
આમોદ, ભરૂચ: નિર્ભયાના મોત બાદ રાજ્યમાંથી વધુ એક શરમજનક બનાવ સામે આવ્યો છે. ઝઘડિયામાં દુષ્કર્મ કેસના પડઘા હજુ શમ્યા નથી, ત્યાં ભરૂચમાં વધુ એક દુષ્કર્મનો બનાવ બન્યો છે. 72 વર્ષના વૃદ્ધા પર 35 વર્ષના નરાધમે દુષ્કર્મ આચર્યું છે. આમોદ પોલીસે બનાવ અંગે તપાસ હાથ ધરી છે. ગુજરાતની નિર્ભયાનું દર્દ હજું ભૂલાયું નથી ત્યાં તો આમોદમાં વૃદ્ધા ઉપર દુષ્કર્મનો મામલો સામે આવતા ખળભળાટ મચી ગયો છે.
મળતી માહિતી અનુસાર, અગાઉ પણ આ જ નરાધમે વૃદ્ધા ઉપર દુષ્કર્મ આચર્યું હતું. ત્યારે ગુજરાતની નિર્ભયાના મૃત્યુ બાદ વધુ એક શરમજનક કિસ્સો સામે આવ્યો છે. આમોદમાં વૃદ્ધા સાથે દુષ્કર્મના મામલે ગુનો નોંધીને આમોદ પોલીસે તપાસ હાથ ધરી છે. આમોદ તાલુકામાં દુષ્કર્મના કેસમાં સજા ભોગવી ચુકેલા નરાધમે ફરીથી એ જ ગુનો આચરતા ભરૂચ જિલ્લા SP સહિત LCB અને SOG ની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. માહિતી અનુસાર, આમોદ તાલુકાના એક ગામમાં વાડીમાં ઝુંપડી બાંધીને રહેતા 72 વર્ષીય વૃદ્ધ પર 35 વર્ષના નરાધમે 15 અને 22 ડિસેમ્બરે દુષ્કર્મ આચર્યું હતું.
માહિતી અનુસાર, આ નરાધમે લગભગ દોઢ વર્ષ પહેલા પણ આ જ વૃદ્ધ મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હતું. એ સમયે આમોદ પોલીસે તેની ધરપકડ કરી હતી. થોડા દિવસો પહેલા આરોપી જામીન પર જેલમાંથી બહાર આવ્યો હતો અને તેણે વૃદ્ધ મહિલા સાથે દુષ્કર્મ આચર્યું. આ ખૂબ જ શરમજનક બાબત છે. હાલ આમોદ પોલીસે વિવિધ ટીમ બનાવી દુષ્કર્મના ફરાર આરોપીને પકડવા માટે કવાયત હાથ ધરી છે. ભરૂચ ક્રાઈમ બ્રાન્ચ અને SOG ની ટીમ પણ આ કેસની તપાસમાં જોડાઈ છે. ત્યારે હજુ કેટલી મહિલાઓ અને દીકરીઓ નરાધમોની માનસિક વિકૃતિનો ભોગ બનશે તેવા સવાલ ઉઠી રહ્યા છે.