
Anand News: ભારતમાં લોકશાહી આવી અને સાથે રાજકારણ પણ આવ્યું અને આ રાજકારણમાં વગદાર લોકો પોતાની મનમાની કરતા હોવાના કિસ્સા અવારનવાર સામે આવતા રહે છે ત્યારે મધ્ય ગુજરાતમાં એક ગામમાં સરપંચ વિરુદ્ધ ફરિયાદ કરનાર ગ્રામજનને ભર બજારમાં જીવતો સળગાવી દેવાનો કમકમાટી ભર્યો પ્રયાસ થયો હોવાની કથિત ઘટનાએ ભારે સનસનાટી મચાવી દીધી છે.
આ ચકચારી ઘટના આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના અંબાવ ગામમાં બની છે,આ ગામમાં મહિલા સરપંચ સહિત તેમના પરિવાર વિરુદ્ધ CM સમક્ષ ફરિયાદ કરનાર ભરત પઢીયાર નામના ખેડૂતને ભર બજારે પેટ્રોલ છાંટી જીવતો સળગાવી દેવાનો હીંચકારો પ્રયાસ થયો હતો, જીવન મરણ વચ્ચે ઝોલા ખાતા પીડીત ભરત પઢિયારે પોતાને સરપંચ અને તેમના પરિવારે પેટ્રોલ છાંટી સળગાવ્યો હોવાનું નિવેદન આપ્યું હતું.
વડોદરાની સયાજી હોસ્પિટલમાં દાખલ કરાયેલા અને ગંભીર રીતે દાઝી ગયેલા ભરત પઢિયારનું નિવેદન લીધા બાદ પોલીસે આંકલાવના અંબાવ ગામના મહિલા સરપંચ સહિત પાંચ લોકો સામે હત્યાના પ્રયાસની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સયાજી હોસ્પિટલના બિછાને જીવન મરણ વચ્ચે ઝોલા ખાતા ભરતભાઈ પઢિયારે આપેલા નિવેદનમાં હતું કે, તેમના ગામ અંબાવ ગ્રામ પંચાયતમાં ભ્રષ્ટાચાર થયાની તેઓએ આઠ-દસ દિવસ પહેલા જિલ્લા વિકાસ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી, વિકાસ કમિશનર અને મુખ્યમંત્રીને અરજી કરી હતી.
જોકે અગાઉ વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ ન્યાય નહી મળતા આ અંગે મીડિયામાં નિવેદન આપ્યું હતું ત્યારબાદ જે દિવસે નિવેદન આપ્યું, તે જ દિવસે સરપંચના પતિ તરફથી તેમને ધમકી મળી હતી.ત્યારબાદ બીજા દિવસે પણ અન્ય લોકો દ્વારા ધમકીઓ આપવામાં આવી હતી અને કહેવામાં આવ્યું હતું કે ‘તમને જીવતા નહીં છોડીએ’, તેના પછીના દિવસે મારે ઘરે ભજનનો કાર્યક્રમ હતો, એટલે પોતે દરણું દળાવવા માટે ઘંટી ગયા હતા ત્યાં અચાનક ગામના સરપંચ કોકિલાબેન, તેમના પતિ દિનેશભાઈ, પુત્ર નિલેશભાઈ, રાજેશભાઈ અને તેમનો એક ભત્રીજો ઈકો ગાડી લઈને આવ્યા હતા.
તેમણે ગડદાપાટુનો માર મારવાનું શરૂ કર્યું હતું અને માર મારતા મારતા તેઓ તેમને ગામની વચ્ચે લઈ ગયા. ત્યાં કોકિલાબેને પોતાને પકડી રાખી નિલેશભાઈએ તેમની ઉપર પેટ્રોલ છાંટ્યું અને રાજેશભાઈએ દિવાસળી ચાંપી દીધી હતી અને દિનેશભાઈએ લાત મારીને પાડી દઈ પોતાને આગ લગાડીને તેઓ ત્યાંથી ભાગી ગયા હતા.
ત્યારબાદ ગંભીર રીતે દાઝી ગયેલા ભરત પઢીયારને વડોદરાની સયાજી હોસ્પિટલમાં લાવ્યા હતા.ભરત પઢીયારે હોસ્પિટલના બિછાનેથી આપેલા આ પ્રકારના નિવેદનને લઈ ભારે ચકચાર મચી ગઇ છે.પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી તેમને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે, આ ઘટનાને પગલે ભારે સનસનાટી મચી ગઇ છે.
આ પણ વાંચો:
Police recruitment: ગુજરાત પોલીસમાં ભરતી માટે થઈ જાવ રેડી; PSI-LRDની શારીરિક કસોટીની તારીખો જાહેર!









