
India Push-In Deportation: આંતરરાષ્ટ્રીય સરહદો પર માનવ અધિકારોના ધજાગરા ઉડાવતા ગંભીર આરોપો વચ્ચે દિલ્હીનું શાસક તંત્ર હંમેશની જેમ પોતાની જવાબદારીઓમાંથી છટકી રહ્યું છે. ભારત સરકાર નાગરિકોને જબરદસ્તી સરહદ પાર ધકેલી રહી હોવાના બાંગ્લાદેશના સણસણતા આક્ષેપ પર ભારતીય વિદેશ મંત્રાલયે સીધો જવાબ આપવાનું ટાળ્યું છે. શુક્રવારે યોજાયેલી પ્રેસ બ્રીફિંગમાં વિદેશ મંત્રાલયે માત્ર એટલું જ કહીને પલ્લું ઝાડી લીધું કે ગેરકાયદેસર નાગરિકોનું નિર્વાશન (Deportation) એક સ્થાપિત દ્વિપક્ષીય તંત્ર હેઠળ જ થાય છે. સત્તાધીશોનો આ ગોળગોળ જવાબ એવા સમયે આવ્યો છે જ્યારે આગામી થોડા જ દિવસોમાં બંને દેશોના ટોચના સરહદ સુરક્ષા અધિકારીઓની દ્વિપક્ષીય બેઠક નવી દિલ્હીમાં યોજાવાની છે.
કાયદાનો દંભ
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસ્વાલે સરકારી કાયદાઓનો દંભ વેરતા કહ્યું કે ભારતમાં ગેરકાયદેસર રીતે રહી રહેલા તમામ વિદેશીઓ સામે કાર્યવાહી કરવા માટે ચોક્કસ કાયદાઓ અસ્તિત્વમાં છે. તેમણે દાવો કર્યો કે વહીવટી તંત્ર નિર્વાશનની પ્રક્રિયા શરૂ કરતા પહેલાં એક સત્તાવાર વ્યવસ્થાનું પાલન કરે છે, જેમાં શંકાસ્પદ લોકોની ઓળખ કરીને તેમની યાદી ઢાકા મોકલવામાં આવે છે. બાંગ્લાદેશી પક્ષ તરફથી નાગરિકતાની પુષ્ટિ થયા બાદ જ આગળની કાર્યવાહી કરાય છે. પરંતુ, વાસ્તવિકતા એ છે કે ભારતે ૨,૮૬૦ થી વધુ શંકાસ્પદ નાગરિકોની વિગતો ચકાસણી માટે મોકલી છે, જે બાંગ્લાદેશ સરકારે હજુ સુધી પેન્ડિંગ રાખી છે. સરકારી એજન્સીઓ પદ્ધતિસર કામ કરવાનો દાવો કરે છે, પરંતુ જમીની સ્તરે ચિત્ર કંઈક અલગ જ છે.
મંત્રાલયોની ખેંચતાણ
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જ્યારે પ્રવક્તાને સીધો સવાલ પૂછવામાં આવ્યો કે શું લોકોને જબરદસ્તી સરહદ પાર મોકલવા એટલે કે ‘Push-In’ પણ આ સત્તાવાર પ્રક્રિયાનો જ એક ભાગ છે? ત્યારે સરકારી બાબુઓની લાચારી અને આંતરિક ખેંચતાણ છતી થઈ ગઈ હતી. જાયસ્વાલે આ સંવેદનશીલ સવાલનો કોઈ સ્પષ્ટ ઉત્તર આપ્યો નહીં અને પત્રકારોને ગૃહ મંત્રાલયનો સંપર્ક કરવા કહી દીધું. એક મંત્રાલય બીજા મંત્રાલય પર ઢોળીને સંતોષ માની રહ્યું છે, જે દર્શાવે છે કે વિદેશ નીતિ અને આંતરિક સુરક્ષા વચ્ચે સત્તાધારીઓ પાસે કોઈ ઠોસ સમાન વિઝન નથી. જનતા સમક્ષ સત્ય ઉજાગર કરવાને બદલે સરકારી વિભાગો એકબીજાની પાછળ છુપાઈ રહ્યા છે.
બાંગ્લાદેશના આક્ષેપો
બીજી તરફ, બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશ (BGB) એ રોઇટર્સના અહેવાલ મુજબ દાવો કર્યો છે કે તેણે છેલ્લા ૨૪ કલાકમાં ભારતીય સુરક્ષા એજન્સીઓ દ્વારા લોકોને બાંગ્લાદેશમાં ધકેલવાના ૧૦ મોટા પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા છે. BGB એ સરહદના વિવિધ ભાગોમાં આકરી નાકાબંધી કરીને કડક પ્રતિકારની ચેતવણી આપી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની છબી ખરડાય તેવી એક ઘટના ઝેનાઇદહ જિલ્લામાં બની હોવાનો દાવો છે, જ્યાં બીએસએફ (BSF) ના જવાનોએ કથિત રીતે બોર્ડર ગેટ ખોલીને પ્રિઝન વેન (Prison Van) માં ભરેલા ૩૦ થી ૩૫ લોકોને જબરદસ્તી બાંગ્લાદેશ તરફ ધકેલવાનો પ્રયત્ન કર્યો હતો. આ ઘટનાઓ શાસકોની કથની અને કરની વચ્ચેનો મોટો તફાવત દર્શાવે છે.
ચૂંટણીલક્ષી રાજકારણ
આ આખી કવાયત પાછળ સત્તાધારી પક્ષનો રાજકીય એજન્ડા સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. પૂર્વીય અને ઉત્તર-પૂર્વીય ભારતના વિવિધ રાજ્યોમાં મોટી સંખ્યામાં શંકાસ્પદ લોકોની અટકાયત કરવામાં આવી રહી છે. વોટબેંકના રાજકારણ માટે સરહદી તણાવને હવા આપવી તે શાસકોની જૂની ચાલ રહી છે. બાંગ્લાદેશી વહીવટી તંત્ર ચિંતિત છે કે ભારત જે લોકોને ગેરકાયદેસર ગણાવીને સરહદ પાર મોકલે છે, તેમાંથી કેટલાય લોકો પાછળથી ભારતીય નાગરિક અથવા કોઈ ત્રીજા જ દેશના વતની નીકળે છે.
નવી સરકાર અને મંત્રણા
આ ગંભીર અને વિવાદાસ્પદ મુદ્દો ૮ થી ૧૧ જૂન દરમિયાન નવી દિલ્હીમાં યોજાનારી BSF અને BGB ના ડાયરેક્ટર જનરલ સ્તરની વાર્તામાં પ્રમુખતાથી ઉઠશે. આ ઉચ્ચસ્તરીય બેઠકનું નેતૃત્વ બીએસએફના ડીજી પ્રવીણ કુમાર અને બીજીબીના ડીજી મોહમ્મદ અશરફુજ્જમાન સિદ્દીકી કરશે. બાંગ્લાદેશમાં તાજેતરમાં સત્તા પર પરિવર્તન આવ્યું છે અને બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી (BNP) ના નેતૃત્વવાળી નવી સરકાર બન્યા પછી આ પ્રથમ સત્તાવાર બેઠક છે. આ વાર્તામાં કથિત પુશ-ઈન ઉપરાંત સરહદ પર થતી નિર્દોષોની હત્યાઓ, ડ્રગ્સ-હથિયારોની તસ્કરી અને નદીઓના જળ સંચાલન જેવા જૂના વણઉકેલાયેલા પ્રશ્નો પણ ટેબલ પર આવશે, જેના પર ભારતીય શાસકો વર્ષોથી મૌન સેવી રહ્યા છે.
સંબંધોમાં ખટાશ
વર્ષ ૨૦૨૪ માં મોહમ્મદ યુનુસના નેતૃત્વવાળી વચગાળાની સરકાર દરમિયાન થયેલા સત્તા પલટા બાદથી જ બંને પાડોશી દેશોના સંબંધો ઉથલપાથલ ભરેલા રહ્યા છે. તાજેતરના મહિનાઓમાં ઉચ્ચસ્તરીય સંપર્ક ફરી શરૂ કરીને સંબંધોને સ્થિર કરવાના નાટક ભલે કરાતા હોય, પરંતુ સરહદ સંચાલન અને બળજબરીપૂર્વકનું પ્રત્યાવર્તન હજુ પણ સૌથી સંવેદનશીલ અને વિવાદાસ્પદ મુદ્દો બનેલો છે. સત્તામાં બેઠેલા નેતાઓ પોતાની રાષ્ટ્રીય નિષ્ફળતાઓ છુપાવવા અને આંતરિક રાજકારણ ચમકાવવા માટે પાડોશી દેશો સાથેના સંબંધોને દાવ પર લગાવી રહ્યા છે, જેનો ભોગ આખરે સરહદ પર રહેતી સામાન્ય અને લાચાર જનતા જ બને છે.
આ પણ વાંચો:







