
Gujarat Fake Blood Plasma Racket: ગુજરાતમાંથી એક અત્યંત ચોંકાવનારી અને માનવતાને લાંછન લગાડે તેવી ઘટના સામે આવી છે, જ્યાં કૅન્સર અને હીમોફીલિયા જેવા જીવલેણ રોગોની સારવાર માટે વપરાતા ‘પીળા બ્લડ પ્લાઝ્મા’માં ભેળસેળ કરીને કરોડો રૂપિયા કમાવવાનું એક ભયાનક કૌભાંડ ચાલી રહ્યું હતું. અમદાવાદ સ્પેશિયલ ઑપરેશન ગ્રૂપ (SOG) દ્વારા કરવામાં આવેલા પર્દાફાશ બાદ આખું તંત્ર હલી ગયું છે. એક લૅબ ટેક્નિશિયન, એક સેલ્સમૅન અને બે ડ્રાઇવરોની બનેલી આ ટોળકીએ આખા રાજ્ય અને મહારાષ્ટ્ર સુધી પોતાના મૂળ ફેલાવ્યા હતા. કલ્પના કરો કે જે પ્લાઝ્મા દર્દીઓને નવું જીવન આપવા માટે વપરાવાનું હતું, તે જ પ્લાઝ્મામાં આરામથી સલાઇન ભેળવીને તેને અસલીના ભાવે વેચીને આ લોકો પોતાની તિજોરી ભરી રહ્યા હતા. આ કોઈ સામાન્ય ગુનો નથી, પણ જીવતા માણસોના જીવ સાથેનો ક્રૂર ખેલ છે.
આ આખા કૌભાંડનો મુખ્ય સૂત્રધાર દિનેશ ચૌધરી નામનો એક સેલ્સમૅન હતો, જે મૂળ બનાસકાંઠાનો રહેવાસી છે. દિનેશને ફાર્માસ્યુટિકલ કંપનીઓ અને બ્લડ બૅન્કો સાથે સારા સંપર્ક હોવાનો ગેરફાયદો ઉઠાવ્યો. તેણે બ્લડ બૅન્કમાંથી પ્લાઝ્મા લઈ જતા બે ડ્રાઇવરો, રફીક સાલમ અને જીતેન્દ્ર સોલંકીને પોતાની જાળમાં ફસાવ્યા. જ્યારે પણ આ ડ્રાઇવરો બ્લડ પ્લાઝ્માની ડિલિવરી કરવા નીકળતા, ત્યારે તેઓ અગાઉથી જ દિનેશને જાણ કરી દેતા. દિનેશ અમદાવાદના ચાંગોદર વિસ્તારમાં ભાડે રાખેલા મકાનમાં બેસીને અસલી પ્લાઝ્માની બોટલોમાંથી ઓરિજિનલ પ્લાઝ્મા કાઢી લેતો અને તેની જગ્યાએ સિરિન્જની મદદથી સલાઇન (મીઠાનું પાણી) ભરી દેતો. આ રીતે પ્લાઝ્માનો પીળો રંગ જળવાઈ રહેતો અને કોઈને શંકા પણ ન જતી.
નફો જોઈને માણસાઈ ભૂલ્યા
આ કૌભાંડની પાછળ રહેલો આર્થિક લોભ એટલો ભયાનક હતો કે માનવતા શબ્દ જ મરી પરવાર્યો હોય તેમ લાગે છે. જે પ્લાઝ્મા બનાવવાનો ખર્ચ માત્ર ૪૦થી ૫૦ રૂપિયા આવતો હતો, તે નકલી પ્લાઝ્મા આ ટોળકી બજારમાં ૧૫૦૦ રૂપિયામાં વેચતી હતી, જ્યારે અસલી પ્લાઝ્માની કિંમત ૩ થી ૫ હજાર રૂપિયા સુધી હોય છે. આ ટોળકીના તાર મહારાષ્ટ્રના માલેગાંવ પાસેના દુધાળા ગામના રહેવાસી અને વસીમ બ્લડ બૅન્ક ચલાવનાર મોહન ગાયકવાડ સાથે જોડાયેલા હતા. મોહન પોતે લૅબ ટેક્નિશિયન હોવાથી તેને ખબર હતી કે આ નકલી પ્લાઝ્માને કેવી રીતે માર્કેટમાં ઘુસાડવા. આ લોકો એટલા બેફામ થઈ ગયા હતા કે તેઓ કૅન્સરની દવા બનાવતી કંપનીઓ, હીમોફીલિયાની દવાઓ અને ગંભીર રીતે દાઝી ગયેલા દર્દીઓની સારવારમાં વપરાતી દવાઓ બનાવવા માટે આ નકલી પ્લાઝ્મા સપ્લાય કરતા હતા.
પોલીસની ટેક્નિકલ ટીમે કેવી રીતે બિછાવી જાળ?
આ કેસની તપાસ શરૂ કરતી વખતે પોલીસ પાસે કોઈ નક્કર પુરાવા નહોતા અને આખો કેસ ‘બ્લાઇન્ડ’ હતો. પરંતુ અમદાવાદ ગ્રામ્યના એસપી ઓમપ્રકાશ જાટ અને તેમની ૧૫ અધિકારીઓની ટીમે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેક્નિકલ ઍનાલિસિસનો ઉપયોગ કરીને આ ભેદ ઉકેલ્યો હતો. પોલીસને બાતમી મળી હતી કે અડધા ભાવે પ્લાઝ્મા વેચાઈ રહ્યું છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ડ્રાઇવરો ડિલિવરીના આગલા દિવસે દિનેશ ચૌધરીને ફોન કરતા હતા. પોલીસ એક મહિનાથી વધુ સમયથી તેમના મોબાઈલ લોકેશન અને મૂવમેન્ટ પર નજર રાખી રહી હતી. જેવી પોલીસને ખાતરી થઈ કે ચાંગોદરના આ મકાનમાં ભેળસેળ ચાલે છે, તરત જ દરોડો પાડ્યો હતો. રેડ દરમિયાન પોલીસને સ્થળ પરથી ૧૧૪૦ બોટલ, પ્લાસ્ટિક સીઝ કરવાનું મશીન અને ડીપફ્રીઝર મળી આવ્યા હતા.
તંત્ર અને સમાજ માટે લાલબત્તી
આ ઘટનાએ એ સાબિત કર્યું છે કે લોભના કારણે માણસ કેટલા નીચે પડી શકે છે. બનાસકાંઠાના દિનેશ ચૌધરીના સગા પણ ચોંકી ગયા છે, કારણ કે દિનેશ છેલ્લા છ મહિનાથી મોંઘા કપડાં પહેરતો અને પૈસા ઉડાવતો હતો. તેને જોઈને લોકોને લાગતું હતું કે તેણે કોઈ મોટો ધંધો શરૂ કર્યો છે, પણ કોને ખબર હતી કે આ ધંધો માનવતાના લોહી પર ઉભો છે! તેવી જ રીતે, ધોળકાના ડ્રાઇવરોએ પણ નવી ઇલેક્ટ્રોનિક વસ્તુઓ વસાવી હતી અને ગામમાં કહેતા કે તેમને મહારાષ્ટ્રની ટ્રિપમાં વધુ પૈસા મળે છે. આ કિસ્સો એ દર્શાવે છે કે જ્યારે કાયદો અને વ્યવસ્થાનું ચુસ્ત પાલન ન થાય, ત્યારે સામાન્ય માણસના લાચાર જીવન સાથે રમત રમનારાઓ સક્રિય થઈ જાય છે.
ડોક્ટરોની ચિંતા: જિંદગી સામે જોખમ!
ઓલ ઇન્ડિયા મેડિકલ એસોસિએશનના ગુજરાત એકમના વાઇસ પ્રેસિડેન્ટ મુકેશ મહેશ્વરીના મતે, આ ખૂબ જ ગંભીર સ્થિતિ છે. બ્લડ પ્લાઝ્મા માત્ર કોઈ ચીજવસ્તુ નથી, પણ એક જીવનરક્ષક તત્વ છે. જે દર્દીઓની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય, જેઓ કૅન્સરથી પીડાતા હોય કે ગંભીર રીતે દાઝી ગયા હોય, તેમના માટે આ પ્લાઝ્મા આશીર્વાદ સમાન હોય છે. જો તેમાં સલાઇન ભેળવવામાં આવે, તો દર્દીની હાલત સુધરવાને બદલે વધુ બગડી શકે છે અથવા તો તેમનો જીવ પણ જઈ શકે છે. ફાર્માસ્યુટિકલ કંપનીઓ જે દવાઓ બનાવે છે તેમાં આ પ્લાઝ્માનો ઉપયોગ થાય છે, તો પછી સવાલ એ થાય કે આટલા સમયથી સપ્લાય થતી આ દવાઓની ગુણવત્તાનું ચેકિંગ ક્યાં ગયું હતું?.
માત્ર ધરપકડથી ન્યાય મળી જશે?
પોલીસે અત્યારે ચારેય આરોપીઓના રિમાન્ડ લીધા છે, પણ આ તપાસ અહીં અટકવી ન જોઈએ. આટલા મોટા પાયે નકલી પ્લાઝ્માનું સપ્લાય થતું હોય ત્યારે શું ફાર્માસ્યુટિકલ કંપનીઓના અધિકારીઓ કે બ્લડ બૅન્કના જવાબદારોને ખબર નહીં હોય? શું આટલો મોટો જથ્થો કોઈ પણ તપાસ વગર કંપનીઓમાં પહોંચી જતો હતો? આ કૌભાંડમાં કદાચ હજુ અનેક મોટા માથાઓના નામ ખૂલવાની શક્યતા છે. સરકાર અને પોલીસ તંત્રએ આ બાબતે વધુ પારદર્શકતા લાવવી પડશે, જેથી ભવિષ્યમાં કોઈ પણ દર્દીને અસલી દવાના નામે નકલી સલાઇન ન મળે. આ કેસ માત્ર ચાર ગુનેગારોની ધરપકડનો નથી, પણ આખા સ્વાસ્થ્ય માળખાની પોલ ખોલનારો છે. વાચકોએ પણ જાગૃત રહેવાની જરૂર છે કે જ્યારે સસ્તા ભાવે દવા કે મેડિકલ વસ્તુ મળે ત્યારે સમજી લેવું કે ક્યાંક ને ક્યાંક જોખમ તો છે જ.
આ પણ વાંચો:








