
Ajab Gajab: સામાન્ય રીતે તો ઘર્ષણ કે ઝઘડો કરવો જ ન જોઈએ પણ જો કદાચ ભૂલેચૂકે ઝઘડો થઈ જાય તો તું શું મને ચપ્પુ મારી દઈશ? કે તું મારું શું બગાડીશ? એવું બોલતા જ નહીં, નહીંતર શું થશે, એ કલ્પના કરવાનું મુશ્કેલ છે. અમેરિકાના કોલોરાડોમાં રહેતી અને શબઘરમાં ઑટોપ્સી ટૅક્નિશિયન ડૉલી અનુભવોના આધારે સૌને આ શીખામણ આપે છે.
દરેક મનુષ્યનું મૃત્યુ નિશ્ચિત છે પણ એ સામાન્ય કે કુદરતી હોવું જોઈએ પણ જો અકુદરતી કે અસામાન્ય હોય તો એ મૃત્યુનું કારણ જાણવા માટે પોસ્ટ મોર્ટમ કરવું પડતું હોય છે. ઑટોપ્સી ટૅક્નિશિયન ડૉલીનું કહેવું છે કે ઝઘડો થાય ત્યારે તું મારું શું બગાડીશ? એવું બોલવાનું ટાળવું જોઈએ. આવાં કારણોસર મૃત્યુ થયાના અનેક કિસ્સા તેણે જોયા છે. એ જ રીતે માંસાહાર પણ ટાળવો જોઈએ. કેટલાક વૃદ્ધોનું મૃત્યુનું મોટું કારણ માંસાહાર બન્યું હોવાનું પણ તેણે કહ્યું હતું.
ડૉલીએ કરેલા દાવા પ્રમાણે અનેક મૃતદેહોની તપાસ કર્યા પછી ખબર પડી છે કે વૃદ્ધોએ માંસાહાર ન કરવો જોઈએ. કારણ કે વૃદ્ધો માંસાહાર કરે છે પછી માંસ ગળામાં અટકી જાય છે અને શ્વાસ રુંધાવાથી કે અન્ય કારણોસર મૃત્યુ પામે છે.
માંસ ખાધા પછી થનારાં મૃત્યુ એ અકુદરતી મૃત્યુમાં બહુ સામાન્ય કારણ છે. એટલે વૃદ્ધાવસ્થામાં માંસ ચાવી શકાતું ન હોય તો ન ખાવું જોઈએ, નહીંતર મૃત્યુ પણ આવી શકે છે. સ્ટીક કે માંસનો ટુકડો વૃદ્ધાવસ્થામાં અને કિશોરાવસ્થામાં અત્યંત જોખમી હોય છે. ડૉલીએ કહ્યું કે આવા મૃતદેહોની ચીરફાડ કરીને એ ટુકડો કાઢતી વખતે ઘણું દુઃખ થાય છે. અણધાર્યા મૃત્યુથી બચવા માટે ડૉલી ચાવીચાવીને ખોરાક લેવાની સલાહ પણ આપે છે. સાથેસાથે વડીલો અને નાનાં બાળકો યોગ્ય રીતે ચાવી ન શકે ત્યારે જોખમી સ્થિતિ સર્જાય છે.
ઑટોપ્સી ટૅક્નિશિયન ડૉલી કહે છે કે અકારણ કે અકુદરી મોત ન જોઈતું હોય તો ઝઘડો ન કરવો. વાત વિચિત્ર લાગે એવી છે પણ ડૉલી પાસે એનાં કારણો છે. એનું કહેવું છે કે સામાન્ય અને નજીવાં કારણોસર ઝઘડો થયા પછી લોકોનાં મૃત્યુ થતાં હોય છે અને શબઘરમાં મૃતદેહો આવતા હોય છે. તેનું કહેવું છે કે ઝઘડો જ ન કરવો જોઈએ પણ સંજોગવશાત્ થાય તોપણ તું શું કરી લઈશ? કે તું મારું શું બગાડીશ, ચપ્પુ મારી દઈશ? એવું બોલવું જ નહીં. કારણ કે જો તમે આવું કંઈ બોલશો તો તમારો વિરોધી એવું જ કાંઈક કરી બેસશે. તેનું કહેવું છે કે તેણે આવા કેટલાય લોકોની ચીરફાડ કરી છે, જેમણે મૃત્યુ પહેલાં આવા જ શબ્દો કહ્યા હતા. મોટા ભાગની હત્યા પાછળ ક્ષણિક આવેશ કારણભૂત હોય છે, અને આવું કરનારા મોટે ભાગે રીઢા ગુનેગાર પણ નથી હોતા, એવું અપરાધ શાસ્ત્રમાં પણ માનવામાં આવે છે. ડૉલીનું કહેવું છે કે કોઈ વિચિત્ર કારણોસર જ મૃત્યુ પામ્યા હોય એવા અનેક મૃતદેહોની એમણે ચીરફાડ કરી છે. રોડરોલર નીચે દબાઈને મૃત્યુ પામનારાથી માંડીને સ્કાયડાઇવિંગ કરતી વખતે મૃત્યુ પામનારા લોકોના મૃતદેહોની પણ એમણે ચીરફાડ કરી છે.








