
Gujarat Farmers Rally 15 June: ગુજરાતના અન્નદાતાને બરબાદ કરીને અદાણી-રિલાયન્સ જેવા મોટા ઉદ્યોગપતિઓની તિજોરીઓ ભરતી ભાજપ સરકાર સામે આખરે ખેડૂતોએ બળવો પોકાર્યો છે. કિસાન સંઘર્ષ સમિતિના નેજા હેઠળ ૨૩ જેટલા ખેડૂત સંગઠનો આગામી ૧૫મી જૂને સરકારના અહંકારને તોડવા માટે મહારૅલીનું આયોજન કરી રહ્યા છે. કિસાન કોંગ્રેસના નેતા જયેશ પટેલ અને ખેડૂત નેતા લાલજી દેસાઈએ સત્તાવાર જાહેરાત કરી છે કે ૧૫ જૂને સવારે ૧૦ વાગ્યે અમદાવાદના શાંતિપુરા ચોકડી ખાતે ગુજરાતની આઠેય દિશાઓમાંથી હજારો ખેડૂતો પોતાના ટ્રેક્ટરો અને વાહનો સાથે ઉમટી પડશે અને ૧૧ વાગ્યે ગાંધીનગરમાં પ્રવેશ કરીને સરકારને ઘૂંટણીયે લાવશે. ખેડૂતોએ ચીમકી આપી છે કે જો તેમની માંગણીઓ નહીં સંતોષાય તો આખું ગુજરાત ‘રસ્તારોકો આંદોલન’ થી ઠપ કરી દેવાશે.
ભ્રષ્ટ તંત્ર કંપનીઓનું દલાલ
ખેડૂત નેતાઓએ સરકાર પર સીધો પ્રહાર કરતા જણાવ્યું છે કે, ગુજરાતનું વહીવટી તંત્ર અને પોલીસ આજે સામાન્ય જનતાનું રક્ષણ કરવાને બદલે ખાનગી વીજ કંપનીઓના ‘દલાલ’ તરીકે કામ કરી રહ્યા છે. ગુજરાતમાં હાલ ૨૯ હજાર મેગાવોટ વીજળી પેદા થાય છે, જ્યારે રિલાયન્સ અને અદાણી જેવી કંપનીઓ ૮૪ ગીગા વોટ પાવર પેદા કરી રહી છે, જે આગામી સમયમાં ૧૩૫ ગીગા વોટ (૧,૩૫,૦૦૦ મેગા વોટ) થવાની છે. આ વીજળીના વહન માટે આખા ગુજરાતમાંથી ૪૪૦ થી ૮૦૦ કેવીની તોતિંગ વીજ લાઈનો ખેડૂતોના ઊભા પાક ઉજ્જડ કરીને પસાર કરવામાં આવી રહી છે. કાયદા મુજબ ૮૦ ટકા ખેડૂતોની સંમતિ વિના વીજ લાઈન નાખી શકાતી નથી, છતાં કોર્પોરેટ કંપનીઓને ફાયદો કરાવવા કાયદાના લીરેલીરા ઉડાવાઈ રહ્યા છે.
ખેડૂતો પર પોલીસ દમન
સરકારની જોહુકમી એટલી હદે વધી ગઈ છે કે દ્વારકા, રાજકોટ અને વાઢીયાના ખેડૂતો ઊભા પાક પર બુલડોઝર ફરી વળતા પેટ્રોલ છાંટીને આત્મહત્યા કરવા મજબૂર બન્યા છે. મોરબીના કોંઢ ગામે પોલીસે કાયદો હાથમાં લઈને ખેડૂતોના ઘરના તાળા તોડી અંદર ઘૂસી લોઠાઈ (દાદાગીરી) આચરી હતી. આ સરમુખત્યારશાહી સામે ટંકારાથી મોરબી સુધી વિશાળ કિસાન ટ્રેક્ટર યાત્રા કાઢીને ખેડૂતો, મજૂરો અને આદિવાસીઓએ એકતા બતાવી છે. ખેડૂતો માંગ કરી રહ્યા છે કે કાં તો વીજ કંપનીઓ જમીન સંપાદન બદલ પ્રતિ થાંભલા (ટાવર) દીઠ ₹૨ કરોડનું વળતર આપે અથવા દર મહિને થાંભલા દીઠ ₹૩૦ હજારનું ભાડું ચૂકવે, જે અંગે વડાપ્રધાનને પણ પત્રો લખવામાં આવ્યા છે.
જમીન માપણીમાં મોટું કૌભાંડ
ગુજરાતમાં સરકાર દ્વારા કરાયેલી જમીન માપણી એ ખેડૂતોને બરબાદ કરવાનું મોટું આયોજન સાબિત થયું છે. ડિજિટલ માપણીના નામે ખેડૂતોની જમીનના આકાર, વિસ્તાર, માલિકી અને સીમાડા (હદ) રાતોરાત બદલાઈ ગયા છે. જમીન કાપણી અને સંપાદન તદ્દન ગેરકાયડે થઈ રહ્યું છે. વર્ષ ૨૦૧૩ના જમીન સંપાદન કાયદા મુજબ ખેડૂતોને બજાર કિંમત કરતાં ૪ ગણી રકમ ચૂકવવાની જોગવાઈ છે, પરંતુ સરકાર આ કાયદાનો અમલ જ કરતી નથી. એટલું જ નહીં, કાયદાકીય મનાઈ હોવા છતાં સરકારી તંત્ર સિંચાઈ હેઠળની ફળદ્રુપ જમીનો પણ ઉદ્યોગો માટે આંચકી રહ્યું છે, જેના કારણે ખેડૂતો પોતાની જમીન બચાવવા સુરેન્દ્રનગર અને અન્ય જિલ્લાઓમાં કલેક્ટરને રજૂઆતો કરવા દોડી રહ્યા છે.
મોંઘવારી વચ્ચે ૧૨ વર્ષથી એ જ ભાવો
સરકારની ‘ખેડૂત હટાવો, કંપની બચાવો’ ની નીતિના કારણે ગુજરાતનો જગતાત દેવાદાર બની ગયો છે. આશ્ચર્યની વાત એ છે કે વર્ષ ૨૦૧૪માં ખેતપેદાશોના જે ભાવો હતા, તે જ ભાવો આજે વર્ષ ૨૦૨૬માં પણ મગફળી, ઘઉં અને કપાસમાં મળી રહ્યા છે. છેલ્લા ૧૨ વર્ષથી ભાવો સ્થિર રાખીને ખેડૂતોની આર્થિક કમર તોડી નાખવામાં આવી છે. બીજી તરફ, ખાતર (ફર્ટિલાઈઝર) પરની સબસિડી સતત ઘટાડવામાં આવી રહી છે. રહીસહી કસર પુરી કરવા માટે સરકાર અમેરિકાથી સસ્તું દૂધ આયાત કરવાની તૈયારી કરી રહી છે, જેનાથી ગુજરાતનો પશુપાલન ઉદ્યોગ પણ નાશ પામશે. પશુપાલકોને બચાવવા માટે સરકારે દૂધ પર સબસિડી આપવી જોઈએ અને લઘુત્તમ કિંમત નક્કી કરવી જોઈએ.
વીજળીના નામે લૂંટ અને છેતરપિંડી
ખેડૂતોને ૨૪ કલાક વીજળી આપવાના બણગાં ફૂંકતી સરકાર માત્ર ૮ કલાક વીજળી આપે છે, અને તે પણ કટકે-કટકે (ત્રુટક) આપવામાં આવે છે, જેનાથી પાક બળી જાય છે. જમીનમાંથી પાણી ખેંચવા માટે અપાતી વીજળી પર સરકારે મોંઘાડાટ મીટરો થોપી દીધા છે અને તેના ભાવો સામાન્ય ખેડૂતો પાસેથી પણ ઉદ્યોગો જેટલા જ વસૂલવામાં આવે છે. ખેડૂતોની માંગ છે કે કોમર્શિયલ દર નાબૂદ કરીને વીજળી સસ્તી કરવામાં આવે. લાલજી દેસાઈએ રોષે ભરાઈને કહ્યું કે, “આ સરકાર બહેરી, આંધળી અને માત્ર મોટી-મોટી વાતો કરનારી બોલકી છે. આ બહેરી સરકારના કાન ખોલવા અને આંધળી સરકારની આંખો ઉઘાડવા માટે ૧૫મી જૂને ગુજરાતનો ખેડૂત રસ્તા પર ઉતરીને આક્રમક આંદોલન કરશે.”
આ પણ વાંચો:









