
Mehsana Congress Leaders Suspended: ગુજરાતમાં સત્તા મેળવવાના ફાંફા મારતી કોંગ્રેસમાં આંતરિક જૂથબંધી અને પદ માટેની લડાઈ અટકવાનું નામ નથી લઈ રહી. મહેસાણા જિલ્લા કોંગ્રેસમાં ફાટી નીકળેલા તીવ્ર આંતરિક વિખવાદ બાદ હાઈકમાન્ડના ઈશારે મોટી સફાઈ ઝુંબેશ શરૂ કરાઈ છે. પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ કરવા અને ચૂંટણીઓમાં કોંગ્રેસ પક્ષના સત્તાવાર માન્ય ઉમેદવારોની પીઠમાં છરો ભોંકીને તેમને નુકસાન પહોંચાડવાના ગંભીર આક્ષેપો હેઠળ એકસાથે ૩૩ જેટલા ટોચના આગેવાનો અને સક્રિય કાર્યકરોને પક્ષમાંથી ૬ વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ બળદેવજી ઠાકોરે ૨૯ મે ૨૦૨૬ના રોજ આ કડક સસ્પેન્શન આદેશ જાહેર કરતાની સાથે જ ઉત્તર ગુજરાતના રાજકારણમાં મોટો ગરમાવો આવી ગયો છે.
મોટા ગજાના હોદ્દેદારો પણ ઝપટે ચડ્યા
કોંગ્રેસના શિસ્તભંગના આ કોરડામાં સૌથી મોટું માથું ઊંઝા તાલુકા કોંગ્રેસ પ્રમુખ ડી. ટી. ઝાલાનું ઝપાટામાં આવ્યું છે, જેઓ લાંબા સમયથી પક્ષમાં મજબૂત પદ અને પકડ ધરાવતા હતા. આ ઉપરાંત, મહેસાણા શહેર સહિત વડનગર, વિસનગર, ખેરાલુ અને વિજાપુર જેવા પ્રભાવશાળી તાલુકાઓના હોદ્દેદારોની પણ પક્ષમાંથી હકાલપટ્ટી કરાઈ છે. સસ્પેન્ડ કરાયેલા મુખ્ય સ્થાનિક ચહેરાઓમાં પંકજકુમાર નાથાલાલ પટેલ, સુરેશભાઈ બાબુલાલ દવે, શારદાબેન ભરતભાઈ પરમાર, જાની માલતીબેન હર્નીશભાઈ, રચનાબેન નીતિનસિંહ સરદાર, ઇશ્વરજી તેજાજી ઠાકોર અને કાજલબેન હિતેશકુમાર પરમાર જેવા પાયાના નેતાઓનો સમાવેશ થાય છે, જેઓ પ્રજા વચ્ચે પક્ષનો ચહેરો હતા.
વિસનગર અને વડનગરમાં મોટો સફાયો
પક્ષ દ્વારા કરાયેલી આ આકરી કાર્યવાહીનો સૌથી વધુ ભોગ વિસનગર અને વડનગર પંથકના નેતાઓ બન્યા છે. વિસનગર સિટીના કાંસા વિસ્તારના મહેશભાઈ પી. રાઠોડ અને રબારી વાસના હેમુભાઈ રબારીને ઘરભેગા કરી દેવાયા છે. તેની સાથે વિસનગર તાલુકાના અલગ-અલગ ગામોના અગ્રણીઓ જેવા કે કાન્તાબેન રાજુભાઈ ઠાકોર (ઉપેરા), કેતનજી કેશાજી ઠાકોર (જેતલવાસણા), ડાહ્યાજી ભીખાજી ઠાકોર (ગુંજા), હેમરાજભાઈ મોતીભાઈ દેસાઈ (કડા), સજનબેન ગંભીરજી ઠાકોર (પાલડી) અને કિરણબેન વિરમજી ઠાકોર (કમાલપુર) પર શિસ્તભંગની કાનૂની કુહાડી ફેરવી દેવામાં આવી છે. જ્યારે વડનગર તાલુકાના સુલતાનપુર ગામના પથુજી જગાજી ઠાકોર, સરતાજી નેનાજી ઠાકોર, મનોરજી ઠાકોર સહિત સિપોરના અમરસિંહ ડાભી અને સુઢિયાના પથુજી ઠાકોરને પણ પક્ષમાંથી દૂધમાંથી માખીની જેમ કાઢી ફેંકાયા છે.
તાલુકા મંડળોમાં ભયનો માહોલ
જિલ્લા પ્રમુખ બળદેવજી ચંદુજી ઠાકોરની આ એકતરફી સખત કાર્યવાહીથી સ્થાનિક કક્ષાએ કાર્યકરોમાં ભારે આક્રોશ અને ભયનો માહોલ છે. મહેસાણા તાલુકાના દેવરાસણ ગામના જયંતીજી પ્રહલાદજી ઠાકોર અને પ્રિયા શેતાનસિંહ ગઢવી, ખેરવાના જશુજી M. ઠાકોર તેમજ મુલસણના જયંતીજી ઠાકોરને પક્ષ વિરોધી ગુપ્ત સેટિંગ કરવા બદલ સસ્પેન્ડ કરાયા છે. જ્યારે ઊંઝાના દાસજ ગામના પ્રગતીબેન અશોકજી ઠાકોર, ઉનાવાના દિલીપભાઈ નટવરભાઈ પટેલ અને ખટાસણાના આદિત્ય દીપકકુમાર પટેલ પણ સસ્પેન્શન લિસ્ટમાં લપેટાઈ ગયા છે. આ સિવાય ખેરાલુના બળાદ ગામના ધુળાભાઈ દશરથભાઈ પ્રજાપતિ, મેરવાડાના દિનેશજી વીરાજી ઠાકોર તેમજ વિજાપુર સિટીના અશફાક અલી, સોનલબેન કરણસિંહ ઠાકોર અને સરોજબેન અશ્વીનભાઈ દંતાણીને પણ સત્તાવાર પત્રો આપી પક્ષના પ્રાથમિક સભ્યપદેથી તાત્કાલિક અસરથી બરતરફ કરાયા છે.
આકાઓ સુધી પહોંચ્યો જૂથવાદનો મામલો
જિલ્લા પ્રમુખે સસ્પેન્શન પત્રમાં કડક શબ્દોમાં લખ્યું છે કે આ તમામ સભ્યોએ કોંગ્રેસની મૂળભૂત વિચારધારા અને નિયમોના લીરેલીરા ઉડાડીને ભાજપ કે અન્ય વિરોધી શક્તિઓ સાથે આડકતરું સેટિંગ કરીને પક્ષના ઉમેદવારોને હરાવવાનું મોટું પાપ કર્યું છે. આ આંતરિક અસંતોષ અને શિસ્તભંગના અહેવાલોની નકલો ગુજરાત કોંગ્રેસના ઉચ્ચ આકાઓ એટલે કે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, ગુજરાત પ્રદેશ પ્રભારી મુકુલ વાસનિક અને ઉત્તર ઝોનના પ્રભારી સુભાસીની યાદવને પણ દિલ્હી સુધી મોકલી આપવામાં આવી છે. રાજકીય વિશ્લેષકોના મતે, સત્તા વિના તરફડી રહેલી કોંગ્રેસ જો પોતાના જ સક્રિય નેતાઓને આ રીતે કાઢતી રહેશે, તો આગામી સમયમાં મહેસાણા જિલ્લામાં પક્ષનું નામોનિશાન મટી જશે તે નક્કી છે.
આ પણ વાંચો:








