
SIR Voter List Scam: સુપ્રીમ કોર્ટ દ્વારા ચૂંટણી પંચના વિવાદાસ્પદ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એટલે કે એસઆઈઆર (SIR) ને લીલી ઝંડી આપ્યા બાદ દેશમાં નાગરિકોના બંધારણીય અધિકારો પર મોટો ખતરો ઊભો થયો છે. કોંગ્રેસે આ ચુકાદાને આડે હાથ લેતા સરકાર અને ચૂંટણી પંચની મિલીભગત સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. કોંગ્રેસે સત્તાવાર રીતે પૂછ્યું છે કે, જો સુપ્રીમ કોર્ટે પોતે જ સ્વીકાર્યું હોય કે કોઈ પણ વ્યક્તિની નાગરિકતા નક્કી કરવાનો અંતિમ અને કાનૂની અધિકાર ચૂંટણી પંચ પાસે નથી પરંતુ માત્ર ગૃહ મંત્રાલય જેવી સક્ષમ સંસ્થાઓ પાસે છે, તો પછી દેશભરમાંથી ૭.૫ કરોડ લોકોની નાગરિકતાનો આખરી નિર્ણય આવ્યા પહેલા જ વહીવટી તંત્રએ કયા કાયદા હેઠળ તેમના નામ મતદાર યાદીમાંથી હટાવી દીધા? એક એવી વહીવટી સંસ્થા જેની પાસે નાગરિકતા છીનવવાની સત્તા જ નથી, તેણે કરોડો ભારતીયોને એક ઝાટકે મતાધિકારથી વંચિત કરીને લોકશાહીનો જનાજો કાઢી નાખ્યો છે.
ચૂંટણી પંચના કાળા કારનામાનો પર્દાફાશ
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પ્રખ્યાત ધારાશાસ્ત્રી અભિષેક મનુ સિંઘવીએ એક પત્રકાર પરિષદ યોજીને કોર્ટના ચુકાદામાં રહેલા ગંભીર વિરોધાભાસોને ખુલ્લા પાડ્યા હતા. સિંઘવીએ ચુકાદાના પેરા ૯૭ થી ૧૦૧ નો હવાલો આપતા જણાવ્યું કે, ચૂંટણી પંચની આખી પ્રક્રિયા ભ્રષ્ટાચાર અને પક્ષપાતી વલણથી ખદબદતી હતી. બિહાર જેવા રાજ્યોમાં આયોજનબદ્ધ રીતે વિપક્ષી મતદારોને ટાર્ગેટ કરીને ૬૫ લાખ નામો કાઢી નાખવામાં આવ્યા હતા. આ નામો સરકારે ત્યારે જ ફરી જાહેર કરવા પડ્યા અને ભૂલ સ્વીકારવી પડી જ્યારે જાગૃત રાજકીય પક્ષો અને એનજીઓ (NGO) સરકારી અન્યાય વિરુદ્ધ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા. જો દેશના નાગરિકોએ પોતાના મતાધિકાર માટે બૂથ લેવલ એજન્ટ (BLA) અને પેરાલીગલ વોલેન્ટિયર્સની મદદથી કાનૂની લડત લડવી પડતી હોય, તો આ ચૂંટણી તંત્રની નિષ્ફળતા અને શાસક પક્ષના ઇશારે થતી મેચ ફિક્સિંગ સાબિત કરે છે.
પહેલા લિસ્ટમાંથી નામ કાપો, પછી ચૂંટણી કરાવી લો અને ન્યાય આપો છેલ્લે
સરકારી તંત્રએ કઈ હદે લોકશાહી વિરોધી માનસિકતા અપનાવી છે તેનો પુરાવો SIR માટે આપવામાં આવેલી ટૂંકી અને અવ્યવહારુ સમય-સીમા છે. બિહાર જેવા વિશાળ રાજ્યમાં કરોડો મતોની ચકાસણી માટે માત્ર ૪ મહિના અને પશ્ચિમ બંગાળમાં માંડ ૫ મહિનાનો સમય આપવામાં આવ્યો. આ આખી પ્રક્રિયા જાણીજોઈને ચૂંટણી માથા પર હતી ત્યારે જ શરૂ કરવામાં આવી જેથી સામાન્ય નાગરિકોને પોતાની નાગરિકતા સાબિત કરવાનો મોકો જ ન મળે. ચૂંટણી પંચની આ ગુનાહિત રણનીતિ હેઠળ, પહેલા લાખો ગરીબ અને વંચિત લોકોના નામ વોટિંગ લિસ્ટમાંથી ઉડાવી દેવામાં આવ્યા, ત્યારબાદ તેના પર સુનાવણી લંબાવવામાં આવી અને વચગાળાના સમયમાં ચૂંટણી પૂરતી કરી દેવામાં આવી. સુપ્રીમ કોર્ટે પણ ચૂંટણી પંચની આ મનમાની અને લાપરવાહી પર તેને કડક સજા ફટકારવાને બદલે છાવરવાનો પ્રયાસ કર્યો છે.
જે દસ્તાવેજો નાગરિકતાના પુરાવા જ નથી, તેના આધારે કરોડો ભારતીયો દેશનિકાલ
સિંઘવીએ સુપ્રીમ કોર્ટના ચુકાદાના પેરા ૧૫૬ અને પેરા ૧૯૮ ટાંકીને સરકારની નીતિઓની પોલ ખોલી નાખી છે. કોર્ટે પોતે સ્વીકાર્યું છે કે આધાર કાર્ડ કે રેશનકાર્ડ નાગરિકતાના પુરાવા નથી. આ સિવાય જન્મ પ્રમાણપત્ર, માતા-પિતાના જન્મના કાગળો, જાતિ પ્રમાણપત્ર કે ધોરણ ૧૦મીની માર્કશીટ પણ કોઈ વ્યક્તિ ભારતીય નાગરિક છે તેવું સત્તાવાર રીતે સાબિત કરી શકતા નથી. ચોંકાવનારી બાબત એ છે કે, ચૂંટણી પંચે આખા દેશમાં કરોડો લોકોના નામ કાપવા માટે આ જ કાનૂની રીતે અમાન્ય દસ્તાવેજોનો હથિયાર તરીકે ઉપયોગ કર્યો! આનાથી સ્પષ્ટ થાય છે કે, શાસકોના ઈશારે પહેલા મતદારોની છાંટણી (નિષ્કાસન) કરી નાખવામાં આવી અને અદાલતી નિર્ણય તો માત્ર પાછળથી દેખાડો કરવા માટે લવાયો છે.
પશ્ચિમ બંગાળમાં ૮૦% નામો ભૂલથી હટાવાયાની સત્તાવાર કબૂલાત
પશ્ચિમ બંગાળનો દાખલો આપતા કોંગ્રેસે સ્ફોટક દાવો કર્યો કે, ત્યાં સુપ્રીમ કોર્ટના આદેશ પછી જે સ્પેશિયલ અપીલ સિસ્ટમ બનાવવામાં આવી, તેમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. તંત્ર દ્વારા ફગાવી દેવાયેલી કુલ ૬,૦૦૦ અપીલોમાંથી ૪,૦૦૦ થી વધુ અપીલો (એટલે કે ૮૦% કેસ) મંજૂર થઈ ગઈ અને સાબિત થયું કે ચૂંટણી પંચે જાણીજોઈને ભારતીય નાગરિકોને ગેરકાયદેસર ઘૂસણખોર ગણાવીને લિસ્ટમાંથી બહાર કર્યા હતા. પરંતુ સવાલ એ છે કે જ્યારે આ ૮૦% સાચા નાગરિકોને ન્યાય મળ્યો, ત્યાં સુધીમાં તો દેશમાં ચૂંટણીઓ પતી ગઈ હતી અને શાસક પક્ષ ગેરકાયદે મતોની ગોઠવણથી સત્તા પર બેસી ગયો હતો. શું આનાથી આખી ચૂંટણી પ્રક્રિયા અને તેની કાયદેસરતા પર સવાલો નથી ઉઠતા? દેશની સર્વોચ્ચ અદાલતે આ ગંભીર લોકશાહીની હત્યા પર મૌન સેવી લીધું છે.
શાસક ભાજપનો વિપક્ષ પર વળતો દેશદ્રોહનો પ્રહાર
બીજી તરફ, સરકારી છત્રછાયા હેઠળ ચાલતા આ ખેલને બચાવવા માટે ભાજપે હંમેશની જેમ રાષ્ટ્રવાદનો પત્તો ખેલ્યો છે. સુપ્રીમ કોર્ટના ચુકાદાને પોતાની જીત ગણાવતા ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા પ્રદીપ ભંડારીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (X) પર રાહુલ ગાંધી અને કોંગ્રેસને દેશદ્રોહી ચીતરવાનો પ્રયાસ કર્યો છે. ભાજપે આક્ષેપ કર્યો કે, સુપ્રીમ કોર્ટે SIR ને બંધારણીય ગણાવીને કોંગ્રેસને બેનકાબ કરી દીધી છે. ભાજપના મતે કોંગ્રેસ સાચા ભારતીય મતદારો સાથે નહીં, પરંતુ સરહદ પારથી આવેલા ગેરકાયદે ઘૂસણખોરોની વોટબેંક બચાવવા માટે જ આ આખી પ્રક્રિયાનો વિરોધ કરી રહી હતી, જે એક પ્રકારે ‘એન્ટી-નેશનલ એક્ટ’ (દેશ વિરોધી કૃત્ય) છે. ભાજપે રાહુલ ગાંધી પાસે ભારતીય લોકશાહીને વૈશ્વિક સ્તરે બદનામ કરવા બદલ માફીની માંગણી કરી છે.
સુપ્રીમ કોર્ટનો ડબલ સ્ટાન્ડર્ડ ચુકાદો
બિહાર અને અન્ય રાજ્યોમાં સરકારી મશીનરી દ્વારા લાખો નામો કાઢી નાખવા વિરુદ્ધ દાખલ થયેલી અરજીઓ પર સુપ્રીમ કોર્ટે બુધવારે પોતાનો અંતિમ ચુકાદો આપ્યો હતો. અરજદારોની દલીલ હતી કે બંધારણની કલમ ૩૨૬ અને જન પ્રતિનિધિત્વ એક્ટ હેઠળ ચૂંટણી પંચને નાગરિકોની નાગરિકતા ચકાસવાનો કે SIR કરવાનો કોઈ કાનૂની અધિકાર જ નથી. જો કે, કોર્ટે સ્થાપિત શાસન વ્યવસ્થાની તરફેણ કરતા કહ્યું કે, ચૂંટણી પંચ મર્યાદિત દાયરામાં કોઈ વ્યક્તિનું નામ મતદાર યાદીમાં રાખવું કે નહીં તે નક્કી કરી શકે છે, પરંતુ તેનાથી તે વ્યક્તિની નાગરિકતા કાયમી ધોરણે ખતમ થતી નથી. જો પંચ નાગરિકની પાત્રતાથી સંતુષ્ટ ન થાય, તો તેણે કેસ ટ્રિબ્યુનલ અથવા ગૃહ મંત્રાલયને મોકલવો પડશે. આમ, કોર્ટે ટેકનિકલ છટકબારીઓનો ઉપયોગ કરીને શાસક પક્ષને ક્લીનચીટ આપી દીધી છે, જેના કારણે હવે દેશમાં પારદર્શક ચૂંટણીના નામે વિપક્ષી મતદારોનો સફાયો કરવાનો સત્તાવાળાઓનો રસ્તો સાવ સાફ થઈ ગયો છે.
આ પણ વાંચો:
Gujarat Pregabalin Drug Racket: રોગમાં વપરાતી દવા નશા માટે – thegujaratreport.com
Partyless Election India: 8 વર્ષથી ગુજરાતમાં એક જ માંગ — પક્ષ વગરની ચૂંટણી! – thegujaratreport.com








