
Modi Colored Cotton Promise: આજે આપણે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એવા હસીન અને રંગીન સપનાઓનો પર્દાફાશ કરવો છે, જે તેમણે મુખ્યમંત્રી તરીકે સતત ૧૨-૧૩ વર્ષ સુધી ગુજરાતની ભોળી જનતાને બતાવ્યા હતા. ૩૧ જાન્યુઆરી ૨૦૦૩ના રોજ, તત્કાલીન અટલ બિહારી વાજપેયી સરકારના ટેક્સટાઈલ મિનિસ્ટર કાશીરામ રાણાની હાજરીમાં સુરતના સચિન ખાતે ૫૬ હેક્ટરમાં આકાર લેનારા દેશના સૌપ્રથમ ગારમેન્ટ એપ્રિલ પાર્કનું ખાતમુહૂર્ત કરતી વખતે નરેન્દ્ર મોદીએ મસમોટી ડિંગ હાંકી હતી. તેમણે દાવો કર્યો હતો કે ગુજરાતના ૨૫ લાખ હેક્ટર વિસ્તારમાં ખેડૂતો હવે સફેદ નહીં, પણ બાયોટેકનોલોજીની મદદથી સીધો ‘રંગીન કપાસ’ ઉગાડશે! આ ફેન્સી સપના મુજબ, કપાસમાંથી સીધું એવું કાપડ બનશે જેને રંગવાની કે ડાઈંગ (Dyeing) કરવાની કોઈ જરૂર જ નહીં પડે. 2026 આવી ગયું છતાં, ૨૩ વર્ષ જૂનું આ સપનું સાવ નકલી સાબિત થયું છે.
‘રેડ ટેપીઝમ નહીં, રેડ કાર્પેટ’
ખાતમુહૂર્ત વખતે નરેન્દ્ર મોદીએ ઉત્સાહમાં આવીને જાહેરાત કરી હતી કે રાજ્યના આર્થિક અને ઔદ્યોગિક વિકાસને ગતિશીલ બનાવવા માટે સરકારી ઓફિસોમાં ‘રેડ ટેપીઝમ’ (લાલ ફીતાશાહી) ની માનસિકતા ખતમ કરીને ઉદ્યોગો માટે ‘રેડ કાર્પેટ’ નું વાતાવરણ સર્જવામાં આવશે. શાસકોએ આ વાતો અક્ષરશઃ સાચી કરી બતાવી, પરંતુ તે માત્ર મોટા કોર્પોરેટ ગૃહો અને અમીર ઉદ્યોગપતિઓ પૂરતી જ સીમિત રહી! સુરત બાદ અમદાવાદમાં પણ ગારમેન્ટ પાર્ક બનાવવાની મોટી-મોટી વાતો કરાઈ હતી, જે જમીન પર ક્યારેય ન બની અને ઉલટાનું ત્યાં હવે મેટ્રો રેલવે સ્ટેશન ઠોકી દેવાયું છે. મૂડીવાદીઓ માટે કાયદા બદલનારી સરકારે કપાસ પકવતા ખેડૂતોને ભગવાન ભરોસે છોડી દીધા છે, જેઓ આજે પણ પૂરતા ટેકાના ભાવ (MSP) ન મળવાના કારણે રડી રહ્યા છે અને આંદોલનો કરવા મજબૂર બન્યા છે.
૨૦૦૩ના સત્તાવાર ભાષણમાં નરેન્દ્ર મોદીના શબ્દો હતા: “રંગીન વસ્ત્રો માટે બાયોટેકનોલોજીની મદદથી રંગીન કપાસનું ઉત્પાદન કરવા અને દુનિયાના વસ્ત્ર ઉદ્યોગનું બજાર સર કરવા માટે ગુજરાત તત્પર બન્યું છે.” સત્તા મેળવવા માટે આખી દુનિયા પર છવાઈ જવાની ગુલબાંગો પોકારનારા નેતા ૨૦૧૪માં દેશના વડાપ્રધાન બન્યા અને ૨૦૨૬ સુધીમાં તેમના કેન્દ્રીય શાસનને પણ ૧૨ વર્ષ પૂરા થઈ ગયા. જો તેમનામાં સાચી ઈચ્છાશક્તિ હોત, તો તેઓ કેન્દ્ર સરકાર હસ્તકની સર્વોચ્ચ સંસ્થા ‘સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ફોર કોટન રિસર્ચ’ (CICR) ને બજેટ આપીને આ વિષય પર મોટું વૈજ્ઞાનિક સંશોધન કરાવી શક્યા હોત. પરંતુ, વાસ્તવિકતા એ છે કે દિલ્હી દરબારમાં બેઠા પછી પણ આ દિશામાં કોઈ કામગીરી કરવામાં આવી નથી.
વિશ્વમાં ચીન અને ભારતમાં માત્ર ૨૦૦ હેક્ટર
વૈજ્ઞાનિક ડેટા મુજબ, કુદરતી રંગીન કપાસ (Naturally Colored Cotton) એ કોઈ નવી શોધ નથી, તે જંગલી જાત તરીકે દુનિયાના કેટલાક ભાગોમાં થાય છે. આખા વિશ્વમાં વાર્ષિક અંદાજે ૧.૬ લાખ ટન રંગીન કપાસ પેદા થાય છે, જેમાં ચીન મોખરે છે, જ્યારે પેરુ, મેક્સિકો અને મધ્ય અમેરિકામાં પણ તેનું મર્યાદિત વાવેતર થાય છે. ભારતમાં કર્ણાટક, મહારાષ્ટ્ર, તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં થઈને માંડ ૨૦૦ હેક્ટર જમીનમાં પ્રાયોગિક ધોરણે માત્ર ૩૩ ટન જેટલો આછો બ્રાઉન, લીલો કે ક્રીમ શેડનો કપાસ પેદા થાય છે. આ કપાસમાં તારની લંબાઈ ઓછી હોવાથી કાપડ બનાવવું મુશ્કેલ છે અને ઉત્પાદન ખર્ચ આસમાને પહોંચી જાય છે. સુરેન્દ્રનગરમાં પણ મોદી સરકારે વ્યાપારી ધોરણે આ વાવેતર કરાવવાના દાવા કર્યા હતા, પરંતુ આજે સમગ્ર ગુજરાતમાં માત્ર સફેદ હાઈબ્રિડ અને બીટી (BT) કોટન જ ઉગે છે.
વિદેશી બ્રાન્ડના નામે જનતાની આંખમાં ધૂળ ઝોંકવાનું બંધ કરો
નરેન્દ્ર મોદીએ એવો માર્મિક ઉલ્લેખ પણ કર્યો હતો કે વિશ્વ બજાર પર પ્રભાવ જમાવવા માટે આપણે વિદેશી ગારમેન્ટ કંપનીઓની બ્રાન્ડનો મોહ છોડી આપણી ક્ષમતા પર વસ્ત્રો બનાવવા પડશે, કારણ કે આપણા જ કપાસ પર વિદેશીઓ પોતાના લેબલ લગાવીને આપણને મોંઘા ભાવે વેચે છે. સવાલ એ થાય છે કે જો ભારતીય કપાસ એટલો ગુણવત્તાસભર હતો, તો છેલ્લા ૨૩ વર્ષમાં કપાસ પકવતા ખેડૂતો કેમ આત્મહત્યા કરી રહ્યા છે? પક્ષ કોઈ પણ હોય—ભાજપ, કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી—નેતાઓ માત્ર ચૂંટણી જીતવા માટે જનતાને હવામાં કિલ્લા ચણતા સપના બતાવે છે. સમય આવી ગયો છે કે નેતાઓ જે બોલે છે તેને બરાબર ચકાસો અને સવાલ પૂછો, નહીં તો આવા વાયદાબાજ નેતાઓ વચનોની જાળ બિછાવી પ્રજા કલ્યાણના ભોગે માત્ર પોતાની સત્તાના રોટલા શેકતા રહેશે.
આ પણ વાંચો:









