
Bihar Model Schools: નવી દિલ્હીમાં ભારતમાં શિક્ષણના કથિત ‘ભગવાકરણ’ અંગે ચાલી રહેલી રાષ્ટ્રીય ચર્ચા વચ્ચે બિહાર સરકારે ૨૦ જુલાઈએ એક મહત્ત્વપૂર્ણ નિર્દેશ જાહેર કર્યો છે. આ નિર્દેશ અનુસાર રાજ્યની તમામ ૫૫૧ મોડેલ શાળાઓ, જેને હવે ‘સરસ્વતી વિદ્યા નિકેતન’ નામ આપવામાં આવ્યું છે, તેને તાત્કાલિક ભગવા રંગથી રંગવાનો આદેશ આપવામાં આવ્યો છે. સરકારના આ નિર્ણયથી રાજકીય વર્તુળોમાં ગરમાવો આવી ગયો છે અને શિક્ષણ જગતમાં પણ નવી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. રાજ્ય સરકારની ‘ઉન્નત શિક્ષણ–ઉજ્જવળ ભવિષ્ય’ યોજના હેઠળ દરેક જિલ્લાની મોડેલ શાળા અને દરેક બ્લોકની એક ઉચ્ચતર માધ્યમિક શાળાનું ઉન્નતીકરણ કરવામાં આવી રહ્યું છે, જેના માટે નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭માં આ યોજનાનો અંદાજિત ખર્ચ ૮૦૦ કરોડ રૂપિયા રાખવામાં આવ્યો છે.
સહયોગી પક્ષ જેડીયુનો વિરોધ: શિક્ષણનો કોઈ રંગ હોતો નથી
આ નિર્ણયની તીવ્ર ટીકા માત્ર વિરોધ પક્ષો દ્વારા જ કરવામાં આવી નથી, પરંતુ રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીના મુખ્ય સહયોગી એવા જનતા દળ (યુનાઇટેડ) દ્વારા પણ તેની સામે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. જનતા દળ (યુનાઇટેડ)ના પ્રવક્તા નીરજ કુમારે આ નિર્ણય અંગે ખુલ્લીને પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે શિક્ષણનો કોઈ ચોક્કસ રંગ હોતો નથી. તેનો સંબંધ માત્ર બંધારણની પ્રસ્તાવનામાં સમાવાયેલી મૂળ ભાવના સાથે હોવો જોઈએ, નહીં કે કોઈ રાજકીય કે ચોક્કસ રંગ સાથે. તેમણે વધુમાં ચિંતા વ્યક્ત કરી હતી કે ઘણી શાળાઓમાં જમીન દાન કરનારા દાતાઓના નામ ‘સરસ્વતી વિદ્યા નિકેતન’ના મુખ્ય બોર્ડની નીચે લખવામાં આવી રહ્યા છે, જ્યારે આદર્શ સ્થિતિ એ છે કે દાતાઓના નામ નવા નામ કરતા પહેલા અને માનપૂર્વક હોવા જોઈએ.
મુખ્યાધ્યાપકોના અધિકારો અને શાળાઓના બદલાતા રંગોની વાસ્તવિકતા
એક મોડેલ શાળાના મુખ્યાધ્યાપકે આ અંગે નામ ન આપવાની શરતે જણાવ્યું કે અગાઉ શાળાના મકાનના રંગ અંગે સરકાર તરફથી કોઈ કડક નિર્દેશ આપવામાં આવતા નહોતા. ક્યારેક શાળા પીળા, ક્યારેક ગુલાબી તો ક્યારેક આસમાની રંગથી રંગવામાં આવતી હતી અને રંગ પસંદ કરવાનો પૂરો અધિકાર સંબંધિત મુખ્યાધ્યાપક પાસે જ રહેતો હતો. છેલ્લા કેટલાક વર્ષોમાં રાજ્યની મોટાભાગની શાળાઓને સુંદર દેખાવા માટે ગુલાબી રંગથી રંગવામાં આવી હતી. પરંતુ હવે શિક્ષણ વિભાગના નવા પત્રમાં સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યો છે કે તમામ મોડેલ શાળાઓમાં એકરૂપતા જળવાવી જોઈએ. આ નવા નિયમ મુજબ હવે શાળાઓની બહારની દિવાલો ભગવા રંગની રહેશે, વર્ગખંડોની અંદરની દીવાલો સંપૂર્ણપણે સફેદ હશે અને મુખ્ય પ્રવેશદ્વારને સુવર્ણ રંગથી સજાવવામાં આવશે.
વિરોધ પક્ષોના ગંભીર આક્ષેપો: શિક્ષણના ભગવાકરણની શરૂઆત
વિરોધ પક્ષોએ સરકારના આ પગલાને બિહારમાં શિક્ષણના સુનિયોજિત ભગવાકરણની શરૂઆત ગણાવ્યું છે. રાષ્ટ્રીય જનતા દળના રાષ્ટ્રીય પ્રવક્તા સુબોધ કુમાર મહેતાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે તેમને પહેલેથી જ આવી શંકા હતી અને આ ઘટના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શિક્ષણ મોડેલને જમીની સ્તરે અમલમાં મૂકવાની દિશામાં એક મોટું પગલું છે. જે દિવસે ભાજપના નેતૃત્વવાળી સરકારે મોડેલ શાળાઓનું નામ બદલીને ‘સરસ્વતી વિદ્યા નિકેતન’ રાખ્યું હતું, તે જ દિવસે વિપક્ષને સંઘના એજન્ડાની આહટ મળી ગઈ હતી. બિહાર કોંગ્રેસના પ્રવક્તા અસીત નાથ તિવારીએ પણ આ જસૂર પૂરતા સુર પુરાવતા જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટી રંગ બદલવામાં નિષ્ણાત છે અને હવે તેઓ શિક્ષણને પણ એક ચોક્કસ રંગ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે, જે લોકશાહી અને સામાજિક સૌહાર્દ માટે અત્યંત નુકસાનકારક છે.
૮૦૦ કરોડની યોજના પરંતુ ફેરફારો માત્ર રંગ અને નામ પૂરતા સીમિત
રાજ્ય સરકારની આ મહત્ત્વાકાંક્ષી યોજના પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. યોજના હેઠળ દરેક શાળા પાછળ અંદાજે ૧.૪૫ કરોડ રૂપિયા જેટલી માતબર રકમ ખર્ચવાનો પ્રાવધાન રાખવામાં આવ્યો છે. પરંતુ જમીની હકીકત એ છે કે અત્યાર સુધી જોવા મળેલા મોટાભાગના ફેરફારો માત્ર શાળાના બહારના રંગ-રોગનિ અને નામના પાટિયા બદલવા સુધી જ મર્યાદિત રહ્યા છે. શૈક્ષણિક સ્તરમાં કે મૂળભૂત માળખાકીય સુવિધાઓમાં હજુ સુધી કોઈ મોટો જમીની ફેરફાર જોવા મળ્યો નથી. વિરોધ પક્ષોનો આક્ષેપ છે કે આટલી મોટી રકમ વાપરવા છતાં પ્રાથમિક સુવિધાઓને બદલે માત્ર સપાટી પરના રંગો બદલવા ઉપર વધુ ધ્યાન આપવામાં આવી રહ્યું છે, જે યોજનાના વાસ્તવિક હેતુ પર ગંભીર સવાલો ઊભા કરે છે.
સરકાર અને ભાજપનો બચાવ: રંગ ઊર્જા અને સકારાત્મકતાનું પ્રતીક
સરકાર અને ભારતીય જનતા પાર્ટીએ આ તમામ આરોપોને સદંતર નકારી કાઢ્યા છે કે આ રંગની પસંદગી પાછળ કોઈ રાજકીય કે સાંપ્રદાયિક કારણો રહેલા છે. સરકારનું સ્પષ્ટપણે કહેવું છે કે આ રંગ કોઈ ખાસ વિચારધારાનું નહીં પરંતુ ‘ઊર્જા અને સકારાત્મકતા’નું પ્રતીક છે. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ સંતોષ પાઠકે જણાવ્યું હતું કે વિરોધ પક્ષો પાયાની અને મૂળભૂત સુવિધાઓમાં થઈ રહેલા પ્રગતિશીલ સુધારાઓનું બિનજરૂરી રાજકીયકરણ કરી રહ્યા છે, જેના કારણે આગામી સમયમાં રાજ્યના હજારો વિદ્યાર્થીઓને સારો લાભ મળવાનો છે. બિહારના શિક્ષણ પ્રધાન મિથિલેશ તિવારીએ પણ વિરોધ પક્ષો પર આકરા પ્રહાર કરતા કહ્યું કે તેઓ દરેક વિકાસના કાર્યને આરએસએસના દૃષ્ટિકોણથી જોવાની સંકુચિત માનસિકતા ધરાવે છે, જ્યારે વાસ્તવિકતામાં રાજ્યભરમાં મોટા પાયે શિક્ષણ સુધારાઓ અમલમાં મૂકવામાં આવી રહ્યા છે.
राष्ट्रकवि रामधारी सिंह ‘दिनकर’ जी की पुण्यभूमि बेगूसराय से 551 सरस्वती विद्या निकेतन (आदर्श विद्यालय) का उद्घाटन कर बिहार में शिक्षा के नए युग का शुभारंभ किया।
इसके दौरान बी.पी. इंटर स्कूल पहुँचकर मॉडल विद्यालय का निरीक्षण एवं अवलोकन किया तथा गुणवत्तापूर्ण, आधुनिक एवं तकनीक… pic.twitter.com/nUsk72h1gu
— Samrat Choudhary (@samrat4bjp) July 19, 2026
મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી દ્વારા ઉદ્ઘાટન અને અગાઉના આવા જ વિવાદાસ્પદ કિસ્સાઓ
બિહારના મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ ૧૯ જુલાઈએ યોજાયેલા એક ભવ્ય કાર્યક્રમમાં આ ‘સરસ્વતી વિદ્યા નિકેતન યોજના’નું ઔપચારિક ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર પોસ્ટ કરતા લખ્યું કે રાષ્ટ્રકવિ રામધારી સિંહ ‘દિનકર’ની પવિત્ર ધરતી બેગુસરાયથી ૫૫૧ સરસ્વતી વિદ્યા નિકેતનોનું ઉદ્ઘાટન એ બિહારના શિક્ષણ જગતમાં એક નવા યુગની શરુઆત છે. ઉલ્લેખનીય છે કે આ પ્રકારના શૈક્ષણિક સંસ્થાઓ કે ઇમારતોને ભગવા રંગથી રંગવાના કિસ્સાઓ અગાઉ પણ દેશના અન્ય રાજ્યોમાં બની ચૂક્યા છે. ૨૦૨૪માં રાજસ્થાન સરકાર દ્વારા ૨૦ સરકારી કૉલેજોને નારંગી અને સફેદ રંગથી રંગવાનો આદેશ અપાયો હતો, તો ૨૦૨૨માં કર્ણાટક સરકારે પણ સરકારી શાળાઓના વર્ગખંડોને ભગવા રંગથી રંગવાનો નિર્ણય લીધો હતો જેનો વ્યાપક વિરોધ થયો હતો. આ ઉપરાંત પશ્ચિમ બંગાળ અને હરિયાણામાં પણ આ પ્રકારના રંગ વિવાદો અગાઉ રાજકીય ચર્ચાનું કેન્દ્ર બની ચૂક્યા છે.
આ પણ વાંચો:








