
Gondal News: સૌરાષ્ટ્રમાં ભારે ચકચાર જગાવનાર ગોંડલના માજી ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ ગોંડલ અને જૂનાગઢના રાજુ સોલંકી વચ્ચે સમાધાન થઈ ગયું છે.
રાજુ સોલંકીએ પોતાના પુત્રને માર મારનાર ગણેશ ગોંડલ અને જયરાજસિંહને જાહેરમાં ચેલેન્જ આપી દલિત સમાજને એકત્ર કરી રેલી કરી હતી એટલુંજ નહિ પણ ગણેશ ગોંડલને જેલમાં જવું પડ્યું હતું જોકે ત્યારબાદ રાજુ સોલંકીએ પણ જેલની હવા ખાવી પડી હતી બાદમાં રાજુ સોલંકી જેવા જેલમાંથી બહાર આવ્યા કે તરત જ અચાનક ગણેશ ગોંડલ સાથે પત્રકારોની હાજરીમાં સમાધાન કરી લેતા આ મેટર ભારે ચર્ચામાં આવી ગઈ છે હવે દલિત સમાજ આ સમાધાનથી નારાજ છે તેઓના કહેવા મુજબ સમાધાન બાબતે સમાજને અંધારામાં રખાયો છે તેથી વિવાદ ઉભો થયો છે જ્યારે કેટલાક એવું પણ કહે છે કે પૈસા લઈ સમાધાન કરી લીધું છે.
આ બધી ચર્ચાઓ વચ્ચે સમાધાન બાદ ગણેશ ગોંડલના કહેવા મુજબ ‘અમારેતો થોડા દિવસ પહેલાં જ સમાધાન થઇ જવાનું હતું પણ અનિરુદ્ધસિંહ રીબડાના માણસો દ્વારા રાજુ સોલંકીને ગેરમાર્ગે દોરવામાં આવ્યા હતા તેથી રાજુભાઈ તેમની વાતોમાં આવી ગયા અને સમાધાન ન થયું અને વાત આગળ વધી હતી’ ગણેશ ગોંડલ જણાવે છે કે ‘આવું રાજુભાઇ જ પોતાના મોઢામાંથી બોલ્યા છે કે મને ગેરમાર્ગે દોરવામાં આવ્યો હતો, મને પૈસા આપીને ગીતાબાનું રાજીનામું માગવા કહેવાયું હતુ’
જ્યારે જયરાજસિંહ જાડેજાએ પણ આજ વાત કરી અને ઉમેર્યુ કે સોશિયલ મીડિયામાં અથવા બીજી રીતે રૂપિયાની લેતીદેતીની જે વાતો ચાલી રહી છે તે સંપૂર્ણપણે પાયાવિહોણી છે.સમાધાન સમયે રાજુ સોલંકીએ મને કહ્યું હતું કે તેઓ તેમના સમાજની દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરવા માંગે છે જેમાં મેં તેમને જમણવાર માટે આર્થિક મદદ કરવાની ખાતરી આપી હતી આ સિવાય કોઈ રોકડ કે આડકતરી રીતે રૂપિયાની લેતીદેતી થઈ નથી.
સમાધાન બાદ રાજુ સોલંકીએ પોતાના નિવેદનમાં કહ્યું કે, રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા સહિતના અગ્રણીઓએ મને ઉશ્કેર્યો હતો અને મારો પુત્ર ભોગ બન્યો હોવાથી હું રોષમાં હતો અને તેમની વાતોમાં આવી ગયો હતો તેથી રિબડા અને ગોંડલ વચ્ચે ચાલતી માથાકૂટમાં મને માત્ર મહોરું બનાવવામાં આવ્યો હતો અને રાજકીય સ્વાર્થ માટે પોતાનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાની વાત કરી હતી.
■શુ છે આખો ઘટનાક્રમ જાણો
●30 મે, 2024ના રોજ ગણેશ જાડેજા અને રાજુ સોલંકીના પુત્ર સંજય વચ્ચે વાહન ચલાવવા મુદ્દે બબાલ થઈ
●ગણેશ ગોંડલે સંજયને ઉઠાવી લઈ ગોંડલ લઈ જઈ માર મારી નગ્ન કરી વીડિયો ઉતારી માફી મગાવી હોવાનો આરોપ લાગ્યો
●સંજય સોલંકીએ ગણેશ ગોંડલ વિરૂદ્ધ જૂનાગઢમાં પોલીસ ફરિયાદ કરી દલિત સમાજ એક થયો
●રાજુ સોલંકીએ જૂનાગઢથી ગોંડલ સુધી રેલી યોજી સભા કરી જયરાજસિંહને પડકાર ફેંક્યો
●ગણેશ ગોંડલના સમર્થનમાં ગોંડલ માર્કેટિંગ યાર્ડ અને ગામડાંઓએ બંધ પાળ્યો
●જૂનાગઢ પોલીસે ગણેશ ગોંડલ અને તેના 10 સાથીઓ મળી 11 આરોપીની ધરપકડ કરી
●વિસાવદરના મોણપરી ગામે દલિત સમાજની સભા યોજાઈ
●ન્યાય ન મળે તો રાજુ સોલંકીએ ઈસ્લામ ધર્મ અંગિકાર કરવાની ચીમકી આપી
●આ ઘટના બાદ રાજુ સોલંકી અને તેના પુત્રની પણ ગુજસીટોક હેઠળ ધરપકડ થઈ
●રાજુ સોલંકીને જામીન મળ્યા અને બહાર આવ્યા બાદ અચાનક ગણેશ ગોંડલ સાથે સમાધાન કર્યું
રાજુ સોલંકીએ મિડીયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે “મને ગણેશ ગોંડલ સાથે સમાધાનનો વિચાર આવ્યો હતો, કેમ કે હું જેલમાંથી છૂટ્યો એ પછી મારા જ સમાજના જૂનાગઢ જિલ્લાના આગેવાને મારા વિરુદ્ધ ફરિયાદ કરી અને જામીન રદ કરવાની માગણી કરી હતી રાજુ સોલંકીએ એ પણ કહ્યું કે”મારો સાથ આપવાને બદલે મારા જ સમાજના લોકો મને હેરાન કરતા હતા તેથી કંટાળીને મેં સમાધાન કરવાનો નિર્ણય લીધો હતો.
‘જયરાજસિંહે પોતાને પહેલાં પણ કોઇ હેરાન નથી કર્યો અને અત્યારે પણ તેમના તરફથી કોઈ હેરાનગતિ નથી.જયરાજસિંહ જૂનાગઢના ભાણેજ છે, તેમના મામા વનરાજસિંહ રાયજાદા સાથે મારે 30 વર્ષ જૂના સંબંધો છે હું વનરાજસિંહને મળવા ગયો હતો અને કહ્યું હતું કે મારે જયરાજસિંહ સાથે સમાધાન કરવું છે અને બસ આ સમાધાન કરી લીધું છે.
■આ આખો મામલો શુ હતો? જાણો
વાત છે ગત 30 મે, 2025ના રોજની કે જ્યારે તે દિવસે જૂનાગઢના કાળવા ચોકમાં કાર ચલાવવા મામલે સંજય સોલંકી અને ગણેશ ગોંડલના માણસો વચ્ચે બબાલ થઈ હતી જેમાં ગણેશ જાડેજા અને તેના સાગરિતોએ સંજય સોલંકીનું જૂનાગઢ ખાતેથી અપહરણ કર્યુ હતું અને તેને ગોંડલ લઈ જઈ ઢોરમાર માર્યો હોવાનો મામલો સામે આવ્યો હતો અને આ બાબતે ગણેશ જાડેજા સહિત આઠ લોકો સામે હત્યાની કોશિશ અને એટ્રોસિટી હેઠળ ગુનો દાખલ થયો હતો જેમાં ગણેશ ગોંડલ સહિતના લોકોને જેલ હવાલે કરાયા હતા.જ્યારે બીજી તરફ પોલીસે રાજુ સોલંકીના પરિવાર સામે પણ ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરી હતી અને જેલ હવાલે કર્યા હતા.
હવે જેલમાંથી બહાર આવતા રાજુ સોલંકીએ જયરાજસિંહ જાડેજા સાથે સમાધાન કરી લીધું હતુંઆ મામલો અહીં પતી ગયા બાદ જયરાજ સિંહે રીબડાના અનિરુદ્ધસિંહ ઉપર આક્ષેપ કરતા કહ્યું હતું કે, આ આખા પ્રકરણમાં રિબડા જૂથનો હાથ હતો પણ જ્યારે રાજુ સોલંકી જેલમાં હતા ત્યારે તેમને કોઈનો સહકાર મળ્યો નહી તેથી આખુ પ્રકરણ શુ હતું તે રાજુભાઈને ખબર પડી અને હવે બંને પક્ષોએ કાયદાકીય પ્રક્રિયામાં સહકાર આપી આ પ્રકરણને અહીજ પૂરૂ કરવાનું નક્કી કર્યું છે.
આ પણ વાંચો:
Bauxite mineral theft: ખેડાના અમૃતપુરા ગામે 62 હેક્ટર ગૌચરની જમીનમાંથી કોલસો ખોદાશે!









