
Assam UCC: અસામ વિધાનસભામાં તાજેતરમાં પસાર કરાયેલો ‘યુનિફોર્મ સિવિલ કોડ’ (UCC) ૨૦૨૬ કાયદો વાસ્તવમાં સમાનતા લાવવા માટે નહીં, પરંતુ રાજકીય રોટલા શેકવા માટે લવાયો હોય તેમ દેખાઈ રહ્યો છે. શાસક પક્ષ દ્વારા આ આખા વિવાદિત કાયદાને બહુ મોટા સામાજિક સુધારા તરીકે રજૂ કરવામાં આવી રહ્યો છે, પરંતુ કાનૂની દ્રષ્ટિએ જોતાં આ વિધેયક અસંખ્ય આંતરિક વિરોધાભાસો અને ગંભીર બંધારણીય ખામીઓથી ભરેલું છે. સરકારના જાહેર કરાયેલા ઉદ્દેશ્યો કાગળ પર જેટલા પ્રગતિશીલ દેખાય છે, જમીની હકીકત અને કાયદાકીય માળખું તેનાથી તદ્દન ઉલટું છે. આ વ્યાપક અસરવાળા કાયદાનો ઝીણવટભર્યો અભ્યાસ સાબિત કરે છે કે તે અદાલતોની કાનૂની કસોટીમાં લાંબો સમય ટકી શકે તેમ નથી અને સરકારે માત્ર જનતાને ગેરમાર્ગે દોરવા માટે જ આ અધૂરો કાયદો થોપ્યો છે.
બંધારણીય ટકરાવ
દિલ્હી અને રાજ્યના શાસકોએ આ કાયદાનો મુખ્ય આધાર બંધારણના આર્ટિકલ ૪૪ ને બનાવ્યો છે, જે રાજ્યને સમાન નાગરિક સંહિતા લાગુ કરવાની દિશામાં કામ કરવાનો નિર્દેશ આપે છે. પરંતુ, સરકાર એ સત્ય છુપાવી રહી છે કે આર્ટિકલ ૪૪ એ રાજ્યની નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો (DPSP) નો ભાગ છે, જેને કોઈ પણ અદાલત ફરજિયાતપણે લાગુ કરાવી શકતી નથી. સૌથી મોટી કાનૂની જટિલતા એ છે કે બંધારણની સમવર્તી સૂચિ (Concurrent List) ની એન્ટ્રી ૫ હેઠળ આ વિષય આવે છે, જેમાં કેન્દ્રના ‘હિન્દુ મેરેજ એક્ટ ૧૯૫૫’, ‘ઇન્ડિયન સક્સેશન એક્ટ ૧૯૨૫’ અને ‘મુસ્લિમ પર્સનલ લો એક્ટ ૧૯૩૭’ પહેલેથી અમલમાં છે. બંધારણના આર્ટિકલ ૨૫૪ મુજબ જો રાજ્યનો કાયદો કેન્દ્રીય કાયદા સાથે ટકરાય, તો તે આપોઆપ પ્રભાવહીન બની જાય છે. રાષ્ટ્રપતિની વિશેષ મંજૂરી વિના આ કાયદાના રોજબરોજના અમલીકરણ પર જ મોટા સવાલો ઊભા થઈ ગયા છે.
ખાનગી જિંદગી પર તરાપ
આ કાયદાની સૌથી વધુ વિવાદાસ્પદ અને સરમુખત્યારશાહી જોગવાઈ લિવ-ઇન રિલેશનશિપનું ફરજિયાત રજીસ્ટ્રેશન (Live-In Registration) કરવાની છે, જે નાગરિકોની અંગત આઝાદી પર સીધો સરકારી પ્રહાર છે. વર્ષ ૨૦૧૭ ના ‘જસ્ટિસ કે.એસ. પુટ્ટાસ્વામી વિરૂદ્ધ યુનિયન ઓફ ઇન્ડિયા’ કેસમાં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે પ્રાઈવસી (Privacy) એ આર્ટિકલ ૨૧ હેઠળ મૂળભૂત અધિકાર છે. બે પુખ્ત વયના લોકો પરસ્પર સંમતિથી કેવી રીતે રહે તે તેમનો ખાનગી મામલો છે, પરંતુ સત્તાના નશામાં ચૂર સરકાર હવે લોકોના બેડરૂમ સુધી નજર રાખવા માંગે છે. ‘એસ. ખુશ્બૂ’ (૨૦૧૦) કેસમાં પણ કોર્ટે આ સ્વતંત્રતાનું રક્ષણ કર્યું હતું. આ જોગવાઈ નાગરિકોને લાયસન્સ પ્રણાલી હેઠળ જીવવા માટે મજબૂર કરે છે, જેને અદાલતો ક્યારેય સ્વીકારશે નહીં.
“તમામ નાગરિકો માટે એક કાયદો” નો જોરશોરથી પ્રચાર કરનારી સરકારનો દંભ ત્યારે ખુલ્લો પડી જાય છે જ્યારે તેઓ અસમના શિડ્યુલ્ડ ટ્રાઈબ (ST) સમુદાયને આ કાયદામાંથી સંપૂર્ણપણે બાકાત રાખી દે છે. બંધારણના આર્ટિકલ ૩૪૨ અને ૫મી તથા ૬ઠ્ઠી અનુસૂચિ હેઠળ આદિવાસી પરંપરાઓને સુરક્ષા આપવી કાનૂની રીતે સાચી હોઈ શકે, પરંતુ જ્યારે રાજ્યની દર આઠમી વ્યક્તિ પર આ કાયદો લાગુ જ નથી થતો, ત્યારે ‘યુનિફોર્મ’ શબ્દ જ મજાક બની જાય છે. આ વર્ગીકરણ આર્ટિકલ ૧૪ (સમાનતાનો અધિકાર) નું સીધું ઉલ્લંઘન છે. જો આ કાયદાનો અસલી હેતુ જેન્ડર જસ્ટિસ (મહિલા ન્યાય) હોય, તો આદિવાસી મહિલાઓને આ કાનૂની સુરક્ષાથી વંચિત કેમ રાખવામાં આવી? આ બાબત સાબિત કરે છે કે સરકાર માત્ર પોતાના વોટબેંકના રાજકીય સ્વાર્થ ખાતર નિર્ણયો લઈ રહી છે.
બહુપત્નીત્વ પર પ્રતિબંધ
આ વિધેયકમાં બહુપત્નીત્વ (Polygamy) પર પ્રતિબંધ અને ‘ભારતીય ન્યાય સંહિતા’ (BNS) હેઠળ સજાની જે જોગવાઈ કરવામાં આવી છે, તે માત્ર અગાઉથી સ્થાપિત અદાલતી સિદ્ધાંતોનું અનુકરણ છે. ‘સરલા મુદગલ’ (૧૯૯૫) અને ‘લીલી થોમસ’ (૨૦૦૦) કેસમાં સુપ્રીમ કોર્ટે પહેલેથી જ સ્પષ્ટ કરી દીધું છે કે લગ્ન અને ગુનાહિત બાબતોમાં ધાર્મિક પર્સનલ લો કોઈને કાનૂની કાર્યવાહીમાંથી મુક્તિ આપી શકતા નથી. આ કાયદાનો આ એકમાત્ર ભાગ એવો છે જે બંધારણીય પડકારો સામે ટકી શકે તેમ છે, કારણ કે તે ન્યાયિક રીતે પહેલેથી જ સ્વીકૃત છે. પરંતુ સરકારે આ જોગવાઈનો ઉપયોગ પણ ચોક્કસ સમુદાયોને નિશાન બનાવવા અને પોતાનો રાજકીય એજન્ડા સંતોષવા માટે જ કર્યો છે.
ધાર્મિક સ્વતંત્રતાનો ભંગ
આ કાયદાને કારણે આર્ટિકલ ૨૫ હેઠળ મળતી ધાર્મિક સ્વતંત્રતાના અધિકાર પર તરાપ વાગ્યાના આક્ષેપો સાથે અદાલતોમાં પડકારો આવવા નિશ્ચિત છે. ભારતીય ન્યાયશાસ્ત્ર હંમેશા આવશ્યક ધાર્મિક પ્રથાઓ અને નાગરિક અસરો (જેમ કે લગ્ન નોંધણી અને ઉત્તરાધિકાર) વચ્ચે સ્પષ્ટ તફાવત કરતું આવ્યું છે. અદાલતો સામાન્ય રીતે સિવિલ બાબતોને ધર્મનો અનિવાર્ય ભાગ નથી માનતી, છતાં સરકારે સ્થાનિક ધાર્મિક લાગણીઓ અને વિવિધ સમુદાયોની પરંપરાઓને ધ્યાનમાં લીધા વિના આ કાયદો એકતરફી રીતે થોપી દીધો છે. આ કાયદો કોઈ સામાજિક સુધારાનો અંત નથી, પરંતુ લઘુમતીઓ અને નાગરિકોના અધિકારોને કચડવાની નવી સરકારી નીતિની શરૂઆત છે.
અધૂરો અને ખામીયુક્ત કાયદો
અસામ સરકારનું આ યુસીસી મોડેલ કોઈ નક્કર અને દૂરોગામી કાનૂની દસ્તાવેજ નથી, પણ ઉતાવળે તૈયાર કરાયેલું એક રાજકીય હથિયાર છે. લિવ-ઇન સંબંધો પર જબરદસ્તીપૂર્ણ દેખરેખ, આદિવાસી વસ્તીને બાકાત રાખવાનો બેવડો માપદંડ અને કેન્દ્રીય કાયદાઓ સાથે આર્ટિકલ ૨૫૪ નો સીધો ટકરાવ એ દર્શાવે છે કે આ કાયદો સંપૂર્ણપણે અધૂરો અને કાયદાકીય છિદ્રોથી ભરેલો છે. જ્યારે આ કાયદો હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચ સમક્ષ પહોંચશે, ત્યારે ન્યાયતંત્ર પાસે શાસકોની આ હઠધર્મી અને કાનૂની ખામીઓ પર પ્રહાર કરવા માટે પુષ્કળ કાનૂની આધારો હશે. જનતાને મૂર્ખ બનાવવાનો આ સરકારી ખેલ અદાલતના પગથિયે જઈને જ અટકશે.
આ પણ વાંચો:










