
Surjit Bhalla on India Economy: પીએમ મોદીની આર્થિક સલાહકાર પરિષદના પૂર્વ સભ્ય અને વર્ષો સુધી ટીવી ચર્ચાઓમાં સરકારની નીતિઓનો તાર્કિક બચાવ કરનારા કટ્ટર સમર્થક અર્થશાસ્ત્રી સુરજીત ભલ્લાના સૂર હવે સંપૂર્ણ બદલાઈ ગયા છે. ભલ્લાએ મે ૨૦૨૬માં ‘ઇન્ડિયન એક્સપ્રેસ’માં એક તીખો લેખ લખીને શાસક પક્ષના પ્રચાર યુદ્ધને મોટો ઝટકો આપ્યો છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં લખ્યું છે કે પશ્ચિમ બંગાળની જીત એ ભાજપની ઐતિહાસિક રાજકીય સફળતા જરૂર હોઈ શકે, પરંતુ અર્થતંત્રને સંભાળવાની બાબતમાં સરકારનું પ્રદર્શન સાવ તળિયે પહોંચી ગયું છે. ભલ્લાના મતે, આ વર્તમાન આર્થિક અરાજકતા માટે ખુદ નરેન્દ્ર મોદી સરકારની પોતાની ભૂલો, મોટું ઉદ્યોગ જગત, નિષ્ક્રિય કોંગ્રેસ અને પડદા પાછળ કામ કરતું ‘ડીપ સ્ટેટ’ મુખ્ય રૂપે જવાબદાર છે.
વિશ્વની સૌથી ઝડપી અર્થવ્યવસ્થાનો દાવો પોકળ
સરકાર દ્વારા દેશ-વિદેશમાં જે ‘સૌથી ઝડપથી વિકસતી મોટી અર્થવ્યવસ્થા’ હોવાનો ઢંઢેરો પીટવામાં આવે છે, તેને સુરજીત ભલ્લાએ સત્તાવાર આંકડાઓ સાથે તગડો વળતો પ્રહાર કર્યો છે. ૨૦૧૪થી ભાજપના શાસનકાળ દરમિયાન જીડીપી વૃદ્ધિ દરના આધારે ભારત વિશ્વમાં છેક નવમા ક્રમે ફેંકાઈ ગયું છે. વધુમાં, પ્રતિ વ્યક્તિ જીડીપી વૃદ્ધિમાં ભારત ૮મા સ્થાને અને અમેરિકન ડોલરમાં પ્રતિ વ્યક્તિ આવકની વૃદ્ધિના આધારે છેક ૧૬મા ક્રમે છે. આ સમયગાળામાં વાર્ષિક ૮.૩ ટકાની વૃદ્ધિ સાથે બાંગ્લાદેશ પ્રથમ અને ઇથોપિયા ૭.૨ ટકા સાથે બીજા સ્થાને રહ્યું છે, જ્યારે ભારત માત્ર ૪.૭ ટકા પર જ અટકી ગયું છે. ભલ્લા કહે છે કે હવે ભારતને વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મોટી અર્થવ્યવસ્થા કહેવાનું સત્તાવાળાઓએ બંધ કરી દેવું જોઈએ.
ચલણ બચાવવામાં આરબીઆઈના ધબડકા
દેશમાં આર્થિક સ્થિરતાના સરકારી દાવાઓની વચ્ચે ભારતીય રૂપિયાનું અવમૂલ્યન અટકવાનું નામ નથી લઈ રહ્યું. છેલ્લા એક વર્ષમાં રૂપિયો અમેરિકન ડોલરની સામે ૧૨ ટકા જેટલો નબળો પડ્યો છે અને આ સતત સાતમું વર્ષ છે જ્યારે ચલણ તૂટ્યું છે. વર્ષ ૨૦૨૫માં ભારતીય રૂપિયો આખા એશિયામાં સૌથી ખરાબ પ્રદર્શન કરનારા ચલણોમાં ટોચ પર હતો. પૂર્વ મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યમના જણાવ્યા મુજબ, વર્ષ ૨૦૨૨ થી ૨૦૨૬ વચ્ચે રૂપિયો ૨૦ ટકાથી વધુ ગગડી ગયો છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) એ પોતાના વિદેશી હૂંડિયામણ ભંડારનો અડધોઅડધ (૫૦ ટકા) હિસ્સો બજારમાં હોમી દીધો હોવા છતાં દેશના ચલણને કડાકામાંથી બચાવવામાં તંત્ર સંપૂર્ણ નિષ્ફળ સાબિત થયું છે.
અરવિંદ સુબ્રમણ્યમનો દિલ્હી અને મુંબઈ પર પ્રહાર
વર્ષ ૨૦૧૪ થી ૨૦૧૮ સુધી મોદી સરકારમાં મુખ્ય આર્થિક સલાહકાર રહેલા અરવિંદ સુબ્રમણ્યમે પણ તીખા પ્રહારો કરતા દેશમાં ‘નેતૃત્વ પરિવર્તન’ની ખુલ્લી માંગ કરી દીધી છે. તેમણે લખ્યું છે કે દેશ જ્યારે ગંભીર આર્થિક કટોકટી અને રૂપિયાના અવમૂલ્યનનો સામનો કરી રહ્યો છે, ત્યારે દિલ્હી (કેન્દ્ર સરકાર)માં ઘોર દિશાહીનતા અને શાંતિ દેખાય છે, જ્યારે મુંબઈ (રોકાણકારો)માં ભયનો માહોલ છે. વડાપ્રધાન દ્વારા કરકસરની અપીલ અને આવા સંકટના સમયે તેમના લાંબા વિદેશ પ્રવાસોએ બજાર અને રોકાણકારોના આત્મવિશ્વાસને મોટો ફટકો માર્યો છે. રોકાણકારોને હવે આ સરકાર પર ભરોસો રહ્યો નથી અને ખાનગી કોર્પોરેટ રોકાણ જે ક્યારેક જીડીપીના ૧૭ ટકાની ટોચે હતું, તે આજે ઘટીને અડધું થઈ ગયું છે.
સરકારી સંસ્થાઓનો દુરુપયોગ અને મિત્ર મૂડીવાદ
અરવિંદ સુબ્રમણ્યમે સરકારની પક્ષપાતી નીતિઓની પોલ ખોલતા આક્ષેપ કર્યો છે કે, સરકારે આખી વહીવટી વ્યવસ્થાને એવી રીતે વાળી દીધી છે કે તેનો સીધો આર્થિક લાભ માત્ર ગણતરીના મોટા કોર્પોરેટ ઘરાનાઓ (મિત્ર મૂડીવાદ)ને જ મળે, જ્યારે બાકીના સ્થાનિક અને વિદેશી રોકાણકારો નુકસાન વેઠતા રહે. આ ઉપરાંત, સંસાધનોની ફાળવણીમાં માત્ર ભાજપ શાસિત રાજ્યોને જ પ્રાથમિકતા આપવી, ઈડી અને સીબીઆઈ જેવી દમનકારી સરકારી સંસ્થાઓનો ઉપયોગ રાજકીય વિરોધીઓ અને વેપારીઓને ડરાવવા માટે કરવો અને કરવેરાના કાયદા મનસ્વી રીતે થોપવા જેવા પગલાંઓએ ભારતના ફેડરલ માળખાને તોડી નાખ્યું છે.
૫ ટ્રિલિયન ડોલરની ગુમ થયેલી વાર્તા
પૂર્વ પીએમ મનમોહન સિંહના મીડિયા સલાહકાર સંજય બારુએ પણ વર્તમાન વ્યવસ્થા પર નિશાન સાધતા જણાવ્યું કે, મોદી સરકારે ૨૦૧૭માં વાતો કરી હતી કે ૨૦૨૦ સુધીમાં ભારતનું અર્થતંત્ર ૫ ટ્રિલિયન ડોલરનું થઈ જશે, જે લક્ષ્ય પછીથી ૨૦૨૨ અને ૨૦૨૫ સુધી ઠેલાતું રહ્યું અને હવે તે ચર્ચામાંથી જ ગાયબ થઈ ગયું છે. વાસ્તવમાં, વર્ષ ૨૦૨૬માં ભારતીય અર્થતંત્રનું કદ હજુ માત્ર ૪ ટ્રિલિયન ડોલરથી થોડું જ વધારે છે. દેશ જ્યારે ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બનવાની અણી પર હતો ત્યારે બહુ ઉત્સવ મનાવાયો, પણ આજે જ્યારે ભારત પાછળ ધકેલાઈને છેક છઠ્ઠા સ્થાને પહોંચી ગયું છે, ત્યારે આજનું ડરેલું-સંકોચશીલ ગોદી મીડિયા સરકારને સવાલ પૂછવાની હિંમત પણ કરી શકતા નથી.
આ પણ વાંચો:







