
Bihar Election: બિહારમાં શાસક જનતા દળ યુનાઇટેડ (JDU) ને મોટો ઝટકો લાગ્યો છે. ભારતીય ચૂંટણી પંચના નિર્દેશ પર, મોકામાથી JDU ઉમેદવાર અનંત સિંહની ધરપકડ કરવામાં આવી છે. પૂર્વ ધારાસભ્ય અનંત સિંહની ધરપકડ એ શાસક જનતા દળ યુનાઇટેડ માટે એક મોટો ફટકો છે, કારણ કે અનંત સિંહ રાષ્ટ્રીય લોકશાહી જોડાણ દ્વારા સમર્થિત JDU ઉમેદવાર તરીકે મોકામા વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે.
અગાઉ એક કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા બાદ અનંત સિંહે ગત વખતે ધારાસભ્ય પદ ગુમાવ્યું હતું. ધારાસભ્ય પદ ગુમાવ્યા બાદ, અનંત સિંહે તેમની પત્ની નીલમ દેવીને ચૂંટણીમાં મેદાનમાં ઉતારી હતી. તે પેટાચૂંટણીમાં ધારાસભ્ય બની હતી. બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા પટના હાઈકોર્ટ દ્વારા નિર્દોષ જાહેર થયા બાદ, અનંત સિંહ આ વખતે ચૂંટણી મેદાનમાં હતા, પરંતુ ગુરુવારે, દુલારચંદ યાદવની હત્યા કેસમાં તેમની વિરુદ્ધ નામાંકિત FIR દાખલ થયા બાદ, ભારતીય ચૂંટણી પંચના નિર્દેશ પર તેમની ધરપકડ કરવામાં આવી છે.
દાયકાઓથી મોકામા તાલમાં રાષ્ટ્રીય જનતા દળનો મજબૂત ચહેરો રહેલા દુલારચંદ યાદવ ગુરુવારે પ્રિયદર્શીના પ્રચાર કાફલામાં ગયા હતા તે સમયે તેમનો સામનો JDU ઉમેદવાર અનંત સિંહના કાફલા સાથે થઈ જતા ભારે તંગદિલી સર્જાઈ હતી અને બંને કાફલામાં રહેલા લોકો વચ્ચે તણાવ વધી જતા સામસામે પથ્થરમારો થયો હતો. ત્યારબાદ અનંત સિંહ અને તેમના સમર્થકોએ દુલારચંદ યાદવને પગમાં ગોળી મારી અને પછી વાહનથી કચડી નાખ્યાનો આરોપ લાગ્યો છે.
આ કેસમાં દુલારચંદ યાદવના પૌત્ર દ્વારા દાખલ કરાયેલી FIRમાં અનંત સિંહનું પણ નામ છે. અનંત સિંહના સમર્થકોએ પણ પથ્થરમારો અને હુમલાનો આરોપ લગાવીને FIR દાખલ કરી હતી. આ ઉપરાંત, ચૂંટણીને ધ્યાનમાં રાખીને પોલીસે બીજી FIR દાખલ કરી હતી. FIRમાં તેમના નામ અને ઘટનાસ્થળે તેમની હાજરીના આધારે, બિહાર પોલીસે ચૂંટણી પંચની સૂચના પર, ગુરુવાર-શુક્રવાર મધ્યરાત્રિએ બારહના કારગિલ માર્કેટમાંથી અનંત સિંહની ધરપકડ કરી હતી. ધરપકડ સમયે પટણાના SSP કાર્તિકેય શર્મા પણ પોલીસ ટીમ સાથે હાજર હતા.
દુલારચંદ યાદવ હત્યા કેસ બાદ મોકામામાં ઘણો તણાવ છે. શુક્રવારે દુલારચંદ યાદવના મૃતદેહની અંતિમયાત્રા દરમિયાન પણ બંને પક્ષો વચ્ચે પથ્થરમારો થયો હતો. ત્યારબાદ અનંત સિંહની ધરપકડની માંગ સતત વધી રહી હતી.
દરમિયાન ગતરોજ શનિવારે સાંજે, અનંત સિંહે 48 કલાકમાં ફરીથી ચૂંટણી પ્રચાર શરૂ કર્યો હતો અને પ્રચાર શરૂ કર્યાના થોડા કલાકોમાં ભારે તણાવ વચ્ચે પટનાથી પોલીસ અનંત સિંહની ધરપકડ કરવા પહોંચી હતી. ધરપકડ બાદ, વિસ્તારમાં વધુ તણાવ વધવાની આશંકા છે. આને ધ્યાનમાં રાખીને, સુરક્ષા દળોની તૈનાતી વધારી દેવામાં આવી છે.
આ પણ વાંચો:
Vadodara: પંચામૃત રેસિડેન્સીના પાર્કિંગમાં મગરની એન્ટ્રી, રાત્રે મચ્યો હડકંપ
Busuness: વર્ષ 2025માં સોનું મોંઘુ થતાં ખરીદી ઘટી; માંગમાં 16 ટકા ઘટાડો નોંધાયો!
Andhra Pradesh: આંધ્રપ્રદેશના વેંકટેશ્વર સ્વામી મંદિરમાં ભાગદોડ,10 લોકોના મોત, અનેક ઘાયલ
Gujarat news: ગુજરાતના બે સ્મશાનગૃહોની હૃદયવિદારક તસવીરો, ગોદડા બાળી- પતરું રાખી કરવી પડી અંતિમ વિધિ







