
Assam UCC Bill: અસમમાં ૨૦૨૬ની વિધાનસભા ચૂંટણીઓ માથે છે ત્યારે સત્તા ટકાવી રાખવા માટે હિમંત બિસ્વા સરમા સરકારે તેનું સૌથી મોટું હથિયાર અજમાવ્યું છે. સોમવારે અસમ વિધાનસભામાં ભારે હોબાળા વચ્ચે ‘યુનિફોર્મ સિવિલ કોડ (UCC), અસમ, ૨૦૨૬ વિધેયક’ રજૂ કરવામાં આવ્યું છે, જેના પર ૨૭ મે (બુધવાર) ના રોજ ગૃહમાં ચર્ચા થવાની છે. ઉત્તરાખંડ અને ગુજરાત બાદ અસમ આ કાયદો લાવનારું દેશનું ત્રીજું રાજ્ય બન્યું છે. ૧૫૪ પાનાના આ લાંબા વિધેયકમાં લગ્ન, છૂટાછેડા, ઉત્તરાધિકાર અને લિવ-ઇન સંબંધોને નિયંત્રિત કરવાની જોગવાઈઓ છે. ભાજપે પોતાના ચૂંટણી જાહેરનામામાં આ વચન આપ્યું હતું અને ૧૩ મેના રોજ મળેલી કેબિનેટની પ્રથમ બેઠકમાં જ તેને મંજૂરી આપી દેવાઈ હતી, જે દર્શાવે છે કે સરકાર વિકાસના મુદ્દાઓ પરથી જનતાનું ધ્યાન ભટકાવવા માટે ધાર્મિક ધ્રુવીકરણનો આશરો લઈ રહી છે.
લગ્નની ઉંમર અને રજીસ્ટ્રેશનના બહાને સરકારી દખલગીરી
પ્રસ્તાવિત બિલ મુજબ, છેતરપિંડી રોકવાના બહાને હવે તમામ લગ્નો અને છૂટાછેડાનું સરકારી રજીસ્ટ્રેશન ફરજિયાત બનાવવામાં આવ્યું છે. જોડાંઓએ લગ્ન વિધિ પત્યાના ૬૦ દિવસની અંદર સબ-રજિસ્ટ્રાર સમક્ષ મેમોરેન્ડમ રજૂ કરવું પડશે. કાયદા હેઠળ પુરુષ માટે ૨૧ વર્ષ અને સ્ત્રી માટે ૧૮ વર્ષની ઉંમર નક્કી કરાઈ છે તથા બહુપત્નીત્વ (એકથી વધુ લગ્ન) પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકીને ૭ વર્ષની જેલની જોગવાઈ કરાઈ છે. મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાનો દાવો છે કે આનાથી લિવ-ઇન સંબંધોને કાનૂની માન્યતા મળશે અને તેનાથી પેદા થતા બાળકોના અધિકારો સુરક્ષિત થશે, પરંતુ વાસ્તવિકતા એ છે કે લિવ-ઇન સંબંધોનું અનિવાર્ય રજીસ્ટ્રેશન કરાવીને સરકાર નાગરિકોની અંગત આઝાદી અને ગોપનીયતાના અધિકાર પર ત્રાપ મારી રહી છે.
‘સમાન નાગરિક સંહિતા’ કે ‘સિલેક્ટિવ સિવિલ કોડ’?
અસમની કુલ વસ્તીમાં ૩૪ ટકાથી વધુ મુસ્લિમો અને ૧૨ ટકાથી વધુ આદિવાસીઓ છે. નવાઈની વાત એ છે કે, જે કાયદાને ‘સમાન નાગરિક સંહિતા’ નું નામ આપવામાં આવ્યું છે, તેમાંથી અસમની તમામ અનુસૂચિત જનજાતિઓને (ST) સંપૂર્ણપણે મુક્તિ આપવામાં આવી છે! વિપક્ષી પક્ષો આ જ મુદ્દે સરકારને ઘેરી રહ્યા છે. ભાજપની અગાઉની સરકારમાં વિધાનસભા ઉપાધ્યક્ષ રહી ચૂકેલા અને હાલના કોંગ્રેસ ધારાસભ્ય અમીનુલ હક લસ્કરે સીધો આક્ષેપ કર્યો છે કે, “જો આ કાયદો બધા માટે સમાન જ નથી, તો આને યુસીસી કેવી રીતે કહી શકાય? આ ખરેખર યુસીસી નહીં પણ રાજ્યના ૩૪ ટકા મુસ્લિમોને હેરાન કરવા માટે લાવવામાં આવેલો ‘સિલેક્ટિવ સિવિલ કોડ’ છે, કારણ કે બાળ લગ્ન અને બહુપત્નીત્વ જેવા મુદ્દાઓ પર અગાઉ જ કાયદા બની ચૂક્યા છે.”
કોઈ નિષ્ણાત સમિતિ નહીં, કોઈ જનસંપર્ક નહીં
ગુજરાત અને ઉત્તરાખંડ જેવા રાજ્યોએ યુસીસી લાવતા પહેલા નિવૃત્ત ન્યાયાધીશોની મોટી સમિતિઓ બનાવીને જનતાના અભિપ્રાયો લીધા હતા, જ્યારે અસમમાં હિમંત સરકારે આવી કોઈ સત્તાવાર કમિટી બનાવવાની તસ્દી પણ લીધી નથી. ગુવાહાટી હાઈકોર્ટના વરિષ્ઠ વકીલ અબ્દુર રજ્જાક ભુઈયા જણાવે છે કે સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર કોઈપણ વ્યાપક કાયદો લાવતા પહેલા તમામ સમુદાયો સાથે જાહેર ચર્ચા કરવી અનિવાર્ય છે, જે અસમમાં થઈ નથી. તેથી આ બિલ કાયદો બનતાની સાથે જ અદાલતમાં ટકશે નહીં. ‘રાયજોર દલ’ ના અધ્યક્ષ અને ધારાસભ્ય અખિલ ગોગોઈના મતે, સીએમ સરમા આ બિલ માત્ર દિલ્હીમાં બેઠેલા પોતાના ‘આકાઓ’ અને ‘સંઘ પરિવાર’ ને ખુશ કરવા માટે લોકશાહીના લીરેલીરા ઉડાવીને લાવ્યા છે.
હિન્દુત્વના એજન્ડા હેઠળ મુસ્લિમ વોટબેંક તોડવાનો ખેલ
વરિષ્ઠ પત્રકારોના મતે, ૨૦૨૧ માં હિમંત બિસ્વા સરમા મુખ્યમંત્રી બન્યા ત્યારથી જ રાજ્યમાં કોમી આક્રમકતા ચરમસીમાએ પહોંચી છે. બાળ લગ્નના નામે હજારો મુસ્લિમોની ધરપકડ, ૨૦૨૪ માં મુસ્લિમ લગ્ન રજીસ્ટ્રેશન એક્ટ રદ કરવો અને ૨૦૨૫ નું બહુપત્નીત્વ વિરોધી બિલ—આ બધું એક જ એજન્ડાનો ભાગ છે. ૨૦૨૪ ની ચૂંટણી પહેલા સરકારે સીમાંકન (Delimitation) કરીને મુસ્લિમ પ્રભુત્વ ધરાવતી બેઠકો આદિવાસીઓ માટે અનામત કરી દીધી, જેથી અસમના ગૃહમાં મુસ્લિમ ધારાસભ્યોની સંખ્યા ૩૦ થી ઘટીને માત્ર ૨૨ થઈ ગઈ છે. બીજી તરફ, ભાજપ ધારાસભ્ય વિજય કુમાર ગુપ્તા ભલે આને મહિલા અધિકાર અને લૈંગિક સમાનતાનું બિલ ગણાવતા હોય, પણ અસલી વ્યુહરચના મુસ્લિમ યુવતીઓમાં સંપત્તિના અધિકારનો લોભ આપીને લઘુમતીઓના એકપક્ષીય વોટબેંકના બ્લોકને તોડવાની અને હિન્દુત્વ કાર્ડ રમીને સત્તા જાળવી રાખવાની જ છે.
આ પણ વાંચો:







