
Lavekesh Bajaj Document Scam: દિલ્હીના માલવીય નગરની હોટેલમાં લાગેલી ભીષણ આગમાં ૨૧ નિર્દોષ નાગરિકો જીવતા ભુંજાઈ ગયા, તે માત્ર એક અકસ્માત નથી પણ ભ્રષ્ટ વહીવટી તંત્ર અને લાલચુ મૂડીવાદીઓની જુગલબંધીનું પરિણામ છે. આ ભયાનક અગ્નિકાંડના મુખ્ય આરોપી અને હોટેલ માલિક લવકેશ બજાજની ધરપકડ બાદ જે ચોંકાવનારા ખુલાસા થયા છે, તેણે દેશની આંતરિક સુરક્ષા અને સરકારી એજન્સીઓની પોલ ખોલી દીધી છે. પોલીસના દાવા મુજબ, સત્તાવાળાઓની નાક નીચે આ હોટેલ માલિક માત્ર પૈસાની લાલચમાં વિદેશી નાગરિકોને ગેરકાયદેસર રીતે ભારતીય બનાવવાનું આખું રેકેટ ચલાવી રહ્યો હતો અને સરકારી બાબુઓ ઘોર નિદ્રામાં હતા.
પૈસા માટે દેશની સુરક્ષા દાવ પર
પોલીસ પૂછપરછ દરમિયાન આરોપી લવકેશ બજાજે સ્વીકાર્યું છે કે તેણે માત્ર થોડા રૂપિયાની કમાણી કરવા માટે દેશની સુરક્ષાને સરેઆમ દાવ પર લગાવી દીધી હતી. તેણે બે બાંગ્લાદેશી મહિલા નાગરિકો—સ્વીટી સરકાર અને તેની પુત્રી પુષ્પો સરકાર પાસેથી મોટી રકમ વસૂલીને પોતાના છતરપુર સ્થિત ખાનગી નિવાસસ્થાનના સરનામાનો ઉપયોગ કરવાની છૂટ આપી હતી. આ નકલી દસ્તાવેજોના આધારે આ વિદેશી ઘૂસણખોરોએ ભારતીય પાસપોર્ટ (Passport) અને અન્ય મહત્વપૂર્ણ સરકારી ઓળખપત્રો મેળવી લીધા હતા, જે દર્શાવે છે કે પૈસા ફેંકો તો ભારતમાં કોઈ પણ સરકારી દસ્તાવેજ સરળતાથી ખરીદી શકાય છે.
વર્ષોથી ચાલતું કૌભાંડ
દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, આ ચોંકાવનારા સરનામા કૌભાંડનો ભાંડો ૨૯ જાન્યુઆરી ૨૦૨૫ ના રોજ નોંધાયેલા એક કેસની તપાસ દરમિયાન ફૂટ્યો હતો. તપાસમાં બહાર આવ્યું કે સ્વીટી સરકાર, પુષ્પો સરકાર અને પુષ્પોનો સગીર પુત્ર કોઈ પણ કાનૂની પરવાનગી વગર, દિલ્હીમાં બેખૌફ રહી રહ્યા હતા. તેમની પાસેથી ખોટી રીતે મેળવેલા ભારતીય ઓળખપત્રો અને પાસપોર્ટ મળી આવ્યા છે. આટલા લાંબા સમય સુધી દેશની રાજધાનીમાં વિદેશી નાગરિકો નકલી સરકારી દસ્તાવેજો સાથે ફરતા રહ્યા અને સુરક્ષા એજન્સીઓ તેમજ ગુપ્તચર વિભાગને તેની ભનક સુદ્ધાં ન આવી, તે વહીવટી તંત્રની બેદરકારી સાબિત કરે છે.
પોલીસ તપાસ અને ધરપકડ
જ્યારે સ્વીટી સરકારે ભારતીય પાસપોર્ટ મેળવવા માટે આપેલા સરનામાની સ્થાનિક વેરિફિકેશન પ્રક્રિયા શરૂ થઈ, ત્યારે તપાસકર્તાઓ આખરે હોટેલ માલિક લવકેશ બજાજના ઘર સુધી પહોંચ્યા હતા. કથિત રીતે પૈસા લઈને ગેરકાયદેસર દસ્તાવેજો બનાવવાની આ સુવિધા પૂરી પાડવાના ગુનામાં પોલીસે લવકેશ બજાજ, સ્વીટી સરકાર અને પુષ્પો સરકારની ધરપકડ કરી લીધી છે. તપાસ પ્રક્રિયા પૂરી થયા બાદ હવે આરોપીઓ સામે અદાલતમાં ઔપચારિક ચાર્જશીટ (Charge Sheet) પણ દાખલ કરી દેવામાં આવી છે. જ્યારે પુષ્પો સરકારના સગીર પુત્ર સામે કાયદા અનુસાર આગળની કાર્યવાહી માટે પોલીસ ઇન્ફોર્મેશન રિપોર્ટ (PIR) દાખલ કરાયો છે.
૨૧ મોતના સોદાગરના રિમાન્ડ
આ દરમિયાન, માલવીય નગરના હૌજ રાની વિસ્તારમાં આવેલી ‘ફ્લોરિશ સ્ટે’ (Flourish Stay) હોટેલમાં ૩ જૂનની વહેલી સવારે લાગેલી ભીષણ આગના કેસમાં પણ લવકેશ બજાજની મુશ્કેલીઓ વધી છે. સાકેત કોર્ટના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ (JMFC) સમક્ષ રજૂ કર્યા બાદ, કોર્ટે ૨૧ લોકોના મોતના જવાબદાર એવા આ હોટેલ માલિકને ચાર દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલી આપ્યો છે. આ ભયાનક અગ્નિકાંડમાં ૨૧ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા, જ્યારે ૨૮ અન્ય નાગરિકો ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેઓ આજે પણ હોસ્પિટલોમાં સરકારી તંત્રની નાકામીના કારણે પીડાઈ રહ્યા છે.
ભ્રષ્ટાચારની આકરી કલમો
દિલ્હી પોલીસે લવકેશ બજાજ સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ ૧૦૫(ગેરચિરાદતન હત્યા), કલમ ૩૨૬(G) (આગ લગાડીને નુકસાન પહોંચાડવું), કલમ ૩૨૪(૫) (મિલકતને નુકસાન પહોંચાડનારી તોફાની પ્રવૃત્તિ), કલમ ૧૨૫ (બીજાના જીવન અને સુરક્ષાને જોખમમાં મૂકવી) અને કલમ ૨૮૭ (આગ પ્રત્યે બેદરકારીભર્યું વર્તન) હેઠળ ગુનો નોંધ્યો છે. ફાયર સેફ્ટીના નિયમોને નેવે મૂકીને, સરકારી અધિકારીઓને લાંચ આપીને આવી જોખમી હોટેલો ધમધમતી રાખવાની મંજૂરી કોણે આપી, તે સૌથી મોટો સવાલ છે. લવકેશ બજાજ જેવા કાળા કારોબારીઓ માત્ર એક મહોરું છે, અસલી ગુનેગારો તો એ બાબુઓ છે જેઓ લાલચમાં આવીને આવી લાયસન્સ મંજૂર કરે છે.
બદલાતી વ્યવસ્થાઓ અને જનતાનો આક્રોશ
આ અકસ્માત અને કૌભાંડે સાબિત કરી દીધું છે કે દેશની કાનૂની અને વહીવટી વ્યવસ્થા સામાન્ય જનતાના રક્ષણ માટે નહીં, પણ માત્ર અમીરો અને વગદારોના હિતો સાચવવા માટે કામ કરી રહી છે. હોટેલ માલિક માત્ર પૈસા ખાતર વિદેશીઓને પાસપોર્ટ અપાવતો રહ્યો અને સુરક્ષા નિયમો ભંગ કરીને ૨૧ પરિવારોના ચિરાગ ઓલવી નાખ્યા. પ્રજા હવે પૂછી રહી છે કે શું આ રિમાન્ડ અને ચાર્જશીટ માત્ર દેખાડો છે, કે પછી હોટેલને ગેરકાયદેસર મંજૂરી આપનારા ભ્રષ્ટ સરકારી અધિકારીઓ પર પણ ક્યારેય કાયદાનો કોરડો વાગસે?
આ પણ વાંચો:








