
Khushboo Gujarat Ki Campaign: વર્ષ ૨૦૧૪માં દિલ્હીની સત્તા મેળવવા માટે નરેન્દ્ર મોદીએ વર્ષો પહેલાંથી જ ગુજરાતની તિજોરીના ભોગે પર્સનલ માર્કેટિંગનો આખો ખેલ ઘડી કાઢ્યો હતો. ૧૮ ઓગસ્ટ ૨૦૧૦ના રોજ ગાંધી આશ્રમ ખાતેથી ‘ખુશબુ ગુજરાત કી’ (Khushboo Gujarat Ki) અંતર્ગત ત્રણ એડ ફિલ્મો લોન્ચ કરવામાં આવી હતી, જેમાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી, પ્રવાસન મંત્રી જયનારાયણ વ્યાસ અને ટૂરિઝમ કોર્પોરેશનના પ્રમુખ કમલેશ પટેલ હાજર હતા. ગુજરાત ટૂરિઝમના નામે આખા દેશમાં ટીવી અને અખબારોમાં કરોડો રૂપિયાની જે જાહેરખબરો ફાડવામાં આવી, તેનો અસલી હેતુ ગુજરાતનો વિકાસ નહીં પણ નરેન્દ્ર મોદીને રાતોરાત રાષ્ટ્રીય નેતા તરીકે પ્રોજેક્ટ કરવાનો હતો. પ્રજાની પરસેવાની કમાણીના કરોડો રૂપિયા સરકારી તંત્ર દ્વારા આ આંધળા માર્કેટિંગ પાછળ ઝોંકી દેવાયા હતા.
મુખ્યમંત્રી તરીકેની બીજી ટર્મ દરમિયાન જ નરેન્દ્ર મોદીએ મનોમન વડાપ્રધાન બનવાનો ગુપ્ત પ્લાન તૈયાર કરી લીધો હતો. આ પ્લાનને સફળ બનાવવા માટે તેમને એક એવા ચહેરાની જરૂર હતી જે વિવાદોથી પર હોય અને આખો દેશ તેને સાંભળતો હોય. પ્રવાસન મંત્રી જયનારાયણ વ્યાસના આઈડિયાથી ‘ઓગિલ્વી એન્ડ માથર’ (Ogilvy & Mather) નામની ક્રિએટીવ એજન્સીને કરોડોનો ગુપ્ત કોન્ટ્રાક્ટ સોંપાયો, જેનું પેમેન્ટ કેટલું થયું તેની વિગતો આજે પણ સરકારી ચોપડે દબાવી દેવાઈ છે. આ એજન્સી દ્વારા અમિતાભ બચ્ચનને બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા. આમ, ‘કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા’ ના નારા સાથે અમિતાભે સીધી કે આડકતરી રીતે નરેન્દ્ર મોદીને હિન્દુસ્તાનના હીરો તરીકે પ્રસ્થાપિત કરવામાં સૌથી મોટી રાજકીય મદદ કરી હતી.
દેવામાં ડૂબેલા બચ્ચન અને ગિફ્ટ સિટીનું સેટિંગ
આ આખી પરિયોજનામાં અમિતાભ બચ્ચને શરૂઆતમાં એવો મોટો દાવો કર્યો હતો કે તેઓ ગુજરાત માટે મફતમાં (એક પણ પૈસો લીધા વિના) કામ કરી રહ્યા છે. પરંતુ સત્તાવાર રીતે નાણાં ન લેવા પાછળનો ખેલ અલગ હતો. એક સમય એવો હતો જ્યારે અમિતાભ બચ્ચનની કંપની ‘ABCL’ સદંતર દેવાળિયા બની ગઈ હતી, ઘરે દૂધવાળાના બિલ ચૂકવવાના પૈસા ન હોવાથી સદીના મહાનાયક કાળી ચા પીવા મજબૂર બન્યા હતા. ગુજરાતના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા પછી માર્કેટિંગ એજન્સીઓ અને વહીવટી સેટિંગ દ્વારા અમિતાભ બચ્ચનને ગાંધીનગરમાં ‘ગિફ્ટ સિટી’ (GIFT City) ની બરાબર બાજુમાં મોંઘાડાટ પ્લોટની લહાણી કરવામાં આવી, જેની આજની બજાર કિંમત આસમાન પર છે. મફત સેવાના નામે આ કોર્પોરેટ ગિફ્ટિંગનો મોટો ખેલ હતો.
ધાર્મિક સ્થાનોના નામે રાજકીય પીચ
અમિતાભ બચ્ચન પાસે ગીરના સિંહો, સોમનાથ મંદિર, સાબરમતી આશ્રમ, અંબાજી અને સરખેજ રોઝાની શાનદાર એડ ફિલ્મો શૂટ કરાવવામાં આવી. નરેન્દ્ર મોદી પોતે પણ સાર્વજનિક મંચો પર અમિતાભની સ્ટાઈલની નકલ કરીને ‘કુછ દિન તો ગુજારો ગુજરાત મેં’ અને ‘કચ્છ કા યે રણ હિન્દુસ્તાન કા તોરણ હે’ ના સંવાદો બોલીને બોલ બચ્ચન બની ગયા હતા. આ ધાર્મિક અને સાંસ્કૃતિક વારસાના માર્કેટિંગથી દેશના કરોડો લોકોના મનમાં એવું ઠસાવી દેવાયું કે આ બધો વિકાસ માત્ર નરેન્દ્ર મોદીના કારણે જ થઈ રહ્યો છે. આ જ જનમાનસનો ઉપયોગ કરીને વર્ષ ૨૦૧૨ની ચૂંટણી જીત્યા બાદ, ૨૦૧૪માં લાલકૃષ્ણ અડવાણી જેવા વરિષ્ઠ નેતાઓને રાજકીય કાવાદાવા કરીને સાઈડલાઈન કરી દેવાયા અને મોદી પક્ષના વડાપ્રધાન પદના ઉમેદવાર બની ગયા.
ગુજરાતના કન્સેપ્ટથી વૈશ્વિક મહામાનવનું નાટક
તંત્રનો દાવો છે કે આ કેમ્પેનથી ગુજરાતમાં પ્રવાસીઓની સંખ્યા વધી અને ટૂરિઝમનો વિકાસ થયો, પરંતુ તેની પાછળ નરેન્દ્ર મોદીનું જે વ્યક્તિગત બ્રાન્ડિંગ થયું તેની કિંમત અમૂલ્ય હતી. જે રીતે ગુજરાતમાં તેઓ પોતાને ‘સફળ સુકાની’ તરીકે પ્રોજેક્ટ કરતા હતા, બરાબર એ જ ગતકડું હવે દિલ્હી જઈને આખા દેશના ખર્ચે રમાઈ રહ્યું છે. હવે તેઓ રાષ્ટ્રીય નેતા મટીને પોતાની જાતને ‘વિશ્વ માનવ’ કે વૈશ્વિક નેતા તરીકે પ્રોજેક્ટ કરવા અવનવા તાગડધિન્ના કરી રહ્યા છે. પોતાના કપડાંની પસંદગી, મેકઅપ, અમદાવાદની ટોપ બ્રાન્ડના કુર્તાથી લઈને માથા પરના વાળના પ્લાન્ટેશન સુધીની તમામ હાઈટેક નુસખાઓ પાછળ માત્ર એક જ ભૂખ છે – ગમે તે ભોગે સત્તાની ટોચ પર ચમકતા રહેવું.
આ પણ વાંચો:








