
CBSE Chairman and Secretary Transferred: દેશની શિક્ષણ વ્યવસ્થા અને લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં કરવાનો સરકારી વિભાગોનો સિલસિલો યથાવત છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) ની અંદર ચાલી રહેલા મોટા ગેરરીતિના ખેલ વચ્ચે કેન્દ્ર સરકારે આંચકાજનક પગલું ભરીને મંગળવારે બોર્ડના ચેરમેન રાહુલ સિંહ અને સચિવ હિમાંશુ ગુપ્તાની રાતોરાત બદલી કરી દીધી છે. બોર્ડની ઓન-સ્ક્રીન માર્કિંગ (OSM) સિસ્ટમ માટે સેવાઓની ખરીદી પ્રક્રિયામાં કરોડોના કૌભાંડ અને ગેરરીતિની આશંકાને પગલે આ આકરી કાર્યવાહી કરવામાં આવી છે. સામાન્ય રીતે ભ્રષ્ટાચાર પર પડદો પાડતી સરકારે જનતાના આક્રોશ સામે ઝૂકીને આ મામલે તપાસ માટે એક સભ્યની ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિની પણ રચના કરવી પડી છે.
કૌભાંડ દબાવવા માટે એક સભ્યની સમિતિનો સરકારી ખેલ
સત્તાવાર આદેશ અનુસાર, આ હાઈપ્રોફાઈલ કૌભાંડની તપાસ સમિતિની અધ્યક્ષતા કેપેસિટી બિલ્ડિંગ કમિશનના અધ્યક્ષ એસ. રાધા ચૌહાણને સોંપવામાં આવી છે. આ સમિતિને CBSE દ્વારા ઓન-સ્ક્રીન માર્કિંગ સિસ્ટમના કોન્ટ્રાક્ટ અને સેવાઓની ખરીદીમાં કઈ ટેન્ડર પ્રક્રિયાઓનું ઉલ્લંઘન થયું અને કોના ખિસ્સા ભરાયા, તેની ઊંડી તપાસ કરવાની જવાબદારી અપાઈ છે. તપાસ દરમિયાન પોતાની નબળાઈઓ છુપાવવા અને કેસને મજબૂત કરવા માટે સમિતિના અધ્યક્ષને અન્ય સરકારી વિભાગોના વરિષ્ઠ અધિકારીઓની સહાય લેવાની પણ છૂટ આપવામાં આવી છે.
એક મહિનાનો સમય અને DoPT ને રિપોર્ટ સોંપવાની ઉતાવળ
સરકારી ભ્રષ્ટાચારના અન્ય કેસોની જેમ આ મામલો પણ ઠંડા બસ્તામાં ન ચાલ્યો જાય તે માટે સમિતિને કડક આદેશ અપાયા છે. આ તપાસ સમિતિને સચિવિય સહાય પુરી પાડવાની જવાબદારી કેપેસિટી બિલ્ડિંગ કમિશનને સોંપવામાં આવી છે. સમિતિને સ્પષ્ટ નિર્દેશ છે કે તેમણે માત્ર એક મહિનાની અંદર જ પોતાનો વિગતવાર તપાસ અહેવાલ ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગ (DoPT) ને સોંપી દેવાનો રહેશે. જો કે, જનતા સારી રીતે જાણે છે કે આવા રિપોર્ટો ઘણીવાર માત્ર ફાઇલ બંધ કરવા માટે જ બનતા હોય છે.
સાયબર હુમલાનું બહાનુ અને પોર્ટલ પર સરકારી એજન્સીઓનો પહેરો
બીજી તરફ, પોતાની આબરૂ બચાવવા માટે શિક્ષણ મંત્રાલયના સૂત્રો હવે નવો રાગ આલાપી રહ્યા છે. મંત્રાલયના જણાવ્યા મુજબ, ભારત સરકારની સાયબર સુરક્ષા એજન્સીઓ, જેમાં ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર (I4C) પણ સામેલ છે, તે CBSE ના OSM રી-ઇવેલ્યુએશન પોર્ટલ પર થઈ રહેલા કથિત સાયબર હુમલા પર નજીકથી નજર રાખી રહી છે. સિસ્ટમની પોતાની ખામીઓ અને ભ્રષ્ટાચારને છુપાવવા માટે ‘સાયબર એટેક’ નું બહાનુ ધરીને દોષિતો વિરૂદ્ધ કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવાની મોટી વાતો વહેતી કરવામાં આવી છે.
પરિણામો બાદ વિદ્યાર્થીઓનો હોબાળો અને બોર્ડ પર અસહ્ય દબાણ
આ આખી કાર્યવાહી એવા સમયે કરવામાં આવી છે જ્યારે CBSE બોર્ડ પરિણામ જાહેર થયા બાદથી જ ચોમેરથી ઘેરાયેલું છે. વિદ્યાર્થીઓ અને વાલીઓ આક્ષેપ કરી રહ્યા છે કે મૂલ્યાંકન કરાયેલી ઉત્તરવહીઓમાં OSM સિસ્ટમ સાથે જોડાયેલી વ્યાપક ગેરરીતિઓ થઈ છે, જેના કારણે હજારો તેજસ્વી વિદ્યાર્થીઓના માર્ક્સ કપાઈ ગયા છે. પરિણામ પછીના પોર્ટલમાં ટેકનિકલ ખામીઓ અને સોફ્ટવેર ફેલ્યોરને કારણે બોર્ડ સતત જનતા અને વિદ્યાર્થી સંગઠનોના અસહ્ય દબાણનો સામનો કરી રહ્યું હતું, જેના કારણે આખરે સરકારને પોતાના જ અધિકારીઓ બલિના બકરા બનાવવા પડ્યા છે.
નામ બદલીને ‘OnMark’ નવું પોર્ટલ અને IIT નિષ્ણાતોની ફોજ
ભૂલો સ્વીકારવાના બદલે બોર્ડે પોતાની જૂની સિસ્ટમ પર પડદો પાડીને ‘OnMark’ નામનું એક નવું પોર્ટલ તાબડતોબ શરૂ કરી દીધું છે. રવિવારે બોર્ડે સત્તાવાર રીતે સ્વીકારવું પડ્યું હતું કે તેણે પ્લેટફોર્મની સુરક્ષા વ્યવસ્થાને મજબૂત કરવા અને ખામીઓ સુધારવા માટે વિવિધ સરકારી એજન્સીઓ સહિત આઈઆઈટી (IIT) ના સાયબર સુરક્ષા નિષ્ણાતોની આખી ફોજ તૈનાત કરવી પડી છે. આ સાબિત કરે છે કે બોર્ડનું જૂનું કરોડો રૂપિયાનું સોફ્ટવેર તદ્દન નકામું અને અસુરક્ષિત હતું.
૬ જૂન સુધી ખુલ્લી રહેશે બારી અને રી-ઇવેલ્યુએશનની છેલ્લી તક
ભ્રષ્ટાચાર અને ટેકનિકલ ખામીઓ વચ્ચે પીસાવવાનો વારો હંમેશા સામાન્ય મધ્યમવર્ગીય વિદ્યાર્થીઓનો જ આવે છે. બોર્ડે જાહેર કર્યું છે કે આ નવું પોર્ટલ આગામી ૬ જૂન ૨૦૨૬ ની મધ્યરાત્રિ સુધી જ ખુલ્લું રહેશે, એટલે કે વિદ્યાર્થીઓ પાસે પોતાની ઉત્તરવહીઓ ફરી ચકાસવા માટે બહુ ઓછો સમય છે. સરકારી અણઘડ આયોજનના કારણે જે વિદ્યાર્થીઓના ભવિષ્ય જોખમમાં મુકાયા છે, તેઓ હવે આ પોર્ટલના સહારે ન્યાયની આશા રાખીને બેઠા છે.
ભૂલ બોર્ડની અને લૂંટ વિદ્યાર્થીઓની; પુનઃમૂલ્યાંકનના નામે કરોડોની કમાણી
સૌથી વરવી વાસ્તવિકતા એ છે કે શિક્ષણ બોર્ડ પોતાની નાકામી અને સ્ટાફની ભૂલોનો આર્થિક બોજ પણ ગરીબ વિદ્યાર્થીઓ પર જ નાખી રહ્યું છે. બોર્ડ દ્વારા જારી કરાયેલા આદેશ મુજબ, સ્કેન કરાયેલી ઉત્તરવહીઓમાં ભૂલોની ચકાસણી (વેરિફિકેશન) માટે પ્રતિ ઉત્તરવહી ૧૦૦ રૂપિયા અને જવાબોના પુનઃમૂલ્યાંકન (રી-ઇવેલ્યુએશન) માટે પ્રતિ પ્રશ્ન ૨૫ રૂપિયાની ફી નક્કી કરવામાં આવી છે. આ ફીની ચૂકવણી પણ માત્ર ઓનલાઇન માધ્યમો જેવા કે UPI, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અને નેટ બેન્કિંગ દ્વારા જ સ્વીકારવામાં આવશે. પોતાની ખામીઓ સુધારવા માટે પણ જનતા પાસેથી કરોડો રૂપિયા ખંખેરવાનો આ સરકારી કીમિયો છે.
આ પણ વાંચો:








