
Marco Rubio India Visit: અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિયોની વર્તમાન ભારત યાત્રા કોઈ સામાન્ય કે નિયમિત રાજદ્વારી પ્રવાસ નથી, પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસનની આર્થિક દાદાગીરી અને ટેરિફ વિવાદોથી પેદા થયેલા ભારે તણાવ અને અસહજતાને દબાવવાનો એક ચોક્કસ પ્રયાસ છે. ટ્રમ્પ સરકારની ‘અમેરિકા ફર્સ્ટ’ ની નીતિના કારણે બંને દેશો વચ્ચે વ્યાપારિક મોરચે ભારે કડવાશ પેદા થઈ છે, જેને સુધારવા માટે રુબિયો દિલ્હીમાં આખો દિવસ દોડધામ કરતા નજરે પડ્યા હતા. તેમણે પીએમ નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી, ભારતીય વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર સાથે બંધ બારણે ગુફ્તેગુ કરી અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલ સાથે પણ વ્યૂહાત્મક ચર્ચા કરી હતી. સત્તાધારી પક્ષો ભલે આને મોટી દ્વિપક્ષીય સફળતા ગણાવે, પરંતુ વાસ્તવિકતા એ છે કે ટ્રમ્પની આર્થિક નીતિઓએ ભારતને રક્ષણાત્મક મોડ પર લાવી દીધું છે.
દિલ્હીની ઇવેન્ટમાં ટ્રમ્પનો અચાનક ફોન કોલ
દિલ્હીમાં અમેરિકાના ૨૫૦મા સ્વતંત્રતા દિવસ (Independence Day) ની ભવ્ય ઉજવણી ચાલી રહી હતી, ત્યારે જ આખી ઇવેન્ટને અમેરિકી પ્રોપેગાન્ડામાં ફેરવી દેવામાં આવી હતી. બરાબર આ જ સમયે અમેરિકામાં ભારતના રાજદૂત સર્જિયો ગોરના અંગત ફોન પર અચાનક રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો લાઈવ કોલ આવ્યો હતો. ટ્રમ્પે જાહેરમાં લાઉડસ્પીકર પર કહ્યું, “મને વડાપ્રધાન ખૂબ ગમે છે. મોદી ખૂબ સારા છે અને તે મારા પરમ મિત્ર છે. ભારત મારા પર અને આપણા દેશ પર ૧૦૦% ભરોસો કરી શકે છે અને આપણે પહેલા ક્યારેય આટલા નજીક નહોતા.” જોકે, રાજકીય વિશ્લેષકો આને સસ્તી લોકપ્રિયતા મેળવવાનો સ્ટંટ ગણાવી રહ્યા છે. નોંધનીય છે કે, અત્યાર સુધી પીએમ મોદીએ પોતે ટ્રમ્પને સામેથી ફોન કર્યો નથી, જ્યારે ટ્રમ્પ પોતાના વ્યાપારિક સ્વાર્થ સાધવા માટે પીએમ મોદીને ઘણી વખત ફોન કરી ચૂક્યા છે. આ બેઠકમાં રુબિયોએ પીએમ મોદીને ટ્રમ્પનું ખાસ આમંત્રણ પણ પાઠવ્યું હતું.
અમેરિકામાં ભારતીયો પર નસ્લવાદી હુમલા
ભારત પ્રવાસ દરમિયાન જ્યારે માર્કો રુબિયોને પત્રકારોએ આકરા સવાલો પૂછ્યા કે, “અમેરિકામાં ભારતીયો અને ભારતીય-અમેરિકી મૂળના લોકો વિરુદ્ધ સતત નસ્લવાદી (Racist) ટિપ્પણીઓ અને હુમલાઓ થઈ રહ્યા છે, જે સંબંધોની બુનિયાદની વિરૂદ્ધ છે, તો આના પર તમારું શું કહેવું છે?” ત્યારે રુબિયોએ અત્યંત બિનજવાબદાર રીતે બચાવ કરતા કહ્યું કે, “મને નથી ખબર આ કોણે કર્યું, પણ હું તેને ગંભીરતાથી લઈશ. દુનિયાના દરેક દેશમાં મૂર્ખ લોકો હોય છે અને અમેરિકામાં પણ એવા લોકો છે જે આખો સમય મૂર્ખામીભરી વાતો કરે છે.” અમેરિકામાં વસતા ભારતીયોની સુરક્ષા સુનિશ્ચિત કરવાના કોઈ નક્કર કાનૂની આશ્વાસન આપવાને બદલે માત્ર ‘મૂર્ખ લોકો’ નું બહાનું ધરીને રુબિયોએ અમેરિકામાં વધી રહેલા વ્હાઇટ સુપ્રિમેસીના આતંક પર પડદો પાડી દીધો હતો.
માઇગ્રેશન કાયદાથી ભારતીયોની કમર તૂટશે
ટ્રમ્પ સરકાર દ્વારા લાવવામાં આવી રહેલા કડક માઇગ્રેશન કાયદા અને વિઝા નીતિઓ (H-1B વિઝા વિવાદ) અંગે પૂછવામાં આવતા રુબિયોએ સ્વીકાર્યું હતું કે, અમેરિકા હાલમાં ગંભીર માઇગ્રેશન કટોકટીનો સામનો કરી રહ્યું છે, પરંતુ આ કટોકટી ભારત કે ભારતીય આઇટી પ્રોફેશનલ્સના કારણે નથી. જોકે, કાયદો બદલાવાથી સૌથી મોટો ફટકો ભણેલા-ગણેલા ભારતીય યુવાનોને જ પડવાનો છે, તેના પર અમેરિકી વિદેશ મંત્રી મૌન રહ્યા હતા. બીજી તરફ, ભારત-અમેરિકા વચ્ચેના વિવાદાસ્પદ વ્યાપાર કરાર (Trade Deal) અંગે તેમણે આશા વ્યક્ત કરી કે, આગામી એક કે બે અઠવાડિયામાં તેની અંતિમ વિગતો પર કામ પૂર્ણ કરીને તેના પર હસ્તાક્ષર થઈ શકે છે, જે મોટેભાગે અમેરિકાની શરતો પર આધારિત હોવાની ભીતિ છે.
માર્કો રુબિયોએ એક સવાલના જવાબમાં સ્પષ્ટ કર્યું કે ભારત-અમેરિકા વ્યૂહાત્મક ભાગીદારી કોઈ ત્રીજા દેશ (પાકિસ્તાન કે ચીન) સાથેના સંબંધોની કિંમત પર નહીં હોય અને ભારત સાથેનો સંબંધ ખૂબ જ ખાસ છે. ભારતની વિશાળ બજાર પર નજર હોવાના કારણે રુબિયોએ વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરની ચાપલુસી કરતા કહ્યું કે, “તેઓ ખૂબ જ સમજદાર માણસ છે અને તેમનું કામ શાનદાર છે.” અંતમાં, ભારતના વૈવિધ્યના વખાણ કરતા તેમણે સ્વીકાર્યું કે જો તેઓ અહીં ચાર અઠવાડિયા પણ રોકાય તો પણ આ વિશાળ દેશને પૂરો જોઈ ન શકે. એકંદરે, આ આખી મુલાકાત અમેરિકા પર તોળાતા આર્થિક સંકટ વચ્ચે ભારતની ગ્રાહક બજારને લૂંટવા માટે ટ્રમ્પ પ્રશાસન દ્વારા ગોઠવાયેલી એક મોટી સ્માર્ટ કૂટનીતિ માત્ર છે.
આ પણ વાંચો:







