
Varanasi Ganga Iftar Case: વારાણસીના ઐતિહાસિક નમો ઘાટ પર માર્ચ ૨૦૨૬માં રમઝાન માસ દરમિયાન હોડીમાં બેસીને ઈફ્તાર કરનારા ૧૪ મુસ્લિમ યુવકોનો મામલો સત્તાધારી પક્ષ અને વહીવટી તંત્રની મિલીભગતનો ખુલ્લો નમૂનો બની ગયો છે. સ્થાનિક ભાજપ યુવા મોરચાના પ્રમુખ રજત જાયસવાલની કથિત ધાર્મિક લાગણી દુભાવાની ફરિયાદના આધારે કોતવાલી પોલીસે તાત્કાલિક એફઆઈઆર (૬૫/૨૦૨૬) નોંધી કાનૂની શિકંજો કસ્યો હતો. ગોદી મીડિયા અને શાસક પક્ષે આ ઘટનાને ‘ગંગામાં ચિકન બિરયાની ખાઈને હાડકાં ફેંકવાનું જેહાદી કૃત્ય’ ગણાવીને જોરશોરથી બદનામ કરી, જેના કારણે સામાન્ય મધ્યમવર્ગીય પરિવારોના આ ૨૦-૨૨ વર્ષના નિર્દોષ છોકરાઓને આશરે ૬૦ દિવસ સુધી જેલના સળિયા પાછળ સડવું પડ્યું.
સુપ્રીમ કોર્ટના નિયમોના લીરેલીરા ઉડાડતી વારાણસી પોલીસ
કાયદાકીય જોગવાઈઓ મુજબ પોલીસે શરૂઆતમાં ભારતીય ન્યાય સંહિતા (BNS) અને જળ અધિનિયમની સામાન્ય કલમો લગાવી હતી, જેમાં ૭ વર્ષથી ઓછી સજા હોવાથી સુપ્રીમ કોર્ટના અર્નેશ કુમાર ચુકાદા મુજબ સીધી ધરપકડ થઈ શકે નહીં. પરંતુ સત્તાના નશામાં ચૂર પોલીસે આ નિયમને બાયપાસ કરવા માટે ધરપકડના બે દિવસ પછી મેજિસ્ટ્રેટ કોર્ટમાં અચાનક BNSની કલમ ૩૦૮(૫) (ડરાવી-ધમકાવીને તોડબાજી કરવી) ઉમેરી દીધી, જેમાં ૧૦ વર્ષની સજાની જોગવાઈ છે. પોલીસે દાવો કર્યો કે નાવિકો અનિલ અને રંજન સાહનીના નિવેદન પરથી આ કલમ ઉમેરાઈ છે, પરંતુ હકીકતમાં આ કલમ માત્ર યુવકોના જામીન રોકવા અને તેમને જેલમાં રાખવા માટેનું એક સરકારી તૂત હતું.
નદી પ્રદૂષણના ખોટા કેસની ખુલી ગઈ પોલ
પોલીસે જે કચરો કે હાડકાં નદીમાં ફેંકવાનો મોટો હોબાળો મચાવ્યો હતો, તેની ગ્રાઉન્ડ રિયાલિટી સેશન કોર્ટમાં ખુલ્લી પડી ગઈ. જળ પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ અધિનિયમ ૧૯૭૪ના સેક્શન ૨૪ હેઠળ નદીમાં ‘ઝેરી કે પ્રદૂષણકારી પદાર્થ’ નાખ્યાના કોઈ જ નક્કર કે ફોરેન્સિક પુરાવા ન મળતા પોલીસે પોતે જ આ કલમ કોર્ટમાંથી હટાવી લેવી પડી હતી. ખુદ એસીપી વિજય પ્રતાપ સિંહે સ્વીકાર્યું કે તેમની પાસે હાડકાં ફેંકવાનો કોઈ વિડીયો કે વૈજ્ઞાનિક પુરાવો નથી. આ ઉપરાંત, વારાણસી મહાનગરપાલિકાના જનસંપર્ક અધિકારી સંદીપ શ્રીવાસ્તવે પણ સ્પષ્ટ કર્યું છે કે ગંગા નદીમાં હોડી પર શું ખાવું કે શું નહીં, તેને લઈને તંત્રનો કોઈ નિયમ અસ્તિત્વ ધરાવતો જ નથી.
ખોટા કેસ અને સત્તાના ખોફથી ફફડતા મુસ્લિમ પરિવારો
બનારસના મદનપુરામાં સાડીનો વ્યાપાર કરતા આ ગરીબ મુસ્લિમ પરિવારો સરકારી તંત્રના ડરથી એટલા સહમી ગયા છે કે તેઓ મીડિયા સામે મોં ખોલવા પણ તૈયાર નથી. હાઈકોર્ટમાં જામીન મેળવવા માટે આ યુવકોના વકીલોએ પૂરક સોગંદનામું રજૂ કરવું પડ્યું, જેમાં તપાસ પર પ્રતિકૂળ અસર પડ્યા વિના બિનશરતી માફી અને મા ગંગા પ્રત્યે આદર વ્યક્ત કરવો પડ્યો. આખરે ૬૦ દિવસની આકરી કસ્ટડી ભોગવ્યા બાદ, જસ્ટિસ રાજીવ લોચન શુક્લા અને જસ્ટિસ જિતેન્દ્ર કુમાર સિંહાની કોર્ટે તમામ ૧૪ યુવકોના જામીન મંજૂર કર્યા છે.
પોલીસની સ્ક્રિપ્ટ પર હાઈકોર્ટે પણ ઉઠાવ્યા ગંભીર સવાલો
જસ્ટિસ રાજીવ લોચન શુક્લાએ જામીન આપતી વખતે પોલીસની કથિત ‘તોડબાજી’ (extortion) ની વાર્તા પર આકરી શંકા વ્યક્ત કરી છે. કોર્ટે નોંધ્યું કે નાવિક અનિલ સાહની પોતે ફરિયાદ કરવા આવ્યો નહોતો પરંતુ પોલીસે કથિત નિવેદન ઊભું કર્યું હતું. બીજી તરફ, હોડીના અસલી માલિક કાશી સાહની અને તેમની પુત્રી નૈના સાહનીએ ખુલાસો કર્યો હતો કે નાઝુ યાદવ નામના વ્યક્તિએ રૂ. ૧૮૦૦ ભાડું નક્કી કરીને કાયદેસર રીતે હોડી લીધી હતી અને ૪૫ મિનિટમાં હોડીની ચાવી પણ પરત આપી દીધી હતી. હજુ સુધી પોલીસે આ કેસમાં ચાર્જશીટ દાખલ કરી નથી, જે દર્શાવે છે કે સત્તાધારી નેતાઓને ખુશ કરવા માટે વહીવટી તંત્રે કાયદાનો દુરુપયોગ કરીને અલ્પસંખ્યક યુવકોને બલિનો બકરો બનાવ્યા હતા.
આ પણ વાંચો:
Partyless Election India: 8 વર્ષથી ગુજરાતમાં એક જ માંગ — પક્ષ વગરની ચૂંટણી! – thegujaratreport.com








