
તિબેટની ધરતી આજે ભયાનક ભૂકંપથી હચમચી ગઈ છે. આ ભૂકંપમાં તિબેટમાં ભારે નુકસાન થયું છે. સમાચાર એજન્સી એએફપીએ ચીની મીડિયા શિન્હુઆને ટાંકીને કહ્યું કે નેપાળની સરહદ નજીક તિબેટમાં આજે 7.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ઘટનામાં 32 લોકોના મોત થયા છે અને 38 લોકો ઈજાગ્રસ્ત થયા છે. આજે સવારે ભારત સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. બિહાર, આસામ અને પશ્ચિમ બંગાળ સહિત દેશના ઘણા ભાગોમાં જોરદાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેથી તિબેટમાં ભારે નુુકસાન થયું છે.
ભૂકંપની ભારતમાં અસર
માહિતી અનુસાર, ભૂકંપનું કેન્દ્ર 28.5 ડિગ્રી ઉત્તર અક્ષાંશ અને 87.45 ડિગ્રી પૂર્વ રેખાંશ પર હતું. ચાઈના અર્થક્વેક નેટવર્ક સેન્ટર દ્વારા જાહેર કરવામાં આવેલા અહેવાલ મુજબ ભૂકંપ 10 કિલોમીટરની ઉંડાઈએ આવ્યો હતો. નેપાળ એ વિસ્તારમાં આવેલું છે જ્યાં ભારતીય અને યુરેશિયન ટેક્ટોનિક પ્લેટો અથડાઈને હિમાલય બનાવે છે અને વારંવાર ભૂકંપ આવે છે. વર્ષ 2015માં નેપાળમાં 7.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેમાં લગભગ 9,000 લોકો માર્યા ગયા હતા અને 22,000થી વધુ લોકો ઘાયલ થયા હતા. જેમાં પાંચ લાખથી વધુ મકાનો ધરાશાયી થયા હતા.
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર, સવારે 6:35 વાગ્યે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. એનસીએસ ડેટા અનુસાર, ભૂકંપ પછી તરત જ પ્રદેશમાં વધુ બે ભૂકંપ આવ્યા. બીજા ભૂકંપની તીવ્રતા 4.7 હતી, જે સવારે 7.02 વાગ્યે 10 કિલોમીટરની ઉંડાઈએ આવ્યો હતો. ત્રીજો ભૂકંપ 4.9 ની તીવ્રતાનો હતો, જે સવારે 7:07 વાગ્યે 30 કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો.
આ સમાચાર પણ વાંચોઃ ચીનમાં ફેલાતા HMPV વાયરસથી ભારતમાં ગભરાટ, 6 કેસ નોંધાયા, જાણો ક્યા લોકોને વધુ જોખમ?