
Supreme Court New Judges: દેશની લોકશાહીના છેલ્લા સ્તંભ ગણાતા ન્યાયતંત્રમાં શાસક પક્ષની મરજી મુજબ મોટો ફેરબદલ થયો છે. દેશના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે મંગળવારે (૨ જૂન, ૨૦૨૬) સુપ્રિમ કોર્ટના પાંચ નવા ન્યાયાધીશોને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા છે. આ પાંચ ન્યાયાધીશોમાં ચાર અલગ-અલગ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશો (જસ્ટિસ શીલ નાગૂ, જસ્ટિસ શ્રી ચંદ્રશેખર, જસ્ટિસ સંજીવ સચદેવા અને જસ્ટિસ અરુણ પલ્લી) અને એક વરિષ્ઠ મહિલા એડવોકેટ વી. મોહનાનો સમાવેશ થાય છે. સરકારે કોલેજિયમની ભલામણોને લીલી ઝંડી આપીને આ નિમણૂકો કરી છે, પરંતુ આ પસંદગીએ લોકશાહી અને ન્યાયપ્રિય જનતામાં અનેક સવાલો ઉભા કર્યા છે. નવા બનેલા જજોના ભૂતકાળના કેટલાક ચર્ચિત અને સત્તાપક્ષને ફાયદો કરાવતા વિવાદાસ્પદ નિર્ણયો ફરીથી ચર્ચાના કેન્દ્રમાં આવ્યા છે.
રામ રહીમને બચાવનારા અને સ્ત્રી વિરોધી ચુકાદો આપનારા જસ્ટિસ શીલ નાગૂ હવે સર્વોચ્ચ અદાલતમાં
આ નવી નિમણૂકોમાં સૌથી મોટો આઘાત અને આશ્ચર્ય જસ્ટિસ શીલ નાગૂના નામને લઈને લાગ્યો છે. હજુ હમણાં જ માર્ચ ૨૦૨૬ માં પંજાબ અને હરિયાણા હાઈકોર્ટની જે વિશેષ બેન્ચે પત્રકાર રામચંદ્ર છત્રપતિ હત્યા કેસના મુખ્ય આરોપી અને ડેરા સચ્ચા સૌદાના વિવાદાસ્પદ પ્રમુખ ગુરમીત રામ રહીમ સિંહને નિર્દોષ જાહેર કર્યો હતો, તેના અધ્યક્ષ જસ્ટિસ શીલ નાગૂ પોતે જ હતા! વર્ષ ૨૦૧૯ માં નીચલી અદાલતે તમામ પુરાવા જોઈને રામ રહીમને આજીવન કેદની સજા ફટકારી હતી, પરંતુ હાઈકોર્ટે તિકડમ લગાવીને કહી દીધું કે પ્રિઝિક્યુશન પક્ષ કાવતરાના આરોપને શંકાથી પર સાબિત કરી શક્યો નથી. જસ્ટિસ નાગૂ મધ્ય પ્રદેશ હાઈકોર્ટમાં હતા ત્યારે ૨૦૨૪ માં તેમણે એવો ચુકાદો આપ્યો હતો કે જો પત્ની યોગ્ય કારણ વગર વૈવાહિક સંબંધનો ઇનકાર કરે તો તેને માનસિક ક્રૂરતા ગણી છૂટાછેડા આપી શકાય. સ્ત્રી સન્માન અને સંમતિના ધજાગરા ઉડાવતા આ નિર્ણયો કરનારા જસ્ટિસ નાગૂ માત્ર છ મહિના (૩૧ ડિસેમ્બર ૨૦૨૬ ના રોજ નિવૃત્ત) માટે સુપ્રિમ કોર્ટમાં બેસશે.
મોદીની ‘ડિગ્રી’ છુપાવીને પારદર્શિતાનું ગળું ઘોંટનારા જસ્ટિસ સંજીવ સચદેવાને મોટું ઈનામ
બીજા ચર્ચિત ચહેરા જસ્ટિસ સંજીવ સચદેવા છે, જેમની નિમણૂક પાછળ શાસકોની ખુશી સ્પષ્ટ દેખાઈ આવે છે. દિલ્હી હાઈકોર્ટમાં પોતાના કાર્યકાળ દરમિયાન જસ્ટિસ સચદેવાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દિલ્હી યુનિવર્સિટીની ડિગ્રી સાથે જોડાયેલા રેકોર્ડ જાહેર કરવાના સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશન (CIC) ના કડક આદેશને જ રદબાતલ કરી નાખ્યો હતો. દેશના વડાપ્રધાન ભણેલા છે કે નહીં તે જાણવાનો જનતાનો અધિકાર અને પારદર્શિતાને ફગાવી દઈને તેમણે આ રેકોર્ડને ‘ખાનગી માહિતી’ ની શ્રેણીમાં ગણાવી દીધો હતો. ૨૬ ડિસેમ્બર ૧૯૬૪ ના રોજ જન્મેલા અને દિલ્હી યુનિવર્સિટીના કેમ્પસ લો સેન્ટરથી ભણેલા સચદેવા ૨૦૧૩ માં દિલ્હી હાઈકોર્ટના એડિશનલ જજ બન્યા હતા અને બાદમાં મધ્ય પ્રદેશ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ પણ બન્યા. પીએમની ડિગ્રી છુપાવવાના બદલામાં તેમને સુપ્રિમ કોર્ટની ખુરશી ભેટમાં મળી હોવાની ચર્ચા કાનૂની ગલીઆરામાં જોરશોરથી ચાલી રહી છે.
ઝારખંડના એકમાત્ર પ્રતિનિધિ અને સંસદીય તપાસ સમિતિના સભ્ય જસ્ટિસ શ્રી ચંદ્રશેખર
જસ્ટિસ શ્રી ચંદ્રશેખર મૂળ ઝારખંડ હાઈકોર્ટના ન્યાયાધીશ છે અને ન્યાયતંત્રની ગોઠવણોમાં તેમનું સ્થાન પણ મહત્વનું રહ્યું છે. ૨૫ મે ૧૯૬૫ ના રોજ જન્મેલા ચંદ્રશેખરે ૧૯૯૩ માં દિલ્હી બાર કાઉન્સિલમાં નોંધણી કરાવી સિવિલ અને ફોજદારી કેસોમાં વકીલાત શરૂ કરી હતી. તેઓ જજ બનતા પહેલા સુપ્રિમ કોર્ટમાં જ વકીલ તરીકે ખૂબ સક્રિય હતા અને ૧૪૦ થી વધુ ચર્ચિત કેસોમાં હાજર રહી ચૂક્યા છે. જાન્યુઆરી ૨૦૧૩ માં તેઓ ઝારખંડ હાઈકોર્ટના જજ બન્યા હતા. તાજેતરના મહિનાઓમાં તેઓ લોકસભા સ્પીકર ઓમ બિરલાને જસ્ટિસ યશવંત વર્મા સંબંધિત કેસનો રિપોર્ટ સોંપનારી સંસદીય તપાસ સમિતિના સભ્ય પણ હતા. સુપ્રિમ કોર્ટમાં ઝારખંડ રાજ્યનું કોઈ જ પ્રતિનિધિત્વ નહોતું, તેથી સંતુલન સાધવાના બહાને તેમની એન્ટ્રી કરાવવામાં આવી છે.
પેઢી દર પેઢીની વકીલાત અને રાજકીય કનેક્શન ધરાવતા જસ્ટિસ અરુણ પલ્લી પણ સામેલ
નવા જજોની યાદીમાં સામેલ જસ્ટિસ અરુણ પલ્લીનો જન્મ ૧૮ સપ્ટેમ્બર ૧૯૬૪ ના રોજ થયો હતો. તેઓ એવા વગદાર પરિવારમાંથી આવે છે જેની અનેક પેઢીઓ વકીલાતના વ્યવસાય સાથે અને સત્તાની નજીક રહી છે. તેમના દાદા અને પિતા બંને પટિયાલાની અદાલતોમાં એડવોકેટ હતા. ખુદ અરુણ પલ્લી પણ ન્યાયાધીશ બનતા પહેલા વર્ષ ૨૦૦૪ થી ૨૦૦૭ ની વચ્ચે પંજાબની તત્કાલીન સરકારના એડિશનલ એડવોકેટ જનરલ તરીકે સેવાઓ આપી ચૂક્યા છે. ડિસેમ્બર ૨૦૧૩ માં તેમને પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના જજ બનાવવામાં આવ્યા હતા. એપ્રિલ ૨૦૨૬ માં જસ્ટિસ રાજેશ બિંદલ નિવૃત્ત થતાં પંજાબ-હરિયાણા લોબીનું પ્રતિનિધિત્વ ઘટી ગયું હતું, જેને જાળવી રાખવા માટે ચીફ જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ એજી મસીહની જ હાઈકોર્ટમાંથી આવતા જસ્ટિસ પલ્લીને દિલ્હી બોલાવી લેવાયા છે.
સેનામાં મહિલાઓને હક અપાવનારા એડવોકેટ વી. મોહનાની નિમણૂકથી ઈતિહાસ રચાયો
આ આખી યાદીમાં એકમાત્ર આવકારદાયક અને ઐતિહાસિક નિમણૂક વરિષ્ઠ એડવોકેટ વી. મોહનાની કહી શકાય. સુપ્રિમ કોર્ટના ૭૫ વર્ષથી વધુના ઇતિહાસમાં તેઓ માત્ર બીજા એવા મહિલા છે જેમની હાઈકોર્ટના જજ બન્યા વિના, સીધા બાર (વકીલોની શ્રેણી) માંથી સુપ્રિમ કોર્ટના જજ તરીકે પસંદગી થઈ છે. આ પહેલા ૨૦૧૮ માં જસ્ટિસ ઇન્દુ મલ્હોત્રાને આ બહુમાન મળ્યું હતું. વી. મોહના ભારતીય સેનામાં મહિલા અફસરોને ‘કાયમી કમિશન’ (Permanent Commission) અપાવવા માટે લડાયેલા કાનૂની જંગમાં પક્ષકારો વતી ધારદાર રજૂઆતો કરવા માટે દેશભરમાં જાણીતા છે. તેમની નિમણૂકથી સુપ્રિમ કોર્ટમાં મહિલા ન્યાયાધીશોની સંખ્યામાં થોડો સુધારો થશે.
વટહુકમ લાવીને જજોની સંખ્યા ૩૭ કરી દેવાઈ: બેન્ચો વધશે પણ શું ન્યાય મળશે?
આ પાંચ ન્યાયાધીશોની શપથવિધિની સાથે જ સર્વોચ્ચ અદાલતમાં જજોની કુલ સંખ્યામાં વધારો થયો છે. વાચકોને જણાવી દઈએ કે તાજેતરમાં જ કેન્દ્ર સરકારે સંસદને બાયપાસ કરીને એક વટહુકમ (ઓર્ડિનન્સ) બહાર પાડ્યો હતો અને સુપ્રિમ કોર્ટમાં જજોની મંજૂર સંખ્યા ૩૩ થી વધારીને સીધી ૩૭ કરી દીધી હતી. સરકારે જજોની સંખ્યા તો વધારી દીધી છે પરંતુ જે પ્રકારે સત્તાની તરફેણમાં ચુકાદા આપનારા અને રામ રહીમ જેવા ગુનેગારોને છોડી મૂકનારા ન્યાયાધીશોને પ્રમોશન આપીને દેશની સૌથી મોટી અદાલતમાં બેસાડવામાં આવી રહ્યા છે, તેનાથી સામાન્ય માણસનો કોર્ટ પરનો ભરોસો ડગમગી રહ્યો છે. શું આ નવી અદાલત સામાન્ય જનતાના હકોનું રક્ષણ કરશે કે પછી શાસકોની કઠપૂતળી બનીને રહી જશે? તે તો આવનારો સમય જ કહેશે.
આ પણ વાંચો:








