
Delhi Malviya Nagar Fire: રાજધાની દિલ્હીના માલવીય નગરમાં બુધવારે (૩ જૂન, ૨૦૨૬) એક ગેરકાયદેસર બિલ્ડિંગમાં લાગેલી ભીષણ આગમાં ૨૧ નિર્દોષ લોકો જીવતા ભુંજાઈ ગયા છે. આ હૃદયદ્રાવક નરસંહાર કોઈ અકસ્માત નથી, પરંતુ સરકારી બાબુઓ અને નેતાઓની મિલીભગતનું પરિણામ છે. આ ઘટનાના બરાબર પાંચ મહિના પહેલા દિલ્હી હાઈકોર્ટે કડક શબ્દોમાં આદેશ આપ્યો હતો કે રાજધાનીની તમામ હોટલો, રેસ્ટોરન્ટો અને હોસ્પિટાલિટી સંસ્થાઓમાં ફાયર સેફ્ટીના નિયમોનું કડક પાલન કરાવવામાં આવે. પરંતુ એસી ચેમ્બરોમાં બેસીને લાંચ ઉઘરાવતા સત્તાધીશો કોર્ટના આદેશને ઘોળીને પી ગયા અને તેનો જ ભોગ આ ૨૧ પરિવારોએ આપવો પડ્યો છે.
૬ રૂમની મંજૂરી સામે ૨૫ રૂમનો ગેરકાયદે ખાતરો
માલવીય નગરના હૌઝ રાની વિસ્તારમાં આવેલી ‘ફ્લરિશ સ્ટેજ B&B’ નામની આ મોતની ઇમારતમાં નિયમોના સરેઆમ ધજાગરા ઉડાવાયા હતા. કાગળ પર આ હોટલને માત્ર ૬ રૂમ ચલાવવાની મંજૂરી મળી હતી, પરંતુ વહીવટી તંત્રની આંખ સામે તેને ગેરકાયદેસર રીતે વધારીને ૨૫ રૂમનું બનાવી દેવાયું હતું. બિલ્ડિંગમાં આવવા-જવા માટે માત્ર એક જ સાંકડી સીડી હતી અને આગથી બચવાના કોઈ સાધનો નહોતા. ઘટના બાદ પોલીસે હોટલના માલિક લવકેશ બજાજની અટકાયત કરી લીધી છે, જે ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તપાસમાં સામે આવ્યું છે કે આ જ વિસ્તારમાં લવકેશની અન્ય બે પ્રોપર્ટી પણ ચાલે છે, જેમાં આવા જ ગોટાળા હોવાની આશંકા છે. સવાલ એ છે કે માલિક તો પકડાયો, પણ આટલું મોટું ગેરકાયદે બાંધકામ થવા દેનારા ભ્રષ્ટ અધિકારીઓ ક્યારે જેલ ભેગા થશે?
વિદેશી મહેમાનો હોમાયા અને મરણઆંક વધવાની આશંકા
આ ભયાનક અગ્નિકાંડમાં દેશની આંતરરાષ્ટ્રીય સ્તરે પણ બદનામી થઈ છે, કારણ કે મૃતકોમાં નવ આફ્રિકન નાગરિકો અને બે તુર્કમેનિસ્તાનના નાગરિકો સામેલ છે. બાકીના મૃતકો ભારતીય છે. હજુ પણ મરણઆંક વધી શકે તેમ છે, કારણ કે હોસ્પિટલમાં દાખલ કરાયેલા ઘાયલો જિંદગી અને મોત વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. દિલ્હીમાં શાસકોની લાપરવાહીનો આ કોઈ પહેલો કિસ્સો નથી. છેલ્લા પાંચ મહિનામાં જ દિલ્હીમાં આગ લાગવાની ૨૦ થી વધુ મોટી ઘટનાઓ નોંધાઈ છે, જેમાં અત્યાર સુધીમાં ૮૯ લોકો સળગીને મરી ચૂક્યા છે. છતાં પણ શાસકોના પેટનું પાણી હલતું નથી.
‘દિલ્હીમાં બધું ચાલે છે’ નો ભ્રષ્ટ અભિગમ
૭ જાન્યુઆરીએ દિલ્હી હાઈકોર્ટે દિલ્હી સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશનને ‘ઝડપી’ એક્શન પ્લાન બનાવવાનો આદેશ આપ્યો હતો. આ અરજી ૬ ડિસેમ્બર, ૨૦૨૫ ના રોજ ગોવાના એક નાઇટકલ્બમાં લાગેલી આગ બાદ દાખલ થઈ હતી. પરંતુ કેસના વકીલે ખુલાસો કર્યો છે કે તંત્રએ હજુ સુધી આના પર કોઈ કામ કર્યું નથી. બીજી તરફ, પકડાયેલા માલિક લવકેશ બજાજે પોલીસ સમક્ષ એવો બચાવ કર્યો કે દિલ્હી અગ્નિશમન સેવા નિયમ ૨૦૧૦ મુજબ, ૧૫ મીટરથી ઓછી ઊંચી ઇમારતો માટે ‘ફાયર NOC’ ની જરૂર જ હોતી નથી! તેણે એવો પણ આક્ષેપ કર્યો કે કોઈ સ્થાનીય વચેટીયાએ તેને બિલ્ડિંગના ગેરકાયદે વિસ્તરણની સલાહ આપીને કહ્યું હતું કે, ‘દિલ્હીમાં આ બધું સામાન્ય છે અને બધું ચાલે છે!’ મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ હવે તપાસના આદેશ આપ્યા છે, જે દર વખતની જેમ માત્ર નાટક સમાન છે.
સેલ્ફ-સર્ટિફિકેશનના નામે કૌભાંડીઓને છૂટો દોર
જનતાના રોષથી બચવા માટે દિલ્હી સરકારે ૨૭ મેના રોજ એક નવો ફાયર સેફ્ટી પ્રસ્તાવ રજૂ કર્યો હતો. આ અંતર્ગત સરકારી ઇન્સ્પેક્શનના બદલે ખાનગી ફાયર ઓડિટર્સ દ્વારા ફાયર ક્લિયરન્સ આપવાની વાત છે, જે ભ્રષ્ટાચારને વધુ પ્રોત્સાહન આપશે. એટલું જ નહીં, સરકારે ‘બેટ એન્ડ બ્રેકફાસ્ટ પોલિસી ૨૦૨૬’ નો જે ડ્રાફ્ટ બનાવ્યો છે, તેમાં ઓનલાઇન રજીસ્ટ્રેશન અને સેલ્ફ-સર્ટિફિકેશનના આધારે આઠ રૂમ સુધીની હોટલ ચલાવવાની છૂટ આપી દીધી છે. અર્બન પ્લાનર સારિકા પાંડાએ આ પોલિસીની આકરી ટીકા કરતા જણાવ્યું કે, જે શહેરમાં રહેણાંક મકાનો પર ગેરકાયદેસર માળ ચણાઈ જતા હોય અને રહેણાંક બિલ્ડિંગ કોમર્શિયલ બની જતી હોય, ત્યાં સેલ્ફ-સર્ટિફિકેશન નહીં પણ કડક સરકારી દેખરેખ અને ડંડાની જરૂર છે. સરકાર નવી પોલિસીઓ લાવીને પોતાની જવાબદારીમાંથી હાથ ધોઈ નાખવા માંગે છે.
ફાયર વિભાગ પોતે જ સ્ટાફ વિના લાચાર
બુધવારે સવારે ૮.૩૦ વાગ્યે જ્યારે આગ લાગી ત્યારે સરકારી બચાવ દળ મોડું પહોંચ્યું હતું અને ત્યાં સુધીમાં સ્થાનિક લોકોએ જ જીવના જોખમે બચાવ કામગીરી શરૂ કરવી પડી હતી. ફાયર બ્રિગેડ મોડું કેમ પહોંચ્યું? તેનો જવાબ આપણી સિસ્ટમની નાકામીમાં છુપાયેલો છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર, દિલ્હી ફાયર સર્વિસ (DFS) માં સ્ટેશન ઓફિસર્સના ૯૦ માંથી ૭૨ પદ ખાલી પડ્યા છે! સબ-ઓફિસર્સના ૧૭૨ માંથી ૬૧ પદ ખાલી છે. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે જમીન પર જઈને આગ બુઝાવનારા ‘લીડિંગ ફાયરમેન’ ના ૪૨૨ પદોમાંથી ૨૪૬ પદ એટલે કે ૫૮% જગ્યાઓ ખાલી છે! જ્યારે ફાયરમેનની ૩૨૦ જગ્યાઓ ખાલી છે. આટલી ગંભીર અછત વચ્ચે પણ સરકાર ભરતી કરવાના બદલે કુંભકર્ણની નિંદ્રામાં સૂતી છે. પૂરતો સ્ટાફ જ ન હોય, તો દિલ્હીને સળગતું કોણ બચાવશે?
આ પણ વાંચો:








