
Consumer Justice System Crisis: ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) જસ્ટિસ સૂર્યકાંતે તાજેતરમાં જ વિશેષ ટ્રિબ્યુનલોને ‘જવાબદારીનો અભાવ ધરાવતું ક્ષેત્ર’ કહીને તંત્રની આળસ પર ચાબખો માર્યો હતો, જે ગ્રાહક પંચોને પણ અક્ષરશઃ લાગુ પડે છે. કાગળ પર ગ્રાહક સુરક્ષા કાયદો એવું કહે છે કે ગ્રાહકોના વિવાદોનો નિકાલ ૩થી ૫ મહિનામાં થવો જોઈએ, પરંતુ સત્તાધારીઓની અણઆવડતના કારણે વાસ્તવિકતામાં ગ્રાહકોએ ન્યાય માટે સરેરાશ ૬૦૦ દિવસ સુધી કોર્ટના ધક્કા ખાવા પડે છે. કેસોમાં ભયાનક વિલંબ થવો અને પંચના આદેશોનું પાલન ન થવું એ આ સરકારી તંત્રમાં બહુ સામાન્ય બાબત બની ગઈ છે. ગ્રાહકોને લૂંટતી મોટી કોર્પોરેટ કંપનીઓ અને બિલ્ડરો સામે લડવા માટે જવાબદારી નક્કી કરવાને બદલે, સરકાર ‘ગ્રાહક સુરક્ષા અધિનિયમ, ૨૦૧૯’ માં માત્ર કાગળ પરના સુધારા કરવાનું નવું નાટક કરી રહી છે, જે જનતા સાથે ક્રૂર મજાક સમાન છે.
‘કન્ઝ્યુમર જસ્ટિસ રિપોર્ટ’ નો ચોંકાવનારો ખુલાસો
સરકારી આંકડાઓ પર આધારિત ‘કન્ઝ્યુમર જસ્ટિસ રિપોર્ટ’ ના ગ્રાઉન્ડ ડેટાએ ગ્રાહકોના હિત રક્ષણના સરકારી દાવાઓની પોલ ખોલી નાખી છે. અહેવાલ મુજબ, દેશનું એક પણ રાજ્ય ગ્રાહક કાયદાના તમામ માપદંડોને પૂર્ણ કરતું નથી. સરકારી આશીર્વાદથી ગ્રાહકોને ન્યાય આપવાનું પ્રથમ મંચ જ ગાયબ કરી દેવાયું છે, કારણ કે દેશના દર દસમાંથી એક જિલ્લામાં આજે પણ ગ્રાહક પંચ અસ્તિત્વમાં જ નથી! ઈ-કોમર્સના ડિજિટલ યુગમાં લોકોની ખરીદશક્તિ વધી છે અને બજાર નાના ગામડાઓ સુધી પહોંચી ગયું છે, ત્યારે સામાન્ય ગ્રાહક કંપનીઓ દ્વારા છેતરાય તો તેની ફરિયાદ સાંભળવા માટે જિલ્લા સ્તરે કોઈ સરકારી માળખું જ ઉપલબ્ધ નથી.
અધ્યક્ષો વગરના અનાથ ગ્રાહક પંચો
ગ્રાહક અદાલતોમાં કેસોનો પહાડ ખડકાવવા માટે સરકારની નિમણૂકો પ્રત્યેની ઉદાસીનતા અને કિન્નાખોરી મુખ્ય જવાબદાર છે. વર્ષ ૨૦૨૫ ના સત્તાવાર આંકડા દર્શાવે છે કે દેશના ૩૫ માંથી ૧૭ રાજ્ય પંચો અધ્યક્ષ વગર અંધારામાં ચાલી રહ્યા હતા. ગોવા અને ઝારખંડ જેવા રાજ્યોમાં તો સતત પાંચ-પાંચ વર્ષ સુધી અધ્યક્ષોની જગ્યાઓ ભરવામાં જ ન આવી, જેથી છેતરપિંડી કરતી મોટી કંપનીઓને ગ્રાહકોને લૂંટવાનો ખુલ્લો પરવાનો મળી ગયો. વળી, જ્યાં સભ્યોની નિમણૂક થઈ છે ત્યાં પણ સભ્યોની નિયમિત હાજરી હોતી નથી, જેના કારણે સુનાવણી માટે જરૂરી ‘કોરમ’ (સંખ્યા) પૂરી ન થતાં તારીખો પર તારીખો પડે છે. નિયમો પર અંદરોઅંદર ચાલતા કાનૂની વિવાદોના બહાને સરકારે સમગ્ર વ્યવસ્થાની વિશ્વસનીયતાનો જનાજો કાઢી નાખ્યો છે.
કર્મચારીઓની ભયાનક અછત અને બજેટમાં કંજૂસાઈ
નવી નોકરીઓ ન આપીને તંત્રને પાંગળું બનાવવાની નીતિ અહીં પણ સ્પષ્ટ દેખાય છે. દેશના ૨૦ રાજ્યોમાં ગ્રાહક પંચોની અંદર ૨૦% થી વધુ વહીવટી પદો ખાલી પડ્યા છે. કર્મચારીઓની મંજૂર સંખ્યા પણ હાસ્યાસ્પદ છે—ઝારખંડ જેવા રાજ્યમાં માત્ર ૧૪ કર્મચારીઓ અને રાજસ્થાન જેવા મોટા રાજ્યમાં માંડ ૧૩૦ પદો મંજૂર કરાયા છે, જ્યારે મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ અને મધ્યપ્રદેશ જેવા તોતિંગ રાજ્યોમાં વસ્તીના પ્રમાણમાં સ્ટાફ સાવ નહિવત છે. આનાથી પણ વધુ શરમજનક બાબત એ છે કે, વર્ષ ૨૦૨૪-૨૫ માં દેશની ૭૫% વસ્તી ધરાવતા ૨૨ રાજ્યોમાં ગ્રાહક પંચો પાછળ માથાદીઠ સરેરાશ ખર્ચ માત્ર ૨ રૂપિયા કરવામાં આવ્યો હતો! આટલા નજીવા બજેટમાં આ પંચો આધુનિક સંસાધનો સાથે કંપનીઓ સામે કેવી રીતે લડી શકે?
લોક અદાલતોનો ફિયાસ્કો અને તંત્ર પરથી ઉઠતો ભરોસો
સરકારી લાપરવાહીનું પરિણામ એ આવ્યું છે કે જનતાનો હવે આ કાયદા પરથી ભરોસો ઊઠી રહ્યો છે. દેશમાં ગ્રાહકો અને ઓનલાઈન કૌભાંડોની સંખ્યા વધી રહી છે, છતાં રાજ્ય પંચોમાં વર્ષોથી નવા કેસોની સંખ્યા માત્ર ૨ લાખ પર સ્થિર થઈ ગઈ છે. આનો અર્થ એ નથી કે બજારમાં છેતરપિંડી ઓછી થઈ છે, પણ તેનો અર્થ એ છે કે જટિલ પ્રક્રિયાઓ અને ધક્કાશાહીથી કંટાળીને લોકો હવે ફરિયાદ કરવાનું જ માંડી વાળે છે. વૈકલ્પિક ન્યાય આપનારી લોક અદાલતોની વ્યવસ્થાને પણ તંત્રે જાણીજોઈને નિષ્ક્રિય કરી દીધી છે; રાજ્ય પંચો દ્વારા વર્ષ ૨૦૨૨ માં ૧,૪૬૩ કેસ લોક અદાલતોને મોકલાયા હતા, જે વર્ષ ૨૦૨૪ માં ઘટીને માત્ર ૪૪૬ રહી ગયા છે. ‘કેન્દ્રીય ગ્રાહક સુરક્ષા સત્તામંડળ’ (CCPA) પણ મોટી બ્રાન્ડ્સ સામે એક્શન લેવાના બદલે માત્ર કાગળ પર સક્રિય દેખાય છે.
વીમો, આવાસ અને બેંકિંગ ક્ષેત્રે ગ્રાહકોનું શોષણ
ગ્રાહક પંચોની રચના એટલા માટે કરાઈ હતી કે સામાન્ય ગરીબ કે મધ્યમવર્ગીય માણસ વકીલોના મોટા ખર્ચ વગર કોર્પોરેટ જાયન્ટ્સ સામે ન્યાય મેળવી શકે. આજે પંચોમાં નોંધાતા કુલ કેસોમાંથી અડધાથી વધુ કેસ સામાન્ય માણસના લોહી-પરસેવાની કમાણી સાથે જોડાયેલા વીમો (Insurance), આવાસ (Housing) અને બેંકિંગ ક્ષેત્રના છે. લોન, ક્લેઈમ રિજેક્શન અને ફ્લેટ પઝેશનમાં બિલ્ડરો અને બેંકો ગ્રાહકોને ખુલ્લેઆમ લૂંટી રહ્યા છે, પણ ગ્રાહક મંચો પણ સિવિલ કોર્ટ જેવા જ જટિલ અને ખર્ચાળ બની ગયા છે. જો બજારમાં સંતુલન લાવવું હોય અને કોર્ટ પરનો બોજો ઓછો કરવો હોય, તો કાયદાના કાગળો બદલતા પહેલા પાયાના સ્તરે યુદ્ધના ધોરણે કાયમી અધ્યક્ષોની નિમણૂક કરવી પડશે, બજેટ વધારવું પડશે અને મધ્યસ્થતા (Mediation) ની પ્રક્રિયા સરળ બનાવવી પડશે, નહીંતર ગ્રાહક સુરક્ષાના નામે ચાલતી આ લૂંટ લોકશાહીના નામે કલંક બની રહેશે.
આ પણ વાંચો:
Modi Colored Cotton Promise: 31 જાન્યુઆરી 2003માં નરેન્દ્ર મોદીના હસીન સપના – thegujaratreport.com







