
Gujarat Farmer Protest: ગુજરાતમાં અત્યારે એક મોટો આર્થિક ખેલ ખેલાઈ રહ્યો છે, જેમાં ખેડૂતોની ફળદ્રુપ જમીન વીજ કંપનીઓ માટે ‘મફતનું મેદાન’ બની ગઈ છે. અદાણી એનર્જી સોલ્યુશન લિમિટેડ દ્વારા કચ્છના ખાવડામાં જે વિશાળ રિન્યુએબલ એનર્જી પાર્ક ઊભો કરવામાં આવ્યો છે, તે માત્ર એક શરૂઆત છે. ૩૦ ગીગાવોટ એટલે કે ૩૦,૦૦૦ મેગાવોટ વીજળી ઉત્પાદનનું લક્ષ્ય રાખતી આ પરિયોજના માત્ર ગુજરાત જ નહીં, પરંતુ સમગ્ર દેશની ગ્રીડને વીજળી સપ્લાય કરશે. જોકે, આ પ્રોજેક્ટના નામે હજારો ખેડૂતોની જમીન પર વીજલાઈનોનું એક એવું વિશાળ ઝાડું બિછાવવામાં આવી રહ્યું છે, જે ખેડૂતોને કાયમ માટે બરબાદ કરી શકે તેમ છે. સરકાર જે રીતે આ કંપનીઓને પ્રોત્સાહન આપી રહી છે, તેનાથી એ સ્પષ્ટ થાય છે કે અહીં વિકાસના નામે માત્ર કોર્પોરેટ નફાની જ ચિંતા છે.
લાખો કરોડની કમાણી અને ખેડૂતોને એક રૂપિયો પણ નહીં!
આ વીજ પરિયોજનાનું ગણિત ખૂબ મોટું છે. જો ૩૦ ગીગાવોટની ક્ષમતાથી ૧૦૦ ટકા ઉત્પાદન થાય, તો વર્ષે ૨૬૨ અબજ યુનિટ વીજળી પેદા થઈ શકે છે. જો એક યુનિટના સરેરાશ ૪ થી ૫ રૂપિયા ગણીએ, તો અદાણી જેવા ઉદ્યોગપતિઓને દર વર્ષે ૧ લાખથી ૧.૩૧ લાખ કરોડ રૂપિયા સુધીની આવક થઈ શકે છે. ૨૫ વર્ષના આયુષ્યકાળમાં આ આંકડો લાખો કરોડને આંબી જાય છે. આશ્ચર્યની વાત એ છે કે આટલા મોટા રોકાણ અને નફા છતાં, જે ખેડૂતોના ખેતરમાંથી આ વીજલાઈનો જાય છે, તેમને કોઈ યોગ્ય વળતર આપવામાં આવતું નથી. આ જમીન પણ ઘણી જગ્યાએ મફતના ભાવે કે બહુ નજીવા દરે આપી દેવામાં આવી છે. અમદાવાદ શહેર જેટલી ૫૦૦ ચોરસ કિલોમીટરની જમીન એક જ પ્રોજેક્ટ માટે ફાળવી દેવી, તે જ સૂચવે છે કે સરકારની પ્રાથમિકતા શું છે.
ખેડૂતોનો આક્રોશ અને પોલીસ દમન: તાનાશાહીની પરાકાષ્ઠા
મોરબી, જેતપર અને હળવદ જેવા વિસ્તારોમાં ખેડૂતોનો વિરોધ હવે જબરદસ્ત સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. પોલીસ તંત્રને આગળ કરીને ખેડૂતોના ખેતરમાં કામ ચાલુ કરી દેવું અને વિરોધ કરનાર ખેડૂતોને ડિટેન કરવા, આ કોઈ લોકશાહી સરકારના લક્ષણો નથી. જેતપર જેવા નાના ગામોમાં જ્યારે ૧૫૦ ખેડૂતો પણ એક થાય છે, ત્યારે સરકારના પગ નીચેથી જમીન સરકી જાય છે. અહીં નોંધપાત્ર છે કે મોરબીના ધારાસભ્ય અને મંત્રી કાંતિ અમૃતિયાના પોતાના જ ગામમાં ખેડૂતો પર લાઠીચાર્જ થાય છે. જેતપરના ખેડૂતો જ્યારે ટ્રેક્ટર રેલી લઈને કલેક્ટર કચેરી પહોંચ્યા, ત્યારે ત્યાંની મહિલાઓ પોલીસ દમનનો ભોગ બનીને બેભાન થઈ ગઈ હતી. આ દ્રશ્યો સાબિત કરે છે કે પોલીસ અને સરકાર માત્ર કંપનીના હિતોનું રક્ષણ કરવા માટે જ કામ કરી રહ્યા છે.
વીજલાઈન એટલે ખેતીનો અંત અને જમીનનું ધોવાણ
જ્યારે ખેતરની ઉપરથી ૭૬૫ કેવી (KV) જેવી હેવી વીજલાઈન પસાર થાય, ત્યારે ખેડૂતોની સ્થિતિ કફોડી થઈ જાય છે. એક ટાવર નાખવા માટે લગભગ ૪૦૦ થી ૯૦૦ ચોરસમીટર જમીન જાય છે, પરંતુ તેના કારણે આખું ખેતર ખેતીલાયક રહેતું નથી. વીજલાઈનની નીચે ‘રાઈટ ઓફ વે’ (Right of Way) ના નામે એક મોટો કોરિડોર નક્કી કરવામાં આવે છે, જેમાં ખેડૂત બાંધકામ કરી શકતો નથી કે ઊંચા પાક લઈ શકતો નથી. આનાથી જમીનના ભાવ તો ઘટે જ છે, સાથે ઉત્પાદન પણ શૂન્ય થઈ જાય છે. રાજ્યના ૧૦૦ થી ૧૦૬ ગામોમાં આ કોરિડોર પસાર થવાનો છે, જે હજારો હેક્ટર જમીનને માત્ર કાગળ પર રહેવા દેશે, પણ વાસ્તવિકતામાં તે વેરાન થઈ જશે.
શું કલેક્ટરનું વળતર અને કાયદાનું પાલન માત્ર કાગળ પર છે?
કલેક્ટર તંત્ર વારંવાર ટેલિગ્રાફ એક્ટની કલમ ૧૬નો હવાલો આપીને ખેડૂતોને કોર્ટમાં જવાની સલાહ આપે છે. પરંતુ એક સામાન્ય ખેડૂત માટે આટલી મોટી કંપનીઓ સામે કાયદાકીય લડાઈ લડવી કેટલી અઘરી છે, તે કોઈ છૂપું નથી. વળતરના નામે જે સરકારી પરિપત્રો છે, તે માત્ર એક ઔપચારિકતા છે. ખેડૂતો તો એ જ માગી રહ્યા છે કે પહેલા તેમને યોગ્ય વળતર મળે, તેમની જમીનની કિંમત મળે અને પછી જ કામ શરૂ થાય. પણ કંપનીઓ અને સરકાર તો ઉતાવળમાં છે. ધરપકડ થયેલા ખેડૂતોનું જે રીતે ગામ લોકો ફૂલોથી સ્વાગત કરે છે, તે સૂચવે છે કે સરકાર અને પ્રજા વચ્ચેની ખાઈ કેટલી ઊંડી થઈ ગઈ છે.
૧૫મીની રેલી અને ગાંધીનગર તરફ કૂચ
હવે આ આંદોલન માત્ર મોરબી કે કચ્છ પૂરતું સીમિત નથી રહ્યું. ૧૫મી તારીખે યોજાનારી રાજ્યવ્યાપી ટ્રેક્ટર રેલીએ સરકારની ઊંઘ ઉડાડી દીધી છે. ૨૦૦૦થી વધુ ટ્રેક્ટરો સાથે ખેડૂતો ગાંધીનગર પહોંચવાની તૈયારી કરી રહ્યા છે. સરકાર ભલે ગમે તેટલા પોલીસ બંદોબસ્ત ગોઠવે કે રસ્તા અટકાવે, પણ આ ખેડૂતો હવે આર-પારની લડાઈના મૂડમાં છે. આજે ખેડૂતોના અવાજને જે રીતે દબાવવામાં આવી રહ્યો છે, તેનાથી સાબિત થાય છે કે આ સરકાર ખેડૂત વિરોધી હોવાના તમામ રેકોર્ડ તોડી રહી છે. ગાંધીનગરમાં ડીજીપી સાથેની મીટિંગ અને આગામી રણનીતિ એ વાતની સાક્ષી છે કે ગુજરાતનો ખેડૂત હવે જાગી ગયો છે અને સત્તાની તાનાશાહીને ટક્કર આપવા માટે તૈયાર છે.
આ પણ વાંચો:









