
Narmada Canal Yojana Gujarat: ગુજરાતના ખેડૂતોની કિસ્મત બદલવા અને ૧૮ લાખ હેક્ટર વિસ્તારને લીલોછમ કરવાના દાવા સાથે શરૂ કરાયેલી નર્મદા યોજના આજે માત્ર ભ્રષ્ટાચાર અને અધૂરી કામગીરીનો નમૂનો બની ગઈ છે. પીવાના પાણી, ઉદ્યોગોની મહેરબાની અને સાબરમતી નદીને માત્ર દેખાડો કરવા માટે ખોટી રીતે ભરવામાં આ યોજના ભલે સફળ રહી હોય, પરંતુ વાસ્તવિક સિંચાઈના નામે શાસકોની પોલ ખુલ્લી પડી ગઈ છે. વર્ષ ૨૦૦૨-૦૩માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ વચનો આપ્યા હતા કે ડ્રીપ ઇરિગેશન સહિત કુલ ૩૫ લાખ હેક્ટર જમીનને પાણી અપાશે. પરંતુ ૨૪ વર્ષના લાંબા શાસન બાદ આજે ૨૦૨૬માં પણ માત્ર ૫ લાખ હેક્ટરમાં જ માંડ સિંચાઈ થઈ રહી હોવાનું અનુમાન છે. નેતાઓ નર્મદાના નામે વોટ વટાવીને નહેરોના રસ્તે છેક દિલ્હીની ગાદી સુધી તો પહોંચી ગયા, પણ જેમના દમ પર સત્તા મેળવી તે ખેડૂતો આજે પણ તાપમાં પાણી વિના ટળવળી રહ્યા છે.
સરકારે ૨૦૧૪થી સત્તાવાર આંકડા છુપાવ્યા
શાસક પક્ષની મિલીભગત અને વહીવટી તંત્રની નાકામી છુપાવવા માટે સરકારે ૨૦૧૪થી નર્મદા યોજનાના સિંચાઈ સંબંધિત સત્તાવાર આંકડા પબ્લિક ડોમેનમાં મૂકવાના જ બંધ કરી દીધા છે. છેલ્લે જૂન ૨૦૧૪માં અહેવાલ જાહેર કરાયો ત્યારે માત્ર ૨ લાખ હેક્ટરમાં જ સિંચાઈ થતી હોવાનો ચોંકાવનારો ઉલ્લેખ હતો. ત્યાર પછી નરેન્દ્ર મોદી પીએમ બન્યા એટલે આંકડાઓ જ ગાયબ કરી દેવાયા. સરકાર જનતા અને ખેડૂતોથી કંઈક મોટું છુપાવી રહી છે. ૧૭ જિલ્લા, ૭૭ તાલુકા અને ૩,૧૭૭ ગામોના ખેડૂતો આજે પણ એ આશાએ બેઠા છે કે ક્યારે નહેરનું પાણી તેમના ખેતર સુધી આવશે, પરંતુ સરકારી બાબુઓ માત્ર કાગળ પર જ વિકાસની ગુલબાંગો ફૂંકી રહ્યા છે.
૩ લાખ હેક્ટરમાં હજુ સુધી માઇનોર-સબ માઇનોર નહેરો જ બની નથી
મોદી સાહેબ ૨૦૦૨-૦૩ના ભાષણમાં ૮૫,૦૦૦ કિલોમીટર લાંબી નહેરોનું માળખું દેશની રેલવે લાઇન કરતાં પણ મોટું હોવાની વાતો કરતા હતા. પરંતુ વાસ્તવિકતા એ છે કે ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના ૨૦૨૪ના અહેવાલ મુજબ સત્તાવાળાઓએ આ પ્લાન ઘટાડીને માત્ર ૭૦,૦૦૦ કિલોમીટરનો કરી નાખ્યો, એટલે કે ૧૫,૦૦૦ કિલોમીટર નહેરો તો કાગળ પરથી જ ગાયબ થઈ ગઈ! વાસ્તવમાં આજે પણ ૨,૩૭,૦૦૦ હેક્ટર વિસ્તારમાં ખેતર સુધી જતી સબ-માઇનોર નહેરો બની જ નથી. જ્યારે મુખ્ય માઇનોર નહેરોમાં પણ ૬૬,૦૦૦ હેક્ટરનું કામ અધૂરું છે. આમ, કુલ ૩ લાખ હેક્ટર સુધી પહોંચનારી શાખા નહેરોનું અસ્તિત્વ જ નથી, તો પછી ભૂપેન્દ્ર પટેલની વર્તમાન સરકાર કયા મોઢે નર્મદા યોજના સફળ થઈ હોવાના રાગ આલાપે છે?
કચ્છ અને સરહદી વિસ્તારો સાથે ક્રૂર મજાક
ગુજરાતની જીવાદોરી ગણાતી નર્મદાના પાણી પર કચ્છનો મોટો હક હતો. સરહદ પર પાકિસ્તાનની બોર્ડર નજીક આવેલા ગામડાઓમાં જોશભેર પાણી પહોંચાડવાના અને રાધનપુર, પાટણ, સમી પટ્ટાના ધૂળિયા વિસ્તારોને લીલાછમ કરવાના દાવા કરાયા હતા. દાડમ, ખારેક અને તરબૂચની ખેતીના નામે સમૃદ્ધિના જે સપના બતાવાયા હતા, તે આજે ઠગારા સાબિત થયા છે. કચ્છને મળવાપાત્ર ૧ લાખ એમસીએફટી પાણી બિલકુલ અપાતું નથી, જેના કારણે ગણ્યા-ગાંઠ્યા વિસ્તારોને બાદ કરતાં આખું કચ્છ સિંચાઈ વિના તરસું છે અને જમીનો બંજર બની રહી છે.
ગુજરાત પ્રત્યે કેન્દ્રનું ઓરમાયું વર્તન
જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે દિલ્હીની કેન્દ્ર સરકાર ફાઇલો દબાવીને બેઠી હોવાના અને ગુજરાતના હકનું ભંડોળ રોકતી હોવાના આક્ષેપો કરતા હતા. પરંતુ પોતે વડાપ્રધાન બન્યા પછી કાલચક્ર એવું ફર્યું કે તેઓ પોતે જ ગુજરાત સાથે અન્યાય કરી રહ્યા છે. વિગતો મુજબ, ૨૦૧૪ થી ૨૦૧૭ દરમિયાન ગુજરાત સરકારે નર્મદા માટે રૂ. ૫,૭૮૪ કરોડ માંગ્યા હતા, પણ કેન્દ્ર સરકારે માત્ર ૫૦% (રૂ. ૨,૫૭૨ કરોડ) જ આપ્યા. ૨૦૧૫ થી ૨૦૨૦ સુધી ૩૩% રકમ ન મળી અને ૨૦૨૦ થી ૨૦૨૩ દરમિયાન સૌની યોજના માટે જરૂરી રૂ. ૧,૫૦૦ કરોડમાંથી કેન્દ્રએ માત્ર ૩૫% જ રકમ ફાળવી. ગુજરાતના ખેડૂતોએ નહેરો માટે પોતાની ૩૦,૦૦૦ એકરથી વધુ કિંમતી જમીનો ઉદારતાથી દાનમાં આપી દીધી, છતાં આજે કેન્દ્ર અને રાજ્યની ડબલ એન્જિન સરકાર તેમની જ પીઠમાં ખંજર ભોંકી રહી છે.
આ પણ વાંચો:
Partyless Election India: 8 વર્ષથી ગુજરાતમાં એક જ માંગ — પક્ષ વગરની ચૂંટણી! – thegujaratreport.com
Gujarat Pregabalin Drug Racket: રોગમાં વપરાતી દવા નશા માટે – thegujaratreport.com








