
Patanjali Medicine Seized Maharashtra: મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) એ સામાન્ય જનતાના આરોગ્ય સાથે રમત કરતી મોટી કોર્પોરેટ કંપનીઓ વિરુદ્ધ એક મોટું રાજ્યવ્યાપી અભિયાન શરૂ કર્યું છે. સત્તાધારીઓની નજર હેઠળ વર્ષોથી આયુર્વેદના નામે ભ્રામક જાહેરાતો અને ચમત્કારિક પરિણામોના નકલી દાવાઓ વેચતી કંપનીઓ પર શુક્રવારે કાનૂની સપાટો બોલાવવામાં આવ્યો. એફડીએની ટીમોએ વિવિધ સ્થળોએ દરોડા પાડીને કુલ ૭૩.૨૪ લાખ રૂપિયાની શંકાસ્પદ દવાઓનો જથ્થો જપ્ત કરી લીધો છે. ચોંકાવનારી અને શરમજનક બાબત એ છે કે આ જપ્ત કરાયેલી દવાઓમાંથી સિંહફાળો એટલે કે ૫૧.૪૧ લાખ રૂપિયાની દવાઓ ખુદ બાબા રામદેવ સાથે જોડાયેલા પતંજલિ ગ્રૂપની હરિદ્વાર સ્થિત કંપની ‘દિવ્ય ફાર્મસી’ દ્વારા ઉત્પાદિત કરવામાં આવી છે. ધર્મના ઓથાર હેઠળ અબજોનું ટર્નઓવર કરતી આ કંપનીઓ કઈ રીતે કાયદાના લીરેલીરા ઉડાડીને ગંભીર બીમારીઓના નામે ગેરંટીડ ઇલાજ વેચી રહી હતી, તેનો પર્દાફાશ આ સરકારી કાર્યવાહીમાં થયો છે.
પ્રામાણિક આઇએએસ તુકારામ મુંઢેએ સત્તા સંભાળતા જ ભ્રષ્ટ કૌભાંડીઓની ઊંઘ હરામ કરી
અહેવાલ મુજબ, આ આખી કાર્યવાહી તાજેતરમાં જ મહારાષ્ટ્ર FDA ના કમિશનર તરીકે નિમણૂક પામેલા કડક અને બાહોશ અધિકારી તુકારામ મુંઢેની સીધી સૂચના પર કરવામાં આવી છે. સત્તાધારી રાજકારણીઓની રહેમનજર હેઠળ ચાલતા સરકારી વિભાગોમાં ૨૫ મેના રોજ કાર્યભાર સંભાળતાની સાથે જ મુંઢેએ લોકહિતને સર્વોપરી ગણીને કડક એક્શન પ્લાન તૈયાર કર્યો હતો. સામાન્ય રીતે મોટા કોર્પોરેટ ઘરાનાઓ સામે આંખ આડા કાન કરતા તંત્રને હચમચાવીને તેમણે મુંબઈ, કોંકણ, પુણે, નાસિક, અમરાવતી, નાગપુર અને છત્રપતિ સંભાજીનગર સહિત FDA ના તમામ સાત પ્રાદેશિક વિભાગોમાં એક સાથે સામૂહિક દરોડા પાડવાના આદેશ આપ્યા હતા, જેનાથી મિલાવટખોરો અને વહીવટી શરણાગતિ સ્વીકારી ચૂકેલા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
કાયદાને ઘોળીને પી જતી ૧૨ આયુર્વેદિક સંસ્થાઓ પર કડક સિકંજો કસાયો
એફડીએના વરિષ્ઠ અધિકારીઓએ સત્તાવાર રીતે જણાવ્યું છે કે આ સમગ્ર કાનૂની કાર્યવાહી ‘ડ્રગ્સ એન્ડ મેજિક રેમેડીઝ (ઓબ્જેક્શનેબલ એડવર્ટાઇઝમેન્ટ્સ) એક્ટ, ૧૯૫૪’ હેઠળ કરવામાં આવી છે. આ કાયદો રોગોના નામે થતી અંધશ્રદ્ધા ફેલાવતી અને ખોટા ચમત્કારો બતાવતી જાહેરાતો પર પ્રતિબંધ મૂકે છે. આ વિશેષ ઝુંબેશ દરમિયાન રાજ્યભરની ૧૨ મોટી આયુર્વેદિક દવાની ઉત્પાદક અને વિક્રેતા સંસ્થાઓની આકરી તપાસ કરવામાં આવી હતી. તપાસમાં બહાર આવ્યું કે આ સંસ્થાઓ ગંભીર આસાધ્ય રોગો મટાડવાના ગેરકાયદેસર અને ગેરમાર્ગે દોરનારા દાવાઓ કરીને ભોળી જનતાના ખિસ્સા ખંખેરી રહી હતી, જેના કારણે ઘટનાસ્થળેથી જ લાખોનો માલ જપ્ત કરવામાં આવ્યો હતો.
મહારાષ્ટ્રના ખૂણે-ખૂણેથી પતંજલિની નકલી દાવાઓ વાળી દવાઓનો જથ્થો પકડાયો
દિવ્ય ફાર્મસી દ્વારા બજારમાં ઉતારવામાં આવેલી આ પ્રોડક્ટ્સનો જથ્થો મહારાષ્ટ્રના અલગ-અલગ જિલ્લાઓમાંથી મોટા પ્રમાણમાં ઝડપાયો છે. એફડીએના આંકડા મુજબ, એકલા કોંકણ વિસ્તારમાંથી ૧૮.૫૮ લાખ રૂપિયા, પુણેમાંથી ૧૪.૬૮ લાખ રૂપિયા, નાગપુરમાંથી ૭.૨૬ લાખ રૂપિયા અને નાસિકમાંથી ૭.૧૦ લાખ રૂપિયાની દવાઓ જપ્ત કરાઈ છે. આ સિવાય દેશની આર્થિક રાજધાની મુંબઈમાંથી ૧.૮૫ લાખ રૂપિયા, અમરાવતીમાંથી ૧.૪૨ લાખ રૂપિયા અને છત્રપતિ સંભાજીનગરમાંથી ૪૮,૭૧૮ રૂપિયાની કિંમતની ગેરકાયદે દવાઓ જપ્ત કરવામાં આવી છે. આ આંકડા સાબિત કરે છે કે સરકારી તંત્રની લાપરવાહીનો ફાયદો ઉઠાવીને આ કંપનીઓએ આખા રાજ્યમાં ગેરકાયદેસર દવાઓનું કેવું મોટું જાળું ફેલાવી રાખ્યું હતું.
સામાન્ય લોકો જે પ્રોડક્ટ્સને ટીવી પર આવતી જાહેરાતો જોઈને સાચી માની લે છે, તેવી પતંજલિની અસંખ્ય મુખ્ય દવાઓ આ કાર્યવાહીમાં જપ્ત કરવામાં આવી છે. આ લિસ્ટમાં પતંજલિની ભારે પ્રચારિત પ્રોડક્ટ ‘દ્રષ્ટિ આઇ ડ્રોપ’, ‘ગિલોય ઘન વટી’, ‘કુટજ ઘન વટી’, ‘સિસ્ટોગ્રિટ ડાયમંડ ટેબ્લેટ’, ‘ન્યુરોગ્રિટ ગોલ્ડ કેપ્સ્યુલ’, ડાયાબિટીસ મટાડવાનો દાવો કરતી ‘મધુગ્રિટ ટેબ્લેટ’ અને યાદશક્તિ વધારવાના નામે વેચાતી ‘મેમોરીગ્રિટ ટેબ્લેટ’ નો સમાવેશ થાય છે. આ તમામ પ્રોડક્ટ્સ પર કાયદાકીય માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરીને ગ્રાહકોને ભ્રમિત કરવાનો ગંભીર આરોપ છે.
માત્ર આયુર્વેદ જ નહીં, એલોપેથિક દવાઓના નામે ચાલતા ગોરખધંધાનો પણ પર્દાફાશ
એફડીએની આ પ્રશંસનીય કડક કાર્યવાહી માત્ર આયુર્વેદિક માફિયાઓ પૂરતી સીમિત નહોતી. ઇન્સ્પેક્શન દરમિયાન પુણે વિસ્તારમાં એલોપેથિક દવાઓ બનાવતી ફાર્માસ્યુટિકલ કંપનીઓની પોલ પણ ખુલી ગઈ હતી. પુણેમાંથી એફડીએની ટીમે આશરે ૨૧.૮૩ લાખ રૂપિયાની કિંમતની એવી એલોપેથિક દવાઓ જપ્ત કરી છે જેના પર ખોટું લેબલિંગ (નકલી વિગતો) છાપવામાં આવ્યું હતું. સમગ્ર બજારમાં નકલી અને નિયમો વિરુદ્ધની એલોપેથિક દવાઓનો આ સૌથી મોટો જથ્થો છે, જે દર્શાવે છે કે માનવ જીવ બચાવવાના નામે દવા ઉદ્યોગમાં કેવું મોટું સત્તાવાર નેક્સસ કામ કરી રહ્યું છે.
આખા મહારાષ્ટ્રમાં એક સાથે હાથ ધરાયેલા આ ઓપરેશનમાં જપ્ત કરાયેલી આયુર્વેદિક અને એલોપેથિક દવાઓની કુલ કિંમત ૭૩,૨૪,૬૫૬ રૂપિયા આંકવામાં આવી છે. રાજ્યના ઇતિહાસમાં ઔષધિ નિયમન અને નકલી દવાઓ વિરુદ્ધ થયેલી આ સૌથી મોટી અને ઐતિહાસિક એન્ફોર્સમેન્ટ કાર્યવાહી માનવામાં આવી રહી છે. કમિશનર તુકારામ મુંઢેએ ઉદ્યોગપતિઓ અને ભ્રષ્ટ તત્વોને ખુલ્લી ચેતવણી આપતા જણાવ્યું છે કે, ભ્રામક જાહેરાતો, ગેરકાયદેસર અને બિનઅધિકૃત ઉત્પાદન તેમજ સરકારી ધોરણોને ઘોળીને પી જઈને નફો કમાતી કોઈ પણ વગદાર વ્યક્તિ કે મોટી બ્રાન્ડને ભવિષ્યમાં પણ બક્ષવામાં આવશે નહીં.
જાહેર આરોગ્ય નાગરિકોનો મૂળભૂત અધિકાર
કમિશનર મુંઢેએ સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપી છે કે, ‘ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ, ૧૯૪૦’ અને ગ્રાહક સુરક્ષા સંબંધિત તમામ કાયદાઓનું ઉલ્લંઘન કરનારાઓ વિરુદ્ધ હવે માત્ર દંડ નહીં, પરંતુ સીધી ફોજદારી અને ન્યાયિક કાર્યવાહી કરીને જેલ ભેગા કરવામાં આવશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે શુદ્ધ અને સુરક્ષિત ખોરાક તેમજ સાચી દવાઓ મેળવવી એ આ દેશના દરેક નાગરિકનો બંધારણીય અને મૂળભૂત અધિકાર છે, અને તેની રક્ષા કરવી એ વહીવટીતંત્રની પ્રાથમિક ફરજ છે, જેમાં કોઈ પણ રાજકીય દબાણ સહન કરવામાં આવશે નહીં. સાથે જ તેમણે જનતાને અપીલ કરી છે કે ટીવી અને અખબારોની અંધાધૂંધ જાહેરાતોના આધારે ડૉક્ટરની સલાહ વિના આવી દવાઓ ખરીદીને પોતાના શરીરને નુકસાન ન પહોંચાડે.
ભ્રષ્ટ વ્યવસ્થાને રોકવા માટે જનતાના હાથમાં હથિયાર: એફડીએ લોન્ચ કરશે નવી મોબાઇલ એપ
સિસ્ટમમાં પારદર્શિતા લાવવા અને ભ્રષ્ટાચારીઓ પર વોચ રાખવા માટે વહીવટીતંત્ર હવે સીધું જનતાની શરણમાં જઈ રહ્યું છે. સરકારી કચેરીઓના ચક્કર કાપ્યા વિના જ સામાન્ય નાગરિકો ગેરકાયદેસર દવાનું વેચાણ, બજારમાં ચાલતી ભેળસેળ અને કંપનીઓની ભ્રામક જાહેરાતોની ઓનલાઈન પોલ ખોલી શકે તે માટે FDA ટૂંક સમયમાં એક વિશેષ મોબાઇલ એપ્લિકેશન અને દેશવ્યાપી ટોલ-ફ્રી હેલ્પલાઇન નંબર શરૂ કરવા જઈ રહ્યું છે. વિભાગે ખાતરી આપી છે કે સત્તાવાળાઓ સામે અવાજ ઉઠાવનાર નાગરિકોની ઓળખ સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવશે અને ફરિયાદ મળતાની સાથે જ બ્રાન્ડ્સ પર ત્વરિત કાનૂની ગિલોટિન ચલાવવામાં આવશે.
આ પણ વાંચો:








