
Gujarat Jyotigram Scheme Reality: દિલ્હીથી લઈને ગાંધીનગર સુધી સત્તાના સિંહાસન પર બેઠેલા શાસકો જ્યારે મંચ પરથી ‘ગુજરાત મોડેલ’ અને ૨૪ કલાક વીજળી-પાણીના દાવા કરે છે, ત્યારે વાસ્તવિકતા તેનાથી સાવ વિપરીત અને વરવી હોય છે. શાસક પક્ષના આ જ હાઈટેક વિકાસના દાવાઓની સરેઆમ પોલ બે આદિવાસી મહિલાઓએ સોશિયલ મીડિયા પર વિડીયો જાહેર કરીને ખોલી નાખી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારે મુખ્યમંત્રી તરીકેના ૧૦ વર્ષ પૂરા કર્યા ત્યારે કરેલા ભવ્ય દાવાઓ અને વર્ષ ૨૦૨૬ ની આજની તારીખે જમીની હકીકત વચ્ચે કેટલો આકાશ-પાતાળનો તફાવત છે, તે આ વાયરલ વીડિયોએ સાબિત કરી દીધું છે.
અંધારામાં ડૂબેલું આઝાદી પછીનું આદિવાસી ગામ
પૂર્વ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ એક સમયે છાતી ઠોકીને કહ્યું હતું કે ‘જ્યોતિગ્રામ યોજના’ દ્વારા ગુજરાતના ખૂણે-ખૂણાના જંગલો અને અંતરિયાળ ગામડાઓમાં ૨૪ કલાક થ્રી-ફેઝ અવિરત વીજળી પહોંચાડીને ઇતિહાસ રચવામાં આવ્યો છે. પરંતુ નર્મદા જિલ્લાના ડેડિયાપાડા (ચિકદા) તાલુકાના ‘તુમડાવાડી’ નામના આદિવાસી ગામની મહિલાએ રડતી આંખે નેતાઓના જુઠ્ઠાણાં બેનકાબ કર્યા છે. માત્ર ૬૦૦ ની વસ્તી ધરાવતા આ ગામમાં આઝાદીના આટલા વર્ષો પછી પણ વીજળીનો એક થાંભલો નથી પહોંચ્યો! રાત્રે અંધારામાં હિંસક પશુઓના ડર વચ્ચે જીવતી આ જનતા પૂછી રહી છે કે સાહેબ, તમારો આ કયો વિકાસ છે?
ચોમાસામાં ઘરના છાપરાનું પાણી પીવા મજબૂર જનતા
સ્થાનિક ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા જાહેર કરાયેલા અઢી મિનિટના હૃદયદ્રાવક વીડિયોમાં આદિવાસી મહિલા કહી રહી છે કે આ ગામમાં પીવાના શુદ્ધ પાણીની કોઈ સુવિધા જ નહોતી. લોકો નદી અને ખાડીનું અત્યંત ડોળું પાણી પીતા હતા. ચોમાસામાં જ્યારે નદીઓ ગંદી થઈ જાય, ત્યારે આ ગરીબ પરિવારો પોતાના ઘરના છાપરા કે નળિયા પરથી ટપકતું વરસાદનું પાણી વાસણમાં ઝીલીને પીવા મજબૂર બનતા હતા. તાજેતરમાં જ્યારે ધારાસભ્યે પોતાના સ્તરે બોરિંગ કરાવી આપ્યું ત્યારે માંડ ગામને પાણી મળ્યું છે, જ્યારે સરકારી તંત્ર અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ માત્ર કાગળ પર નલ સે જલના ગુણગાન ગાઈ રહ્યા છે.
શિક્ષણ અને રોજગારના નામે શૂન્યતા અને હિજરત
સરકાર એક બાજુ કરોડો રૂપિયાના ખર્ચે શાશકીય મહોત્સવો કરે છે, બીજી તરફ આ ગામમાં ૭૦ બાળકો શાળાના ભણતરથી વંચિત છે કારણ કે ગામમાં કોઈ સ્કૂલ જ નથી! આ સિવાય ૩૦ નાના ભૂલકાઓ માટે આંગણવાડીની પણ કોઈ વ્યવસ્થા નથી. ગામના ૧૦૦ જેટલા બાળકોનું ભવિષ્ય અંધકારમય બની ગયું છે. એટલું જ નહીં, રોજગારીની કોઈ તક ન હોવાથી આખું ગામ કાયમી ધોરણે અન્ય શહેરોમાં હિજરત કરવા મજબૂર બન્યું છે. વહીવટી તંત્રની આળસનો નમૂનો એ છે કે ગામના ૪૧ લોકોના આધાર કાર્ડ, ૮ લોકોના ચૂંટણી કાર્ડ અને અનેક પરિવારોના રેશનકાર્ડ પણ હજુ સુધી બન્યા નથી.
ગેસ પાઈપલાઈનની વાતો વચ્ચે સિલિન્ડરનું બ્લેક માર્કેટિંગ
વડાપ્રધાનનો બીજો મોટો દાવો હતો કે રસોડામાં ચૂલો સળગાવવાના ફાફા મટી ગયા છે અને બહેનોને પાઈપલાઈનથી ગેસ મળી રહ્યો છે. હકીકત એ છે કે ગુજરાતમાં અત્યારે ૮૨.૭૫ લાખ ઘરેલુ એલપીજી ગ્રાહકો છે, જેમના માટે વર્ષે ૫.૫૦ કરોડ સિલિન્ડરની જરૂર પડે છે. પરંતુ બજારમાં ગેસની ભયંકર તંગી અને બ્લેક માર્કેટિંગ ચાલી રહ્યું છે. સરકારે બુકિંગના નિયમો બદલીને બે સિલિન્ડર વચ્ચે ૨૫ દિવસનું અંતર ફરજિયાત કરવું પડ્યું છે. જે ૩૫ થી ૩૬ લાખ પાઈપ ગેસ કનેક્શન છે તે માત્ર મોટા શહેરો પૂરતા સીમિત છે, જ્યારે ગરીબો આજે પણ મોંઘાદાટ કોમર્શિયલ અને ઘરેલુ બાટલા માટે લાઈનોમાં ઉભા છે.
સૂર્યના સાત ઘોડા કે કોંગ્રેસના જૂના પ્રોજેક્ટ?
સત્તાધારી નેતાઓ ઉર્જાના નામે ‘સૂર્યના સાત ઘોડા’ ની મોટી વાતો કરે છે, જેમાં કોલસો, ગેસ, અણુ ઉર્જા, હાઈડ્રો પાવર વગેરેનો સમાવેશ થાય છે. પરંતુ હકીકત એ છે કે આ સાતમાંથી છ પ્રોજેક્ટ તો ભાજપ સરકાર આવી તે પહેલા કોંગ્રેસના શાસનમાં બનેલા હતા. દક્ષિણ ગુજરાતમાં તાપી કિનારે સોલાર એનર્જીનું કોઈ નામોનિશાન નથી, બાયોમાસ પ્રોજેક્ટ સદંતર નિષ્ફળ ગયો છે અને છાણમાંથી ગેસ બનાવવાનો પ્રોજેક્ટ પણ ફ્લોપ સાબિત થયો છે. શાસકો માત્ર જૂની સિદ્ધિઓ પર પોતાના નામના સિક્કા મારીને જનતાને ભ્રમિત કરી રહ્યા છે.
સોલાર કેપિટલના બહાને ખેડૂતો પર કોર્પોરેટ અત્યાચાર
ઉત્તર ગુજરાતના રાધનપુરને દુનિયાનું ‘સોલાર કેપિટલ’ બનાવવાનો દાવો કરાયો હતો, પણ રાધનપુર તો બાજુ પર રહ્યું, સરકારે કચ્છમાં અદાણી અને રિલાયન્સ જેવી બે મોટી ખાનગી કોર્પોરેટ કંપનીઓને ૧૦૦૦ ચોરસ કિલોમીટર જમીન લહાણીમાં આપી દીધી છે. આ કંપનીઓની વીજ લાઈનો નાખવા માટે ગુજરાતના ૫૮ લાખમાંથી ૨૫ લાખ ખેડૂતોની કિંમતી જમીનો પર બળજબરીથી થાંભલા ખોડવામાં આવી રહ્યા છે. વર્ષ ૨૦૧૩ ના જમીન સંપાદન કાયદા મુજબ જંત્રીના ચાર ગણા પૈસા આપવાના બદલે ખેડૂતોને એક રૂપિયો પણ ન આપવાની રાજરમત ગાંધીનગર અને દિલ્હીથી ચાલી રહી છે, જેના વિરોધમાં ૨૩ ખેડૂત સંગઠનો ૧૫મી જૂને ગાંધીનગરમાં વિશાળ ટ્રેક્ટર રેલી કાઢવાના છે.
રૂ. ૨૮,૦૦૦ કરોડનું આંધણ અને કૃષ્ણા ગોદાવરીનો ફ્લોપ શો
વર્ષ ૨૦૦૫ માં તત્કાલીન મુખ્યમંત્રીએ દાવો કર્યો હતો કે જીએસપીસી (GSPC) કંપનીએ કૃષ્ણા ગોદાવરી (KG) બેસિનમાં ૨૨ ટીસીએફ ગેસ અને તેલનો વિપુલ ભંડાર શોધી કાઢ્યો છે અને કહ્યું હતું કે ‘જો આ પ્રોજેક્ટ નિષ્ફળ જશે તો ગાળો ખાવાની જવાબદારી મારી’. આજે ૨૦૨૬ માં વાસ્તવિકતા એ છે કે ત્યાંથી ગેસનું એક ટીપું પણ મળ્યું નથી અને ગુજરાતની જનતાના ૨૮,૦૦૦ કરોડ રૂપિયા પાણીમાં ડૂબી ગયા છે. જો એ ગેસ મળ્યો હોત તો દેશમાં તેલ-ગેસ મોંઘા ન હોત. પાંચ કરોડ ગુજરાતીઓના ગૌરવના નામે માત્ર સરકારી નાણાંનો ધુમાડો કરીને કોર્પોરેટ મિત્રોના ગજવા ભરવાનું કામ આ સિસ્ટમે કર્યું છે.
કોર્પોરેટ સર્વેના નામે આદિવાસીઓને વિસ્થાપિત કરવાનું કાવતરું
આમ આદમી પાર્ટીના આદિવાસી મહિલા નેતા રાધિકા રાઠવાએ પણ સરકારની પોલ ખોલતા જણાવ્યું કે, ૩૦મી મેના રોજ તુરખેડા ગામમાં એક ખાનગી કંપની સર્વે કરવા પહોંચી હતી. શાસક પક્ષના ઠગ મંત્રીઓ, ધારાસભ્યો અને સાંસદો અગાઉ ગામમાં આવીને ખોટું બોલતા હતા કે અહીં કોઈ પ્રોજેક્ટ આવવાનો નથી અને કોઈને વિસ્થાપિત કરાશે નહીં. પરંતુ સરકારે પોતે જ ખાનગી કંપનીઓને સર્વેના આદેશ આપ્યા હોવાના વિડીયો અને કાગળો સામે આવ્યા છે. ‘જૂઠ બોલે કૌવા કાટે’ ની જેમ નેતાઓ જનતા સાથે સરેઆમ દગો કરી રહ્યા છે અને ગરીબ આદિવાસીઓની જમીનો આંચકીને ઉદ્યોગપતિઓને પધરાવવાનું ષડયંત્ર દિલ્હી-ગાંધીનગરથી ઓપરેટ થઈ રહ્યું છે.
આ પણ વાંચો:








