
Student Protest India: નવી દિલ્હીના મધ્ય ભાગમાં સોમવાર, ૨૦ જુલાઈના રોજ ‘સંસદ ચલો’ માર્ચ દરમિયાન જોવા મળેલો યુવાનોનો વિશાળ જનસમુદાય હવે માત્ર રાજધાની પૂરતો મર્યાદિત નથી રહ્યો, પરંતુ દેશના અનેક રાજ્યો અને શહેરોમાં તેનો વ્યાપ વધતો જોવા મળી રહ્યો છે. દિલ્હીના જંતર-મંતર, કનોટ પ્લેસ, જનપથ અને સંસદ માર્ગ જેવા વિસ્તારો હજારો પ્રદર્શનકારી વિદ્યાર્થીઓ અને સુરક્ષાકર્મીઓની છાવણીમાં ફેરવાઈ ગયા હતા. રાજધાનીની આ અશાંત સ્થિતિની સીધી અસર દેશના અન્ય પ્રમુખ શહેરો પર પણ જોવા મળી, જ્યાં યુવાનો અને વિદ્યાર્થી સંગઠનોએ એકસૂરે કેન્દ્ર સરકારની શિક્ષણ નીતિઓ અને પરીક્ષા વ્યવસ્થા સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે.
અરુણાચલ પ્રદેશ અને કોલકાતામાં શિક્ષણ મંત્રીના રાજીનામાની ઉગ્ર માંગ
અરુણાચલ પ્રદેશની રાજધાની ઈટાનગરમાં રાજ્યભરમાંથી આવેલા સેંકડો યુવાનોએ શાંતિપૂર્ણ એકતા રેલી કાઢીને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની જોરદાર માંગ કરી હતી. આ રેલીમાં વિદ્યાર્થીઓ, યુવા સંગઠનો અને સામાજિક કાર્યકરોએ શિક્ષણ સુધારણા અને શાસનમાં પારદર્શિતાના બેનરો સાથે માર્ચ કરી હતી. બીજી તરફ, પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં પણ આ આંદોલનની ઘેરી અસર જોવા મળી હતી, જ્યાં જાદવપુર યુનિવર્સિટી, પ્રેસિડન્સી કોલેજ અને કોલકાતા મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ તથા વાલીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. પ્રદર્શનકારીઓએ દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર થયેલી પોલીસ કાર્યવાહીની આકરી ટીકા કરી હતી અને જણાવ્યું હતું કે એનટીએ (NTA) ની નિષ્ફળતાના કારણે અનેક વિદ્યાર્થીઓએ આત્મહત્યા જેવી અંતિમ પગલાં ભરવા મજબૂર બનવું પડ્યું છે.
હૈદરાબાદ, કેરળ અને ચંડીગઢમાં વિદ્યાર્થીઓ અને યુવાનોનું વિરોધ પ્રદર્શન
દેશના દક્ષિણ ભાગમાં આવેલા હૈદરાબાદમાં વિદ્યાર્થી સંગઠનો અને રાજકીય કાર્યકરોએ કેન્ડલ માર્ચ યોજીને કેન્દ્રીય શિક્ષણ મંત્રી વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. જ્યારે કેરળના તિરુવનંતપુરમમાં એનટીએ પેપર લીક અને પરીક્ષામાં થયેલી ગેરરીતિઓના વિરોધમાં પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થી કાર્યકરોને ખદેડવા માટે પોલીસે પાણીનો મારો ચલાવવો પડ્યો હતો. પંજાબની રાજધાની ચંડીગઢમાં પણ પંજાબ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને નાગરિક સમાજના લોકોએ દિલ્હીના આંદોલન સાથે એકતા વ્યક્ત કરી હતી. સેક્ટર-૧૭ ખાતે આમ આદમી પાર્ટી, કોંગ્રેસના કાર્યકરો અને સામાન્ય નાગરિકોએ એક દિવસીય ઉપવાસ રાખીને શિક્ષણ વ્યવસ્થામાં પારદર્શિતા અને જવાબદારીની માંગ કરી હતી તેમજ મોદી સરકાર વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા.
View this post on Instagram
ગોવા અને પટના યુનિવર્સિટીમાં ‘વિદ્યાર્થી-યુવા આક્રોશ દિવસ’ ની ઉજવણી
ગોવાની રાજધાની પણજીના આઝાદ મેદાન અને મિરામાર સર્કલ ખાતે સેંકડો યુવાનોએ કેન્ડલ માર્ચ કાઢીને શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ કરી હતી અને સોનમ વાંગચુક સાથે એકતા વ્યક્ત કરી હતી. આ તરફ બિહારની પ્રખ્યાત પટના યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ પણ દિલ્હીના વિરોધના સમર્થનમાં ‘વિદ્યાર્થી-યુવા આક્રોશ દિવસ’નું ભવ્ય આયોજન કર્યું હતું. વિદ્યાર્થીઓએ ‘શિક્ષણ વેચવાનું બંધ કરો’ અને ‘ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપો’ જેવા નારા લગાવીને આગામી ૨૨ જુલાઈએ રાજભવન સુધી વિશાળ માર્ચ કાઢવાની જાહેરાત કરી હતી. તેમણે માંગ કરી હતી કે પેપર લીક માટે જવાબદાર એનટીએ સંસ્થાને તાત્કાલિક રદ કરવામાં આવે અને પરીક્ષાઓમાં થયેલી અનિયમિતતાઓને કારણે જીવ ગુમાવનાર વિદ્યાર્થીઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરીને ન્યાય આપવામાં આવે.
લખનૌ અને પ્રયાગરાજમાં યુપી પોલીસની સખ્તાઈ છતાં પ્રદર્શન યથાવત
ઉત્તર પ્રદેશના મુખ્ય મથક લખનૌમાં લખનૌ યુનિવર્સિટીના વિદ્યાર્થી સંગઠનોએ શિક્ષણ વ્યવસ્થા અને નેશનલ ટેસ્ટિંગ એજન્સી વિરુદ્ધ પરિવર્તન ચોકથી હઝરતગંજ સુધી માર્ચ કાઢવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસે રસ્તામાં જ બેરિકેડ લગાવીને તેમને રોકી દીધા હતા. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડિઓમાં પોલીસ કેટલાક પ્રદર્શનકારીઓને બળપૂર્વક ખેંચીને બસમાં બેસાડીને ઈકો ગાર્ડન મોકલતી નજરે પડી હતી, છતાં વિદ્યાર્થીઓ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરતા રહ્યા હતા. આ ઉપરાંત, પ્રયાગરાજમાં પણ હજારો વિદ્યાર્થીઓ અને વકીલોએ જિલ્લા કચેરી પરિસરમાં એકત્ર થઈને શાંતિપૂર્ણ વિરોધ કરી રહેલા યુવાનો પર થયેલા લાઠીચાર્જને લોકશાહી મૂલ્યોની વિરુદ્ધ ગણાવ્યો હતો અને દોષિતો સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી.
अब आंदोलन की चिंगारी प्रयागराज तक पहुंच गई है यह एक घंटे पहले का दृश्य है। मुझे नहीं लगता यह आग इतनी जल्दी बुझेगी। pic.twitter.com/bfkdeSUp3F
— Awesh Tiwari (@awesh29) July 20, 2026
વારાણસી, ઝારખંડ અને મુંબઈમાં પોલીસ અટકાયત અને વ્યાપક વિરોધ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં બનારસ હિંદુ યુનિવર્સિટી (BHU) ના વિદ્યાર્થીઓ દ્વારા વિશ્વનાથ પરિસરથી મહિલા મહાવિદ્યાલય સુધી ત્રણ કિલોમીટર લાંબી ‘વિદ્યાર્થી ન્યાય યાત્રા’ કાઢવામાં આવી હતી, જ્યાં કુલપતિના નિવાસસ્થાન પાસે સુરક્ષાકર્મીઓ સાથે ઘર્ષણ પણ થયું હતું. ઝારખંડની રાજધાની રાંચીના અલ્બર્ટ એક્કા ચોક ખાતે પણ વિદ્યાર્થી સંગઠનોએ પેપર લીક વિરુદ્ધ ઉગ્ર દેખાવો કર્યા હતા. બીજી તરફ, મુંબઈના ચૈત્યભૂમિ ખાતે યોજાનાર પ્રદર્શન પહેલા જ પોલીસે ૩૦૦થી વધુ પ્રદર્શનકારીઓની અટકાયત કરી લીધી હતી, જેમાં સગીર વયના છોકરાઓ અને છોકરીઓ પણ સામેલ હતા. અટકાયતમાં લેવાયેલા યુવાનોએ પોલીસ સ્ટેશનમાં જ બેસીને કોઈ સ્પષ્ટ કારણ વગર પોતાની અટકાયત કરવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો હતો, જે દર્શાવે છે કે આ આંદોલન હવે દેશવ્યાપી સ્વરૂપ ધારણ કરી ચૂક્યું છે.
આ પણ વાંચો:







