
Hardik Patel: ગુજરાતમાં 2015ના વર્ષમાં પાટીદારો દ્વારા થયેલા અનામત આંદોલન વખતથી લાગેલા રાજદ્રોહના કેસમાં આખરે સરકારની અરજી ગ્રાહ્ય રાખી સુરતની સેશન્સ કોર્ટે હાર્દિક પટેલ, અલ્પેશ કથીરિયા, વિપુલ દેસાઈ અને ચિરાગ દેસાઈને હવે રાજદ્રોહ કેસમાંથી મુક્ત કર્યા છે.
જેતે વખતે સુરતના અમરોલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા આ કેસને સરકારે પરત ખેંચવા માટે કરેલી અરજીને કોર્ટે ગ્રાહ્ય રાખતા તમામ આરોપીઓનો આ કેસમાંથી સંપૂર્ણ છુટકારો થયો છે.
આ મામલે હાર્દિક પટેલ અને અન્ય આરોપીઓ વતી એડવોકેટ યશવંતસિંહ વાળાએ રજુઆત કરી હતી.સરકારે કેસ પરત ખેંચતા કોર્ટની મંજૂરી બાદ રાજદ્રોહની કાયદાકીય પ્રક્રિયાનો અંત આવ્યો છે.મહત્વનું છે કે રાજદ્રોહ કેસમાં અલ્પેશ કથીરિયા, હાર્દિક પટેલ, વિપુલ દેસાઈ અને ચિરાગ દેસાઈ એમ ચાર આરોપી હતા જે કેસ સરકારે પરત ખેંચવાનો નિર્ણય કરાયો કરતા નામદાર કોર્ટે કેસ વિડ્રો કર્યો હતો.
સરકારે પોતાના વાયદા અને વચનો મુજબ કેસનું સમયાંતરે ઓબ્સર્વેશન કરી કેસ પરત ખેંચ્યો છે.ઉલ્લેખનીય છે કે 2015ના વર્ષમાં પાટીદારો દ્વારા ગુજરાતમાં અનામત આંદોલન થયું હતુ.આંદોલન દરમિયાન પાટીદારોમાં યુવા નેતા તરીકે હાર્દિક પટેલ, ગોપાલ ઈટાલિયા, અલ્પેશ કથરિયા, રેશ્મા પટેલ જેવા નામો જાણીતા બન્યા હતા.
જોકે, આ પાટીદાર અનામત આંદોલન વખતે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા હોય ઈન્ટરનેટ બંધ કરવાની ફરજ પડતી હતી અને પોલીસ સાથે ઘર્ષણ થતું રહેતું હતું તે સમયે પાટીદારો સામે શાંતિ ડહોળવાનો પ્રયાસ તેમજ રાજદ્રોહ સહિત વિવિધ ફોજદારી ધારાઓ હેઠળ ગંભીર ગુનાઓ નોંધવામાં આવ્યા હતા જોકે, ત્યારબાદ પાટીદાર નેતાઓ દ્વારા આ ગુનાઓ પરત ખેંચવાની માંગ થતી રહી છે.
દરમિયાન હવે આંદોલનના 10 વર્ષ બાદ સરકારે કેસ પરત ખેંચતા આંદોલનકારી નેતાઓ હાર્દિક પટેલ, અલ્પેશ કથીરિયા, વિપુલ દેસાઈ અને ચિરાગ દેસાઈને રાજદ્રોહના કેસમાંથી મુક્ત થયા છે.
આ પણ વાંચો:
H3N2 Virus: બ્રિટનથી પાકિસ્તાન પહોંચ્યો H3N2 ‘સુપર ફ્લૂ’નો ખતરનાક સ્ટ્રેન, ભારત માટે કેટલો ખતરો?









