
CBSE OSM Controversy: દેશના લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં કરનારી સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) ની ‘ઓન-સ્ક્રીન માર્કિંગ’ (OSM) સિસ્ટમની ગેરરીતિઓએ કેન્દ્ર સરકારની પોલ ખોલી દીધી છે. આ મહાકૌભાંડને લઈને મુખ્ય વિરોધ પક્ષ કોંગ્રેસે બુધવારે (૩ જૂન, ૨૦૨૬) કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પર આકરા પ્રહારો કર્યા છે. કોંગ્રેસે સત્તાધારીઓ સામે સીધો સવાલ ઉઠાવ્યો છે કે આખરે કોના આશીર્વાદ અને સંરક્ષણના કારણે અક્ષમ અને ભ્રષ્ટ મંત્રી હજુ સુધી પોતાના પદ પર બનેલા છે? શિક્ષણ મંત્રાલયના ઉચ્ચ સ્તરે વ્યાપેલા ભ્રષ્ટાચાર અને વહીવટી અણઆવડતના સ્પષ્ટ પુરાવા દેશ સામે આવી ગયા હોવા છતાં, મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન નૈતિકતા નેવે મૂકીને બેશરમીથી પોતાની ખુરશી બચાવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. તંત્રની આ હઠધર્મી સામે હવે જનતામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ટોચના અધિકારીઓની બલી ચડાવાઈ, પણ અસલી ગુનેગાર મંત્રીને બચાવવા પીએમ મોદી કેમ મક્કમ?
ભ્રષ્ટાચારના આ ગંભીર મામલામાં દેખાવ પૂરતી કાર્યવાહી કરીને CBSE ના ટોચના અધિકારીઓની બદલી તો કરી દેવામાં આવી, પરંતુ તેનાથી શિક્ષણ મંત્રાલયની મુખ્ય જવાબદારી ખતમ થતી નથી. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શાસક પક્ષને આડે હાથ લેતા જણાવ્યું કે, અધિકારીઓને બદલવા એ માત્ર નાટક છે. અસલી ભ્રષ્ટાચાર તો મંત્રાલયના ઉચ્ચ સ્તરે બેઠેલા લોકોની મિલીભગતથી થયો છે. તેમણે સીધો પ્રહાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કરતા સવાલ કર્યો કે, આટલી મોટી વહીવટી નિષ્ફળતા અને લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે થયેલા ઘાતકી ખેલ છતાં પીએમ મોદી મંત્રી પ્રધાનને બચાવવા પર કેમ અડેલા છે? દેશના વડાપ્રધાનને લાખો માસૂમ બાળકોના ભવિષ્ય કરતા પોતાની રાજકીય મિલીભગત બચાવવામાં વધુ રસ હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.
The CBSE leadership may have been transferred out, but the Mantri Pradhan is shamelessly digging his heels in office even while evidence of his Ministry’s incompetence and corruption piles up.
• We have learnt from media reporting that the CBSE could not answer questions…
— Jairam Ramesh (@Jairam_Ramesh) June 3, 2026
૧૮ વર્ષના વિદ્યાર્થીએ સંસદીય સમિતિ સામે ખોલી દીધી ભ્રષ્ટ બાબુઓની પોલ
આ આખા કૌભાંડનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે દિગ્વિજય સિંહની અધ્યક્ષતાવાળી શિક્ષણ સંબંધિત સંસદીય સમિતિ સમક્ષ આ મામલો આવ્યો. સૌથી આશ્ચર્યની વાત એ છે કે, જે ગેરરીતિઓ પકડવામાં આખું સરકારી તંત્ર અને તપાસ એજન્સીઓ નિષ્ફળ રહી, તે કથિત ભ્રષ્ટાચાર તરફ ૧૮ વર્ષના એક જાગૃત વિદ્યાર્થી સાર્થક સિદ્ધાંતે સોશિયલ મીડિયા દ્વારા સમગ્ર દેશનું ધ્યાન દોર્યું હતું. સંસદીય સમિતિએ જ્યારે આ બહાદુર વિદ્યાર્થીની જુબાની સાંભળી અને ત્યારબાદ CBSE ના ઉચ્ચ અધિકારીઓને OSM સેવાના ટેન્ડર અને કોન્ટ્રાક્ટ વિશે આકરા સવાલો પૂછ્યા, ત્યારે ભ્રષ્ટ બાબુઓ કાપો તો લોહી ન નીકળે તેવી સ્થિતિમાં આવી ગયા હતા. ટેન્ડર પ્રક્રિયામાં થયેલી ગડબડીઓ અને નિયમોના ધજાગરા અંગે અધિકારીઓ સમિતિ સમક્ષ એક પણ તાર્કિક જવાબ આપી શક્યા નહોતા.
CBSE ની આ ઓન-સ્ક્રીન માર્કિંગ (OSM) સિસ્ટમ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત અને ખામીયુક્ત હોવાના અહેવાલો ડ્રાય રન દરમિયાન જ સામે આવી ચૂક્યા હતા. મીડિયા તપાસ અને સિસ્ટમમાં સહભાગી થયેલા નિષ્ણાતોએ બોર્ડને સ્પષ્ટ આગ્રહ કર્યો હતો કે જ્યાં સુધી આ ટેકનિકલ ખામીઓ દૂર ન થાય અને પેપર તપાસનારા મૂલ્યાંકનકારોને યોગ્ય ટ્રેનિંગ આપવામાં ન આવે, ત્યાં સુધી આ આખી પ્રક્રિયાને મુલતવી રાખવામાં આવે. અંગ્રેજી અખબારના અહેવાલો દર્શાવે છે કે બોર્ડ આ ગંભીર સલાહ પર ધ્યાન આપવામાં માત્ર નિષ્ફળ જ નથી રહ્યું, પરંતુ સહભાગીઓએ ઉઠાવેલા ચોક્કસ મુદ્દાઓને જાણીજોઈને દબાવી દીધા હતા. મંત્રાલયના આ આંધળા અનુકરણ અને કટકી કરવાના આગ્રહના કારણે અંતે દેશના નિર્દોષ બાળકોએ માનસિક ત્રાસ ભોગવવો પડ્યો છે અને તેમના ભવિષ્યને અંધકારમાં ધકેલી દેવાયું છે.
રી-ઈવેલ્યુએશન પોર્ટલમાં પણ ગોટાળા
સરકારી તંત્રની લાપરવાહી માત્ર પરીક્ષા પદ્ધતિ પૂરતી સીમિત નથી, પરંતુ પેપરના પુનઃમૂલ્યાંકન (Re-evaluation) ની વિનંતીઓ સ્વીકારવામાં પણ બોર્ડ ઘૂંટણિયે પડી ગયું છે. પોતાની જ નક્કી કરેલી સમયમર્યાદાને પૂરી કરવામાં CBSE સતત નિષ્ફળ રહ્યું છે. બોર્ડે પહેલા રી-ઈવેલ્યુએશન માટે ૨૯ મેની છેલ્લી તારીખ આપી હતી, જે પૂરી ન થઈ શકતા લંબાવીને ૧ જૂન કરવામાં આવી. આ ૧ જૂનની નવી સમયમર્યાદામાં પણ પોર્ટલ ઠપ્પ રહ્યું અને આખરે જ્યારે ૨ જૂને ઓફિશિયલ પોર્ટલ ખોલવામાં આવ્યું, ત્યારે પણ અંધાધૂંધી મચી ગઈ હતી. હજારો વિદ્યાર્થીઓને પોર્ટલ એક્સેસ કરવામાં અને રી-ઈવેલ્યુએશનની ફી નું ઓનલાઈન પેમેન્ટ કરવામાં ભારે મુશ્કેલીઓ પડી હતી, જેનાથી તંત્રની ડિજિટલ ઈન્ડિયાની વાતોનો ફિયાસ્કો થઈ ગયો છે.
TCS ને પડતી મૂકીને ‘Coempt Edutech’ પર મહેરબાની કેમ? વિપક્ષના નેતા રાહુલ ગાંધીનો સવાલ
સમગ્ર દેશમાં મચેલા આ હોબાળા વચ્ચે લોકસભામાં વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ આ કૌભાંડના મૂળ પર પ્રહાર કર્યો છે. તેમણે સીધો સવાલ ઉઠાવ્યો છે કે, દેશની સૌથી પ્રતિષ્ઠિત અને સૌથી મોટી આઈટી સેવા આપતી કંપની ‘TCS’ પાસે આ કામગીરી હોવા છતાં, અચાનક એવો તો શું ચમત્કાર થયો કે TCS નો કોન્ટ્રાક્ટ રદ કરીને આટલી મહત્વપૂર્ણ ઓન-સ્ક્રીન માર્કિંગ સિસ્ટમની જવાબદારી ‘Coempt Edutech’ નામની વિવાદિત કંપનીને પધરાવી દેવામાં આવી? રાહુલ ગાંધીએ આક્ષેપ કર્યો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ આખા ગોટાળા પરની રહસ્યમય ચૂપકીદી જ સાબિત કરે છે કે તેમને દેશના લાખો વિદ્યાર્થીઓના ભવિષ્યની કોઈ પરવા નથી, તેમનો એકમાત્ર એજન્ડા માત્ર અને માત્ર ગમે તે ભોગે પોતાની ભ્રષ્ટ સરકાર બચાવવાનો છે.
NDA ના મતદારો પણ નારાજ
ચારેય તરફથી ઘેરાયેલી સરકારે જનતાનો આક્રોશ શાંત કરવા માટે કેબિનેટ સચિવાલય દ્વારા એક સભ્યની તપાસ સમિતિની જાહેરાત તો કરી દીધી છે. ‘કેપેસિટી બિલ્ડિંગ કમિશન’ ના અધ્યક્ષ એસ. રાધા ચૌહાણની આગેવાની હેઠળ આ સમિતિ ખરીદી પ્રક્રિયાની તપાસ કરશે, પણ વાચકો જાણી જ ગયા હશે કે આવી સમિતિઓ માત્ર ભીનું સંકેલવા માટે જ બનતી હોય છે. જયરામ રમેશે એક સરવેનો હવાલો આપીને જણાવ્યું કે, હવે તો ખુદ શાસક પક્ષ National Democratic Alliance (NDA) ના પોતાના કટ્ટર મતદારો પણ આ શિક્ષણ મંત્રાલયની કનડગતથી કંટાળી ગયા છે અને મંત્રી પ્રધાનનું રાજીનામું માંગી રહ્યા છે. જ્યાં સુધી આ ભ્રષ્ટ શાસકો સત્તા પરથી હટશે નહીં, ત્યાં સુધી દેશના યુવાનોના ભવિષ્ય પર આવી કંપનીઓ અને બાબુઓ રાજ કરતા રહેશે.
આ પણ વાંચો:







