
Hindutva pop hate music report: વર્તમાન રાજકીય વાતાવરણમાં ધ્રુવીકરણની રાજનીતિ વચ્ચે એક અત્યંત ચિંતાજનક પાસું સામે આવ્યું છે, જેમાં ધાર્મિક લઘુમતીઓ ખાસ કરીને મુસ્લિમો અને ખ્રિસ્તીઓ વિરુદ્ધ નફરતનું ઝેર ગીત-સંગીતના માધ્યમથી સમાજના તળિયે પહોંચાડવામાં આવી રહ્યું છે. ‘ધર્મ સંસદ’ ની હેટ સ્પીચ હોય કે પ્રોપેગન્ડા ફિલ્મો, લઘુમતીઓને નિશાન બનાવવાનો સિલસિલો હવે એક નવી અને આક્રમક શૈલીમાં બદલાયો છે, જેને ‘હિન્દુત્વ પોપ’ (H-Pop) નામ આપવામાં આવ્યું છે. આ શૈલી બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયની ‘આનંદમઠ’ જેવી કૃતિઓથી પ્રેરિત ઐતિહાસિક બદલાની ભાવનાને આજના સમયમાં અત્યંત ઉગ્રતા સાથે રજૂ કરે છે. તહેવારો દરમિયાન મસ્જિદો કે અન્ય ધાર્મિક સ્થળોની બહાર જોવા મળતી ઉન્માદી ભીડ પાછળ આ જ નફરતી સંગીતનો મોટો હાથ હોવાનું માનવામાં આવે છે.
‘પ્રોફિટિંગ ફ્રોમ હેટ મ્યુઝિક’: એક ભયાનક રિપોર્ટ
અમેરિકન થિંક ટેંક ‘સેન્ટર ફોર ધ સ્ટડી ઓફ ઓર્ગેનાઈઝ્ડ હેટ’ (CSOH) નો તાજેતરનો રિપોર્ટ ‘પ્રોફિટિંગ ફ્રોમ હેટ મ્યુઝિક’ આ નફરતના કારોબારની ભયાનક તસવીર રજૂ કરે છે. જાન્યુઆરી ૨૦૨૫ થી જાન્યુઆરી ૨૦૨૬ સુધીના ડેટાના આધારે તૈયાર કરાયેલા આ રિપોર્ટમાં ૫૨૩ એવા ગીતોનો અભ્યાસ કરવામાં આવ્યો છે, જે સીધી રીતે હિંસા અને નફરતને પ્રોત્સાહન આપે છે. આ ગીતો યુટ્યુબ, સ્પોટિફાય, એપલ મ્યુઝિક અને મેટા (ફેસબુક) જેવી દિગ્ગજ કંપનીઓના પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે. માત્ર યુટ્યુબ પર જ આ ગીતોને ૧૯૮ મિલિયનથી વધુ વાર જોવામાં આવ્યા છે, જે દર્શાવે છે કે આ કોઈ છૂટીછવાઈ ઘટના નથી, પરંતુ એક સુનિયોજિત અને વ્યવસ્થિત રીતે ચલાવવામાં આવતો નફરતનો વેપાર છે.
નફરતની કમાણી: પ્લેટફોર્મની ભૂમિકા
આ બિઝનેસ મોડલની સૌથી કાળી બાજુ એ છે કે આ પ્લેટફોર્મ્સ પોતે પણ આ નફરતમાંથી કમાણી કરી રહ્યા છે. સિંગર્સ અને તેમને હોસ્ટ કરનાર ડિજિટલ માધ્યમો હિંસાને પ્રોત્સાહન આપતા કન્ટેન્ટ હોવા છતાં જાહેરાતો દ્વારા લાખોની કમાણી કરે છે. આ ગીતોમાં મુઘલોને વિલન તરીકે ચિત્રિત કરીને આજના ભારતીય મુસ્લિમોને ‘ઐતિહાસિક અન્યાયના દોષિત’ ગણાવવામાં આવે છે. રિપોર્ટમાં યુટ્યુબ (૨૧૦), મેટા (૧૦૯), સ્પોટિફાય (૧૦૩) અને એપલ મ્યુઝિક (૧૦૧) પર ઉપલબ્ધ હિંસક ગીતોની યાદી આપવામાં આવી છે. આ પ્લેટફોર્મ્સ પોતાની જ ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરી રહ્યા છે અને એક ચોક્કસ વૈચારિક એજન્ડાને પ્રોત્સાહન આપી રહ્યા છે.
કોડેડ ભાષા અને લઘુમતીઓનું નિશાન
આ ગીતોમાં ‘લવ જેહાદ’, ‘ધર્મ પરિવર્તન’ અને ‘હિન્દુ રાષ્ટ્ર’ના નેરેટિવનો ઉપયોગ હથિયાર તરીકે કરવામાં આવે છે. મુસ્લિમોને ‘સાપ’, ‘ટોપી વાળા’, ‘દેશદ્રોહી’ કે ‘કટવા’ જેવા અપમાનજનક શબ્દોથી સંબોધવામાં આવે છે, જેથી પ્લેટફોર્મના નિયમોથી બચી શકાય અને નફરત પણ ફેલાવી શકાય. રિપોર્ટ મુજબ, યુટ્યુબ ચેનલ ‘સંગમ ધૂન’ જેવા માધ્યમો દ્વારા હિન્દુઓને મુસ્લિમો પર હુમલો કરવા માટે સીધા ઉશ્કેરવામાં આવે છે. આ કોઈ એકલદોકલ ગીત નથી, પરંતુ એક કન્સ્પિરસી થીયરી છે જે મુસ્લિમ મહિલાઓને ‘ટ્રોફી’ તરીકે અને લઘુમતી સમુદાયને ‘ખતરા’ તરીકે રજૂ કરે છે.
જાહેરાતોનો ખેલ: શું બ્રાન્ડ્સ ભાગીદાર છે?
સૌથી વધુ આઘાતજનક બાબત એ છે કે નફરત ફેલાવતા આવા વીડિયોની સાથે RBI, એમેઝોન પ્રાઈમ, ડેલ, ફ્લિપકાર્ટ અને એડોબ જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓની જાહેરાતો બતાવવામાં આવી છે. ‘બાબા કા બુલડોઝર’ કે ‘મુસ્લિમ બેટીઓ કો ઘર લાના હૈ’ જેવા શીર્ષક વાળા વીડિયો સાથે આ બ્રાન્ડ્સની જાહેરાત હોવી તે સાબિત કરે છે કે આ આખું તંત્ર આર્થિક રીતે કેટલું મજબૂત છે. રિપોર્ટ જણાવે છે કે હિંસા માટે ઉશ્કેરણી કરતા ૮૩ ટકા વીડિયો પર જાહેરાતો ચાલે છે અને ઘણી જગ્યાએ યુટ્યુબનું ‘સુપર થેન્ક્સ’ ફીચર પણ સક્રિય છે, જે દર્શકોને આ નફરત ફેલાવનારાઓની આર્થિક મદદ કરવાની તક આપે છે.
ફરિયાદ છતાં કાર્યવાહીનો અભાવ
ઓક્ટોબર ૨૦૨૫ માં જ્યારે ૨૨૫ ગીતો વિશે ફરિયાદ કરવામાં આવી, ત્યારે મે ૨૦૨૬ સુધી માત્ર ૧૮ ગીતો જ દૂર કરવામાં આવ્યા હતા. ૯૨ ટકા હિંસક કન્ટેન્ટ આજે પણ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે. જો કોઈ ચેનલ બંધ કરવામાં આવે તો નવી ચેનલ બનાવી લેવામાં આવે છે. સંદીપ આચાર્ય જેવા ગાયકોના એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ થવા છતાં તેમના ગીતો આજે પણ અન્ય ચેનલો પર ધમધમી રહ્યા છે. આ પ્લેટફોર્મ્સની રિપોર્ટિંગ સિસ્ટમ એટલી જટિલ અને નબળી છે કે સામાન્ય નાગરિક નફરત સામે લાચાર જણાય છે.
શું રવાન્ડા જેવો ભયાનક ઇતિહાસનું પુનરાવર્તન થશે?
ઈતિહાસ સાક્ષી છે કે રવાન્ડા અને મ્યાનમારમાં નરસંહાર પહેલાં ત્યાંના રેડિયો અને મીડિયા દ્વારા આવી જ હિંસક ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. નિષ્ણાતો ચેતવણી આપે છે કે ભારતના આ હિન્દુત્વ પોપ ગીતોનું નેટવર્ક એટલું વ્યાપક બની ગયું છે કે તે ગમે ત્યારે સામૂહિક હિંસાને ભડકાવી શકે છે. જ્યારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સત્તાની ટીકા કરતા કન્ટેન્ટને સેન્સર કરવામાં ઝડપ બતાવે છે, ત્યારે નફરત ફેલાવતા કન્ટેન્ટને સંરક્ષણ અને પ્રોત્સાહન કેમ આપવામાં આવે છે? આ પ્રશ્ન માત્ર નૈતિક નથી, પરંતુ ભારતની સુરક્ષા અને શાંતિ માટે ગંભીર ચેતવણી છે. જો સમય રહેતા આ ડિજિટલ ઝેર પર રોક નહીં લાગે, તો લોકશાહીનું માળખું કાયમ માટે ક્ષતિગ્રસ્ત થઈ શકે છે.
આ પણ વાંચો:







