Dhrangadhra Solar Project Corruption: ગ્રીન એનર્જીના નામે ધ્રાંગધ્રાના રણ કાંઠે અબજોનું મહાકૌભાંડ!

Dhrangadhra Solar Project Corruption: ગુજરાતમાં સોલાર અને વિન્ડ એનર્જી લાવવાના બહાને સરકારે મૂડીપતિઓ માટે ભ્રષ્ટાચારના ખુલ્લા દ્વાર મૂકી દીધા છે. સામાન્ય નાગરિક નાના નિયમનો ભંગ કરે તો તંત્ર લાકડી લઈને દોડે છે, પરંતુ અબજો રૂપિયાનું ટર્નઓવર કરતી આ વીજ કંપનીઓ ખુલ્લેઆમ સરકારી જમીનો પચાવી પાડે અને પર્યાવરણના કાયદાના ધજાગરા ઉડાવે તો પણ તેમની સામે કોઈ પગલાં લેવાતા નથી. માત્ર જનતાનો આક્રોશ શાંત કરવા માટે વહીવટી તંત્ર કેટલાક નાના અધિકારીઓ કે નેતાઓ સામે પ્રતીકાત્મક કાર્યવાહી કરીને અસલી ગુનેગાર કંપનીઓને છાવરી રહ્યું છે. દ્વારકા જિલ્લામાં જ ૧૯ કંપનીઓ સામે ગંભીર ફરિયાદો છે, જ્યારે કચ્છમાં પણ ગ્રીન એનર્જીના નામે વિનાશ વેરાઈ રહ્યો છે. સમગ્ર ગુજરાતમાં અદાણીની ૩ મોટી વીજ લાઈનો સહિત અંદાજે ૫૦ જેટલી હાઈ-વોલ્ટેજ વીજ લાઈનો પસાર થવાની છે, જેમાં પોલીસ તંત્રનો દુરુપયોગ કરીને ગરીબ ખેડૂતોના અવાજને દબાવી દેવામાં આવી રહ્યો છે.

લાંચિયા બાબુઓની મિલીભગત

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધરા તાલુકામાં ચાલી રહેલા એક આવા જ મહાકૌભાંડનો પર્દાફાશ આરટીઆઈ એક્ટિવિસ્ટ અશ્વિનભાઈ પટેલ દ્વારા કરાયેલા ખુલાસાથી થયો છે, જેમાં ઓછામાં ઓછા એક ડઝન સરકારી બાબુઓ જેલના સળિયા પાછળ જાય તેમ છે. ગાંધીનગરના ઉદ્યોગ ભવનમાં બેસતા ઉર્જા વિભાગના ચીફ ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર અશ્વિનભાઈ ચૌધરી (એ.બી. ચૌધરી) તાજેતરમાં જ કરોડોની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયા છે, જેમની પાસેથી ૨.૮૪ કરોડ રૂપિયાની અપ્રમાણસર મિલકત, સોનું અને રોકડા મળી આવ્યા છે. આ ભ્રષ્ટ અધિકારીએ સ્થળ પર જઈને લાઈનનું કોઈ પણ જાતનું સાઈટ ઇન્સ્પેક્શન કર્યા વગર જ એસી કેબિનમાં બેસીને વીજ કંપનીઓને સેફ્ટી સર્ટિફિકેટ અને એનઓસી વહેંચી દીધા હતા. આ જ લાંચિયા બાબુએ ૧૯ એપ્રિલ ૨૦૨૫ ના રોજ ધ્રાંગધરાના માલવણ ગામમાં કાર્યરત હરિયાણાની એક ખાનગી કંપનીને તમામ નિયમો નેવે મૂકીને ગેરકાયદેસર મંજૂરી આપી દીધી હોવાના પાકા દસ્તાવેજી પુરાવા સામે આવ્યા છે.

હરિયાણાની કંપનીની દાદાગીરી

હરિયાણાના ગુરુગ્રામની આ ખાનગી કંપનીએ માલવણ ગામની સીમમાં ૨૦૦ મેગાવોટનો સોલાર પાવર પ્રોજેક્ટ ઊભો કર્યો છે, જેની વીજળી જેટકો (GETCO) ના ૨૨૦ કેવી ધ્રાંગધરા સબસેશનમાં ઠાલવવા માટે ૧૬.૮૭૫ કિલોમીટર લાંબી લાઈન નાખવામાં આવી છે. આ લાઈન નાખવામાં વીજળી કાયદો ૨૦૦૩ અને જીઆરસી (GERC) ના તમામ નિયમો હવામાં ઉડાડી દેવાયા છે. શરત મુજબ કંપનીએ ચીફ ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર પાસેથી એડવાન્સમાં રૂટ લેઆઉટ મંજૂર કરાવવાનો હતો, જે કરાયો જ નથી. કંપનીએ પોતાની મનમાની ચલાવીને બે જગ્યાએ ભારતીય રેલવેના ટ્રેક ક્રોસ કર્યા, બે જગ્યાએ નર્મદાની મુખ્ય કેનાલ ક્રોસ કરી અને નેશનલ હાઈવે પરથી પણ લાઈન પસાર કરી દીધી, પરંતુ આ ત્રણેય સરકારી સત્તાધારીઓ પાસેથી કોઈ જ લેખિત મંજૂરી મેળવવામાં આવી નથી. હદ તો ત્યાં થઈ કે કંપનીએ ગામના સરકારી તળાવનો પાળો તોડીને તેની વચ્ચે વીજળીનો મસમોટો થાંભલો ઊભો કરી દીધો, છતાં સ્થાનિક વહીવટી તંત્ર આંખ આડા કાન કરીને બેસી રહ્યું.

સરકારી જમીન પર ગેરકાયદે કબ્જો

નાના ખેડૂતે પોતાના ખેતરમાં કૂવાની લાઈન લેવી હોય તો સરકારી કચેરીઓના ચક્કર કાપીને પગના તળિયા ઘસાઈ જાય છે, પરંતુ આ મોટા મગરમચ્છો માટે આખો કાયદો બદલાઈ જાય છે. સ્થાનિક પ્રાંત અધિકારીના ૧૭ ફેબ્રુઆરી ૨૦૨૫ ના સત્તાવાર તપાસ અહેવાલમાં ભયાનક ખુલાસો થયો છે કે આ વીજ લાઈનના કુલ ૭૩ થાંભલાઓમાંથી ૪૮ થાંભલાઓ કોઈ પણ જાતની મંજૂરી વગર સીધા સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે ઊભા કરી દેવાયા છે. વહીવટી તંત્ર દ્વારા વારંવાર સત્તાવાર રૂટ મેપ માંગવા છતાં કંપનીએ આજ દિન સુધી કોઈ નકશો રજૂ કર્યો નથી, કારણ કે જો નકશો સામે આવે તો સરકારી જમીન હડપ કરવાનું આ આખું વ્યવસ્થિત નેટવર્ક ખુલ્લું પડી જાય તેમ છે.

ગુડખર અભ્યારણ્ય સાથે ક્રૂર મજાક

આ કૌભાંડ માત્ર આર્થિક નથી, પણ વન્યજીવોના નિકંદન કાઢતું પર્યાવરણીય પાપ પણ છે. અંદાજે ૧૨૦૦ હેક્ટર સરકારી જમીન પર ફેલાયેલા આ ૮૬૦ કરોડના પ્રોજેક્ટને વન વિભાગના ચોપડે માત્ર ૮૦ કરોડનો બતાવાયો હતો, જેથી સરકારને ચૂકવવાની થતી ૧% વન સંરક્ષણ ફીની કરોડો રૂપિયાની ચોરી કરી શકાય. વન વિભાગના ભ્રષ્ટ અધિકારીઓએ કંપનીને ફાયદો કરાવવા માટે લેખિત રિપોર્ટ આપ્યો કે આ વિસ્તારમાં કોઈ વન્યજીવો રહેતા નથી. જ્યારે વાસ્તવિકતા એ છે કે આ વિસ્તાર પ્રખ્યાત ગુડખર (જંગલી ગધેડા) અભ્યારણ્યમાં આવે છે. કંપનીએ જે ૧૨ સર્વે નંબરની જમીન પર સોલાર પ્લેટો અને દીવાલો ચણી લીધી છે, તે ગુડખરના અવરજવર માટેના કુદરતી પાણીના વહેણ (વેણ અને ઓકડો) છે. કંપનીએ દીવાલો બનાવીને કુદરતી પાણીનો પ્રવાહ રોકી દીધો છે, અને સોલાર પ્લાન્ટની અંદર ગુડખર મુક્તપણે ફરતા હોવાના લાઈવ વિડીયો અને ફોટોગ્રાફ્સ હોવા છતાં વન વિભાગે ગ્રીન ટ્રિબ્યુનલના નિયમો કચરાપેટીમાં નાખી દીધા છે.

સરકારી કાગળોની નકામી નોટિસો

તંત્રની લાચારી અને કંપનીની રાજકીય વગ એટલી મજબૂત છે કે સરકારી આદેશો માત્ર કાગળના વાઘ સાબિત થઈ રહ્યા છે. તત્કાલીન પ્રાંત અધિકારી હસદીપ આચાર્યે ૧૫ નવેમ્બર ૨૦૨૫ ના રોજ કંપનીને અંગ્રેજીમાં કડક નોટિસ ફટકારીને તમામ ગેરકાયદે બાંધકામોના પુરાવા માંગ્યા હતા, પરંતુ કંપનીએ તેને ગણકારી નહીં. પરિણામે ૭ માર્ચ ૨૦૨૬ ના રોજ આ ખેતરોની જમીનનો શરતભંગ કરવાનો હુકમ કરાયો હતો. ત્યારબાદ નવા આવેલા પ્રાંત અધિકારી સીતા મેડમે ૪ મે ૨૦૨૬ ના રોજ કંપનીને સ્પષ્ટ આદેશ કર્યો હતો કે આગામી ૧૫ દિવસમાં આ તમામ ગેરકાયદેસર સ્ટ્રક્ચરો અને થાંભલાઓ સ્થળ પરથી હટાવી લેવામાં આવે. આ મુદત પૂરી થયાને પણ મહિનાઓ વીતી ગયા હોવા છતાં કંપનીએ એક નટ-બોલ્ટ પણ હલાવ્યો નથી અને ઉચ્ચ કક્ષાએથી દબાણ લાવીને બાબુઓ પાસે સતત નવી મુદતો મેળવી રહી છે.

પર્યાવરણના ભોગે ૩૫૦૦ કરોડની મલાઈ

આ આખી ગોલમાલ પાછળનો અસલી ખેલ અબજો રૂપિયાની કમાણીનો છે. માલવણના આ ૨૦૦ મેગાવોટના પ્રોજેક્ટમાંથી વાર્ષિક અંદાજે ૪૫૫ મિલિયન યુનિટ વીજળી પેદા થવાની છે, જે ૨૫ વર્ષના કરાર મુજબ કુલ ૧૧ અબજ યુનિટ થાય છે. સરકાર આ કંપની પાસેથી પ્રતિ યુનિટ ૨.૪૦ થી ૩ રૂપિયાના ભાવે વીજળી ખરીદશે, જે ગણતરીએ કંપનીને વર્ષે ૧૨૦ થી ૧૩૦ કરોડ રૂપિયાની ચોખ્ખી આવક થશે. અંદાજે ૮૫૦ કરોડના ખર્ચે બનેલા આ પ્લાન્ટમાંથી કંપની ૨૫ વર્ષમાં ૩,૫૦૦ કરોડ રૂપિયાથી વધુની કમાણી કરવાની છે. આ જ કારણ છે કે દિલ્હી અને ગાંધીનગરમાં બેઠેલા મોટા રાજનેતાઓ અને આઇએએસ અધિકારીઓની મિલીભગતથી આ કંપનીને પર્યાવરણ અને કાયદાના ભોગે અબજો રૂપિયાની મલાઈ ખાવાની છૂટ આપવામાં આવી છે.

ભાજપ નેતા ગોવર્ધન ઝડફિયાનું કનેક્શન

આ સમગ્ર કૌભાંડના તાર ગુજરાત ભાજપના વરિષ્ઠ નેતા ગોવર્ધન ઝડફિયા સાથે પણ જોડાયેલા હોવાનું સામે આવ્યું છે. કંપનીએ સોલાર પ્રોજેક્ટ માટે સ્થાનિક ખેડૂતો પાસેથી ૨૫૦ જેટલા સર્વે નંબરની જમીનો વાર્ષિક ૧૪,૦૦૦ રૂપિયા પ્રતિ વીઘાના ભાડે રાખી હતી, જેમાં ગોવર્ધન ઝડફિયાના પણ ૨૦-૨૦ વીઘાના અંદાજે ૮૫ થી ૯૦ ખેતરો સામેલ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. કંપનીની શરત મુજબ આ જમીનો બિન-ખેતી (NA) કરીને આપવાની હતી, જેમાં શરતભંગ થતા વહીવટી તંત્રએ આ એનએ મંજૂરીઓ રદ્દ કરવાનો આદેશ આપવો પડ્યો છે. જે નેતા ભૂતકાળમાં ભ્રષ્ટાચાર સામે મોટી મોટી વાતો કરતા હતા, તેઓ પોતાની જ જમીન પર ચાલી રહેલા આ આંતરરાજ્ય કૌભાંડ અને ગુડખર અભ્યારણ્યના વિનાશ પર કેમ મૌન છે? જનતા હવે જાગી ગઈ છે અને ગ્રીન એનર્જીના નામે સરકારી તંત્ર અને મૂડીપતિઓ વચ્ચે ચાલતી આ સાઠગાંઠનો હિસાબ રસ્તા પર ઉતરીને લેશે તે નક્કી છે.

આ પણ વાંચો:’

Gujarat Political Spying: જનતાના કરોડો રૂપિયા નેતાઓની જાસૂસીમાં સ્વાહા! ગુજરાતમાં કેશુભાઈના સમયથી શરૂ થયેલી ‘સ્પાય ગેમ’ હવે AI સુધી પહોંચી – thegujaratreport.com

Dudhsagar Dairy SNF Price Scam: દૂધનાં ભાવ તો વધ્યા પણ ડેરીમાં પશુપાલકોનું શોષણ કેવું છે? – thegujaratreport.com

Gujarat Tribal Housing Promise Reality: ગરીબોની આવક બે ગણી થવાની હતી, ગરીબી વધી – thegujaratreport.com

Related Posts

GPSC Interview Pending: GPSCમાં 13,744 ઉમેદવારોના ઇન્ટરવ્યૂ બાકી! ભરતીમાં વિલંબથી સરકાર સામે ગંભીર સવાલ
  • August 14, 2026

GPSC Interview Pending: ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC)ની ભરતી પ્રક્રિયા ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવી છે. વિવિધ ભરતી પ્રક્રિયાઓમાં હજારો ઉમેદવારોના ઇન્ટરવ્યૂ લાંબા સમયથી બાકી હોવાનું સામે આવતાં ઉમેદવારોમાં ભારે…

Continue reading
India Gen Z Protest: શિક્ષણથી લઈને ભ્રષ્ટાચાર સુધી SAM PITRODA એ સરકારની નીતિઓ પર વ્યક્ત કરી ચિંતા
  • August 10, 2026

India Gen Z Protest: દેશમાં વિદ્યાર્થીઓના આંદોલન, શિક્ષણ વ્યવસ્થા, રોજગાર, લોકશાહી અને યુવાનોની ભૂમિકાને લઈને વરિષ્ઠ ટેક્નોલોજી નિષ્ણાત અને કોંગ્રેસ સાથે સંકળાયેલા નેતા SAM PITRODA એ એક વિસ્તૃત ચર્ચામાં પોતાના વિચારો…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Cancer in Mizoram: મિઝોરમમાં કેન્સરના વધતા કેસોનું ચિંતાજનક ચિત્ર, સ્વચ્છ હવા છતાં કેમ છે દેશનો સૌથી ઊંચો દર?

  • August 16, 2026
  • 3 views
Cancer in Mizoram: મિઝોરમમાં કેન્સરના વધતા કેસોનું ચિંતાજનક ચિત્ર, સ્વચ્છ હવા છતાં કેમ છે દેશનો સૌથી ઊંચો દર?

Bihar Liquor Ban: બિહારમાં દારૂબંધીના 10 વર્ષ, શું ‘ડ્રાય બિહાર’ ખરેખર સફળ રહ્યું?

  • August 16, 2026
  • 4 views
Bihar Liquor Ban: બિહારમાં દારૂબંધીના 10 વર્ષ, શું ‘ડ્રાય બિહાર’ ખરેખર સફળ રહ્યું?

Tamil Nadu Politics: તમિલનાડુમાં સૌથી વધુ મંદિરો છતાં ધાર્મિક રાજકારણ કેમ સૌથી ઓછું?

  • August 16, 2026
  • 5 views
Tamil Nadu Politics: તમિલનાડુમાં સૌથી વધુ મંદિરો છતાં ધાર્મિક રાજકારણ કેમ સૌથી ઓછું?

BCI Manan Kumar Mishra: NALASAR વિવાદમાં BCI અધ્યક્ષે માંગી માફી, વિદ્યાર્થીઓના વિરોધ બાદ મનન કુમાર મિશ્રા બેકફૂટ પર

  • August 16, 2026
  • 5 views
BCI Manan Kumar Mishra: NALASAR વિવાદમાં BCI અધ્યક્ષે માંગી માફી, વિદ્યાર્થીઓના વિરોધ બાદ મનન કુમાર મિશ્રા બેકફૂટ પર

Rahul Gandhi Savarkar Case: સાવરકર કેસમાં રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટની મોટી રાહત, UP સરકારની મોટી કાનૂની ખામી સામે આવી

  • August 16, 2026
  • 6 views
Rahul Gandhi Savarkar Case: સાવરકર કેસમાં રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટની મોટી રાહત, UP સરકારની મોટી કાનૂની ખામી સામે આવી

PM Modi Dimagi Naxal: ‘દિમાગી નક્સલ’ શબ્દ પર રાજકીય ઘમાસાણ, વિપક્ષનો આરોપ- અસંમતિને દબાવવા સરકાર નવા લેબલનો ઉપયોગ કરે છે

  • August 16, 2026
  • 9 views
PM Modi Dimagi Naxal: ‘દિમાગી નક્સલ’ શબ્દ પર રાજકીય ઘમાસાણ, વિપક્ષનો આરોપ- અસંમતિને દબાવવા સરકાર નવા લેબલનો ઉપયોગ કરે છે