટનાઓને કારણે દેશના લગભગ ૬ કરોડ યુવાનોનું ભવિષ્ય અંધકારમય બની ગયું છે. તેમણે વધુમાં ઉમેર્યું કે આમાંના મોટાભાગના પેપર લીક ભાજપ શાસિત ‘ડબલ એન્જિન’ કે ‘ટ્રિપલ એન્જિન’ સરકારો ધરાવતા રાજ્યો જેવા કે રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને ગુજરાતમાં થયા છે. આ કોઈ ઈત્તેફાક નથી પણ સિસ્ટમની નિષ્ફળતા છે તેવો દાવો તેમણે કર્યો હતો.
સીબીઆઈ તપાસ પર સવાલો
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કેજરીવાલે કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઈ (CBI) ની કામગીરી પર પણ આકરા સવાલો ઉઠાવ્યા છે. તેમણે સીબીઆઈની તપાસને એક ‘ઘસીપીટી સ્ટોરી’ ગણાવતા કહ્યું કે ૨૦૧૭, ૨૦૨૧, ૨૦૨૪ અને હવે ૨૦૨૬ માં પણ પેપર લીક થયા બાદ તપાસ સીબીઆઈને જ સોંપવામાં આવે છે. દર વખતે ૧૦-૧૫ લોકોની ધરપકડ થાય છે અને થોડા મહિનામાં તેઓ જામીન પર છૂટી જાય છે અને ફરીથી પેપર લીક કરવાની તૈયારીમાં લાગી જાય છે. તેમણે પ્રશ્ન કર્યો કે શું દેશના યુવાનોને હવે સીબીઆઈ જેવી એજન્સીઓ પર કોઈ ભરોસો રહ્યો છે?
हम रूस से तेल क्यों नहीं ख़रीद रहे? अगर पेपर लीक रोकना है तो हमारी Gen Z को आंदोलन करना होगा। दोनों महत्वपूर्ण मुद्दों पर प्रेस कॉन्फ़्रेंस | LIVE https://t.co/4HOlCjuiry
— Arvind Kejriwal (@ArvindKejriwal) May 13, 2026
માસ્ટરમાઇન્ડને જામીન મળવા પાછળ સીબીઆઈની ‘ઇનએફિશિયન્સી’ કે અન્ય કારણો?
કેજરીવાલે ૨૦૨૪ ના પેપર લીક કેસનો હવાલો આપીને ગંભીર આક્ષેપ કર્યો કે સીબીઆઈએ જાણીજોઈને મુખ્ય આરોપીઓ સામે ૯૦ દિવસમાં ચાર્જશીટ ફાઈલ કરી નથી. કાયદા મુજબ જો નિશ્ચિત સમયમાં ચાર્જશીટ રજૂ ન થાય, તો આરોપીને ઓટોમેટિક જામીન મળી જાય છે. કેજરીવાલના મતે સીબીઆઈ અક્ષમ નથી, પરંતુ તે કદાચ એવા લોકોને રિપોર્ટ કરી રહી છે જેઓ પોતે પેપર લીક કરાવી રહ્યા છે. તેમણે આડકતરી રીતે સંકેત આપ્યો કે તપાસ એજન્સી પર રાજકીય દબાણ હોવાથી તે ખરેખર દોષિતોને સજા અપાવી શકતી નથી.
રાજસ્થાન પેપર લીકનું એપિસેન્ટર અને રાજકીય સંરક્ષણનો આરોપ
અરવિંદ કેજરીવાલે નીટ પેપર લીકનું મુખ્ય કેન્દ્ર (એપિસેન્ટર) રાજસ્થાન હોવાનું જણાવ્યું છે. તેમણે એવો પણ દાવો કર્યો કે જે લોકો પર શંકાની સોય ગઈ છે, તેમાંથી કેટલાક ભાજપના નેતાઓ હોવાનું જણાય છે. આ બાબતે તેમણે શંકા વ્યક્ત કરી કે શું આ પેપર લીક કરનારાઓને પાર્ટી કે સરકારનું રક્ષણ પ્રાપ્ત છે? તેમણે સવાલ કર્યો કે શું પેપર લીક કરાવવો એ અમુક નેતાઓનો ધંધો બની ગયો છે? જો નેતાઓ જ આમાં સામેલ હોય, તો સીબીઆઈ જેવી એજન્સીઓ શું કરી શકશે તેવો સવાલ તેમણે ઉઠાવ્યો હતો.
દેશ બચાવવા માટે યુવાનોને ‘ઝોલો ઉપાડીને જનારા’ નેતાઓથી સાવધ રહેવા વિનંતી
કેજરીવાલે ભાવુક અપીલ કરતા કહ્યું કે મોટા નેતાઓના બાળકો તો વિદેશમાં ભણે છે, પરંતુ આપણે અને આપણા બાળકોએ તો આ જ દેશની માટીમાં રહેવાનું છે. તેમણે વડાપ્રધાનના જૂના નિવેદન ‘ઝોલો ઉપાડીને ચાલતો થઈશ’ પર કટાક્ષ કરતા કહ્યું કે આપણે ઝોલો ઉપાડીને ક્યાંય જઈ શકીએ તેમ નથી. દેશનું ભવિષ્ય બચાવવા માટે યુવાનોએ જાગૃત થવું પડશે. જો યુવાનો કંઈ નહીં કરે તો ૨૦૨૬ બાદ ૨૦૨૭ માં પણ પેપર લીક થતા રહેશે. તેમણે અંતમાં વિશ્વાસ વ્યક્ત કર્યો કે ભારતના યુવાનો ચોક્કસપણે પરિવર્તન લાવશે અને અપરાધીઓને જેલ મોકલશે.
આ પણ વાંચો:








