
Antibiotic Resistance Superbug: માનવ ઇતિહાસમાં એન્ટીબાયોટિક્સને 20મી સદીની સૌથી મહત્વપૂર્ણ વૈજ્ઞાનિક શોધોમાં ગણવામાં આવે છે. કરોડો લોકોના જીવ બચાવનાર આ દવાઓ આજે બેક્ટેરિયા સામે ઓછી અસરકારક બની રહી છે. એન્ટીબાયોટિકનો બિનજરૂરી અને અયોગ્ય ઉપયોગ વધતા એન્ટીમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સ (AMR) એટલે કે ‘સુપરબગ’નો ખતરો ગંભીર બની રહ્યો છે.
2050 સુધીમાં એક કરોડ મૃત્યુનો અંદાજ
આંકડા મુજબ, વિશ્વભરમાં દર વર્ષે અંદાજે 47 લાખથી વધુ લોકો AMR સંબંધિત કારણોસર જીવ ગુમાવી રહ્યા છે. જો દવાઓના ઉપયોગ અંગેની હાલની આદતોમાં ફેરફાર નહીં થાય તો 2050 સુધીમાં દર વર્ષે એક કરોડ મૃત્યુ સુધીનો આંકડો પહોંચવાની ચેતવણી આપવામાં આવી છે. આગામી 25 વર્ષમાં અંદાજે 3 કરોડ 9 લાખ લોકો સીધી રીતે આ સમસ્યાના કારણે મૃત્યુ પામી શકે તેવી આશંકા પણ વ્યક્ત કરવામાં આવી છે.
એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ શું છે?
MD ફિઝિશિયન અને ક્રિટિકલ કેર એક્સપર્ટ ડૉ. જય મહેતાના જણાવ્યા મુજબ, જ્યારે એન્ટીબાયોટિક્સનો વારંવાર, બિનજરૂરી અથવા યોગ્ય નિયંત્રણ વગર ઉપયોગ થાય છે ત્યારે બેક્ટેરિયા ધીમે ધીમે તે દવાઓ સામે રેઝિસ્ટન્સ વિકસાવે છે. પરિણામે જે દવા અગાઉ સરળતાથી ઈન્ફેક્શનને કાબૂમાં લેતી હતી તે પછી ઓછી અસરકારક બને છે અથવા સંપૂર્ણપણે કામ કરતી બંધ થઈ શકે છે.
એન્ટીબાયોટિક ખાસ કરીને બેક્ટેરિયા સામે ઉપયોગમાં લેવાય છે, જ્યારે એન્ટીમાઇક્રોબિયલ શબ્દ વધુ વ્યાપક છે અને તેમાં બેક્ટેરિયા ઉપરાંત ફંગસ અને અન્ય માઇક્રોબ્સ સામેની દવાઓનો સમાવેશ થાય છે.
ડોક્ટરની સલાહ વગર દવા લેવી મોટી ભૂલ
શરદી, ઉધરસ કે સામાન્ય તાવ થતાં ઘણા લોકો મેડિકલ સ્ટોરમાંથી પોતાની રીતે એન્ટીબાયોટિક ખરીદી લે છે. ભારતમાં આ દવાઓ કેટલીક જગ્યાએ પ્રિસ્ક્રિપ્શન વગર મળી જતી હોવાની સમસ્યા અંગે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. ડૉક્ટરના જણાવ્યા મુજબ, વાયરલ ઈન્ફેક્શનમાં એન્ટીબાયોટિકની જરૂર હોતી નથી.
જો દર્દીને સામાન્ય શરદી-કફ હોય તો ઘણી વખત સપોર્ટિવ સારવાર, પૂરતું પાણી, ગાર્ગલ્સ અને જરૂરી હોય ત્યારે તાવ માટે દવાઓ પૂરતી રહે છે. ઈન્ફેક્શન ગંભીર બને અથવા બેક્ટેરિયલ ઈન્ફેક્શનની શંકા હોય ત્યારે જ યોગ્ય તપાસ અને તબીબી સલાહના આધારે એન્ટીબાયોટિકનો ઉપયોગ થવો જોઈએ.
દવાનો કોર્સ અધૂરો છોડવાથી પણ રેઝિસ્ટન્સ વધે છે
ડૉ. જય મહેતાએ સમજાવ્યું કે ડૉક્ટરે પાંચ દિવસનો કોર્સ આપ્યો હોય અને દર્દી બે-ત્રણ દિવસમાં સારું થઈ જાય એટલે દવા બંધ કરી દે તો શરીરમાં કેટલાક બેક્ટેરિયા જીવતા રહી શકે છે. બચી ગયેલા બેક્ટેરિયામાં રેઝિસ્ટન્સ વિકસવાની શક્યતા રહે છે અને આગળ જઈને તે અન્ય લોકોમાં પણ ફેલાઈ શકે છે.
ખાસ કરીને ટીબી જેવા રોગોમાં દવાનો કોર્સ અધૂરો છોડવાથી મલ્ટી-ડ્રગ રેઝિસ્ટન્ટ બેક્ટેરિયા વિકસવાનો ગંભીર ખતરો રહે છે.
શરદી, UTI અને ન્યુમોનિયામાં વધતો પડકાર
AMRનો ખતરો સામાન્ય લાગતા ઈન્ફેક્શનમાં પણ જોવા મળી રહ્યો છે. અપર રેસ્પિરેટરી ટ્રેક્ટ ઈન્ફેક્શન, જેમાં શરદી, કફ, ગળાનો દુખાવો અને ટોન્સિલનું ઈન્ફેક્શન સામેલ છે, તેમજ યુરિનરી ટ્રેક્ટ ઈન્ફેક્શન (UTI) અને ન્યુમોનિયા જેવા રોગોમાં એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ ચિંતાજનક બની રહ્યો છે.
એઝિથ્રોમાયસિનનું ઉદાહરણ આપતાં ડૉક્ટરે જણાવ્યું કે કોવિડ દરમિયાન તેનો વ્યાપક ઉપયોગ થયો હતો અને હવે તેના પ્રત્યે ઘણા કેસોમાં રેઝિસ્ટન્સ જોવા મળી રહ્યો છે.
સુપરબગથી ICUના દર્દીઓ માટે મોટો ખતરો
મલ્ટી-ડ્રગ રેઝિસ્ટન્ટ બેક્ટેરિયાથી થયેલું ઈન્ફેક્શન દર્દીને ICU સુધી લઈ જઈ શકે છે. કલ્ચર રિપોર્ટમાં અનેક એન્ટીબાયોટિક સામે રેઝિસ્ટન્સ જોવા મળે ત્યારે સારવાર મુશ્કેલ બને છે અને કેટલીક પરિસ્થિતિમાં દર્દીને બચાવવા માટે વિકલ્પો અત્યંત મર્યાદિત થઈ જાય છે.
ICUમાં એક સુપરબગથી સંક્રમિત દર્દી હોય તો અન્ય દર્દીઓમાં પણ ચેપ ફેલાવાનો જોખમ રહે છે. ત્યાંથી ચેપ સમુદાયમાં પણ ફેલાઈ શકે છે. ખાસ કરીને ઓછી ઈમ્યુનિટી અથવા હૃદયરોગ, ડાયાબિટીસ જેવી અન્ય બીમારીઓ ધરાવતા દર્દીઓમાં જોખમ વધુ ગંભીર બની શકે છે.
નવી દવા બનાવવાની ગતિ કરતાં રેઝિસ્ટન્સ ઝડપી
નવી એન્ટીબાયોટિક વિકસાવવા માટે લાંબી અને ખર્ચાળ સંશોધન પ્રક્રિયા જરૂરી છે. બીજી તરફ બેક્ટેરિયામાં રેઝિસ્ટન્સ ઝડપથી વિકસી શકે છે. ઉદાહરણ તરીકે રેઝિસ્ટન્સ વિકસવામાં બે વર્ષ લાગે તો નવી એન્ટીબાયોટિક તૈયાર થઈને ઉપલબ્ધ થવામાં લગભગ 10 વર્ષ લાગી શકે છે. આ અંતર ભવિષ્યના ઈન્ફેક્શન સામેની લડાઈને વધુ મુશ્કેલ બનાવે છે.
લાલ લીટીવાળી દવા માટે સાવચેતી જરૂરી
એન્ટીબાયોટિક સહિત કેટલીક પ્રિસ્ક્રિપ્શન દવાઓના પેકેટ પર લાલ લીટી હોય છે. તેનો હેતુ દર્દીને સૂચવવાનો છે કે આ દવા ડોક્ટરની સલાહ વગર લેવી નહીં. એન્ટીબાયોટિક્સમાં એઝિથ્રોમાયસિન, પેનિસિલિન, ડોક્સિસાયક્લીન અને સેફિક્સીમ જેવી દવાઓનો ઉલ્લેખ કરીને તેમના અતિશય અથવા અનિયંત્રિત ઉપયોગથી રેઝિસ્ટન્સ વધવાની ચિંતા વ્યક્ત કરવામાં આવી.
બચાવ માટે ચાર મહત્વની બાબતો
નિષ્ણાતોના જણાવ્યા મુજબ, ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર એન્ટીબાયોટિક ન લેવી, ડોક્ટરે સૂચવેલો કોર્સ પોતાની રીતે અધૂરો ન છોડવો, વાયરલ શરદી-ઉધરસમાં બિનજરૂરી એન્ટીબાયોટિકથી બચવું અને પેકેટ પરની લાલ લીટીને પ્રિસ્ક્રિપ્શનની ચેતવણી તરીકે સમજવી જરૂરી છે. પ્રોબાયોટિક્સ માટે દહીં, યોગર્ટ અને લસ્સી જેવા ખોરાકનું સેવન કરવું. અંતે તબીબી સલાહ વિના જાતે દવા લઈને ‘પોતાના ડોક્ટર’ બનવાને બદલે યોગ્ય તબીબી માર્ગદર્શન લેવું.







