
E85 Ethanol Policy: કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરી દ્વારા તાજેતરમાં લોન્ચ કરવામાં આવેલું E85 બળતણ સરકારની નવી મહત્વાકાંક્ષા છે. હાલમાં દેશના ૪૮ પેટ્રોલ પંપો પર ઉપલબ્ધ આ બળતણ, જેમાં ૮૫% એથેનોલ અને ૧૫% પેટ્રોલનું મિશ્રણ છે, તેને પેટ્રોલના ‘સસ્તા અને સ્વચ્છ’ વિકલ્પ તરીકે રજૂ કરવામાં આવ્યું છે. સરકારનો પ્લાન ડિસેમ્બર ૨૦૨૭ સુધીમાં ૫,૦૦૦ આઉટલેટ્સ સુધી પહોંચવાનો છે. પરંતુ શું આ માત્ર આંકડાઓનો ખેલ છે? વાસ્તવમાં, આ મિશન સામે ‘પહેલા મરઘી કે પહેલા ઈંડું’ જેવી સ્થિતિ છે. સામાન્ય ગ્રાહક પાસે હજુ ફ્લેક્સ-ફ્યુઅલ વાહનો જ નથી, અને વાહન કંપનીઓ માંગ વગર રોકાણ કરવા તૈયાર નથી. સરકાર વિદેશી મુદ્રા બચાવવાની વાતો કરે છે, પણ જમીની સ્તરે ગ્રાહકો માટે આ મંજિલ હજુ ઘણી દૂર છે.
મોંઘા વાહનો અને ટેકનિકલ મુશ્કેલીઓ: ગ્રાહકોના ખિસ્સા પર બોજ
સરકાર ભલે E85 ને ૨૦ રૂપિયા સસ્તું ગણાવતી હોય, પરંતુ હકીકત એ છે કે એથેનોલમાં પેટ્રોલ કરતા ૩૦% ઓછી ઊર્જા હોય છે. આનો સીધો અર્થ એ છે કે વાહનની માઈલેજ ઘટી જશે, પરિણામે પંપ પર થયેલી બચત રસ્તામાં જ ધોવાઈ જશે. વધુમાં, એથેનોલ અત્યંત કોરોસિવ (ક્ષારયુક્ત) હોવાથી સામાન્ય વાહનોના એન્જિનને અંદરથી ખાઈ જાય છે. આ માટે ખાસ ફ્યુઅલ સિસ્ટમ અને સેન્સર્સ જોઈએ, જેના કારણે ફ્લેક્સ-ફ્યુઅલ વાહનો (FFV) સામાન્ય પેટ્રોલ વાહનો કરતા ઘણા મોંઘા છે. એક તરફ મોંઘું વાહન ખરીદો અને બીજી તરફ ઓછી માઈલેજ મેળવો—આ ગણિત સામાન્ય માણસના ગળે ઉતારવું મુશ્કેલ છે. મારુતિ કે ટોયોટા જેવી મોટી કંપનીઓ હજુ પણ આ ટેકનોલોજીને માર્કેટમાં ઉતારતા ડરે છે, તો સામાન્ય માણસ શા માટે જોખમ લે?
ખાવા-પીવાની વસ્તુઓ પર તરાપ: બ્રાઝિલ મોડલની આંધળી નકલ
સરકાર વારંવાર બ્રાઝિલના એથેનોલ મોડલનો હવાલો આપે છે, પણ શું ભારત બ્રાઝિલ જેવું છે? બ્રાઝિલ પાસે વિશાળ જમીન અને પાણી છે. ભારત એક પાણીની અછત ધરાવતો દેશ છે, જ્યાં શેરડી, મકાઈ અને ચોખા જેવા અનાજમાંથી એથેનોલ બનાવવામાં આવે છે. નિષ્ણાતો ચેતવણી આપે છે કે જો આપણે ખોરાક માટેના પાકોનો ઉપયોગ બળતણ બનાવવા કરીશું, તો સામાન્ય માણસની થાળી મોંઘી થઈ જશે. દુષ્કાળ કે નબળા ચોમાસાના સમયે, જ્યારે અનાજની અછત સર્જાય, ત્યારે શું આપણે પેટ ભરશું કે એન્જિનમાં એથેનોલ પૂરશું? આ ‘ઇન્ડિયા-સ્પેસિફિક’ પ્લાન વગરની નીતિ માત્ર ઉદ્યોગપતિઓના નફા માટે છે કે ખરેખર પ્રજાના હિતમાં, તે મોટો સવાલ છે.
ઇકોસિસ્ટમનો અભાવ: ‘પાયલોટ પ્રોજેક્ટ’ બનીને રહી જશે E85?
હાલમાં E85 વાહનોના નામે માત્ર બે-ત્રણ ટુ-વ્હીલર બજારમાં છે, જે આખા દેશની જરૂરિયાત પૂરી કરવા માટે પૂરતા નથી. નિષ્ણાતોનું માનવું છે કે જ્યાં સુધી પૂરતા પંપ અને પૂરતા વાહનો એકસાથે ઉપલબ્ધ ન થાય, ત્યાં સુધી આ પ્રોજેક્ટ એક મર્યાદિત પાયલોટ પ્રોજેક્ટ બનીને રહી જશે. ગ્રાહકોને તો બસ વાજબી કિંમત અને સારી માઈલેજ જોઈએ છે, જેમાં સરકાર અત્યારે નિષ્ફળ જતી દેખાય છે. જો સરકાર ખરેખર ઈચ્છતી હોય કે લોકો આ અપનાવે, તો તેમણે FFV પર ટેક્સમાં ધરખમ ઘટાડો કરવો પડે અને એથેનોલની કિંમતોમાં પારદર્શિતા લાવવી પડે. અત્યારે તો એવું લાગે છે કે બધું ઉપરથી નક્કી થાય છે, પણ નીચે બેઠેલા ગ્રાહકના હિતનો વિચાર કરવામાં કોઈ રસ નથી.
શું આ માત્ર કાગળ પરનો વિકાસ છે?
અંતે તો ઈમાનદારીથી વિચારવા જેવું છે કે આટલું બધું આયોજન કોના માટે છે? પર્યાવરણને બચાવવું એ તો બહાનું છે, અસલી મકસદ શું વિદેશી ક્રૂડ ઓઈલની આયાત ઓછી કરીને પોતાના ચહેતા ઉદ્યોગપતિઓને ફાયદો કરાવી આપવાનો નથી? ઈલેક્ટ્રિક વાહનોની વાતો કરનારી સરકાર હવે એથેનોલ પર આવી ગઈ છે. આ વારંવારની નીતિઓમાં ફેરફાર અને ગ્રાહકો પર આવી પડતી વધારાની આર્થિક જવાબદારીઓ એ સાબિત કરે છે કે સરકાર પાસે કોઈ સ્પષ્ટ રોડમેપ નથી. જ્યારે પણ દેશમાં કોઈ મોટું આર્થિક સંકટ આવે છે, ત્યારે સામાન્ય માણસના માથે જ આ બધું ઓઢાડવામાં આવે છે. E85 એ માત્ર એક નવો પ્રયોગ છે, જેની સફળતા તેના અમલીકરણમાં નહીં, પણ સામાન્ય માણસની થાળી અને ખિસ્સા પર કેટલી અસર કરશે તેના પર નિર્ભર છે.
આ પણ વાંચો:
Gujarat Farmer Protest: ગુજરાતના ખેડૂતોને ફૂટી કોડી અદાણીએ નથી આપી – thegujaratreport.com








