
Iran War: ઈસ્લામિક સંગઠન બનાવી તેની આગેવાની લેનાર ઈરાન ઉપર અમેરિકા-ઇઝરાયલે કરેલા હુમલા બાદ શરૂ થયેલા યુદ્ધના આજે સાતમા દિવસે ઇરાનની રેડ ક્રેસન્ટ સોસાયટીએ જણાવ્યું છે કે ઈરાનમાં 3,000થી વધુ મકાનો અને 500થી વધુ દુકાનો તબાહ થઈ ગઈ છે,અમેરિકા અને ઈઝરાયેલે ઇરાનની રાજધાની તેહરાનને સૌથી વધુ ટાર્ગેટ કરી છે.
ઈરાનમાં 14 હોસ્પિટલો અને મેડિસિન સેન્ટરો પણ હુમલાનો ભોગ બન્યા છે,આજે સાતમા દિવસે ઈરાનમાં 1200થી વધુ લોકો માર્યા ગયા છે અનેક લોકો ઘાયલ થયા છે,જ્યારે લગભગ 300 ઈરાની મિસાઈલ લોન્ચર્સ પણ નષ્ટ થઈ ગયા છે. યુદ્ધના કારણે દેશના મોટાભાગના વિસ્તારોમાં વીજળી અને પાણીનો પુરવઠો ખોરવાઈ જતા મુશ્કેલી ઉભી થઇ છે.
ઈરાન યુદ્ધમાં અત્યાર સુધીમાં લગભગ 4.35 લાખ કરોડ રૂપિયાના નુકસાનનો અંદાજ છે. યુદ્ધ શરૂ થયાના પહેલા 24 કલાકમાં જ ભારે સૈન્ય ખર્ચ થયો અને દરરોજ અબજો રૂપિયા ખર્ચ થઈ રહ્યા છે,તે જ સમયે, તેહરાનમાં સતત બોમ્બમારાને કારણે 12 હજાર દર્શકોની ક્ષમતા ધરાવતું આઝાદી સ્ટેડિયમ નાશ પામ્યું છે,બીજી તરફ આ યુદ્ધ શરૂ થયાના 100 કલાકમાં જ અમેરિકાએ લગભગ 3.7 અબજ ડોલર (33 હજાર કરોડ રૂપિયા) ખર્ચ કરી નાખ્યો છે,ઈરાન ઉપર હુમલા કરવા માટે અમેરિકા રોજના લગભગ 891 મિલિયન ડોલર (8 હજાર કરોડ રૂપિયા) ખર્ચ કરી રહ્યું હોવાની વિગતો સામે આવી છે.
જ્યારે ઈઝરાયેલ ઈરાન અને લેબનોન એમ બે મોરચે હુમલા કરીને તબાહી મચાવી રહ્યું છે,ઇઝરાયલી હુમલાઓને કારણે લેબનોનમાં પાંચ લાખ લોકો બેઘર બની ગયા છે,લેબનોનના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, સોમવારથી અત્યાર સુધીમાં ઇઝરાયલ દ્વારા સતત કરવામાં આવી રહેલા હુમલાઓમાં 123 લોકોના મોત થયા છે અને 683 લોકો ઘાયલ થયા છે.
ઇઝરાયલી વાયુસેનાનું કહેવું છે કે આ અભિયાનની શરૂઆતથી અત્યાર સુધીમાં બેરૂતના દહિયા વિસ્તારમાં 26 વખત હવાઈ હુમલા કરવામાં આવ્યા છે,સેનાના જણાવ્યા અનુસાર હિઝબુલ્લાહ વિરુદ્ધ ચાલી રહેલી કાર્યવાહી દરમિયાન દક્ષિણ લેબનોનમાં 4 લાખ 20 હજારથી વધુ લોકોએ પોતાના ઘર છોડી દીધા છે. દહિયા વિસ્તારમાંથી પણ હજારો લોકો નીકળી ગયા છે.
ઇઝરાયલી સેનાના સૂત્રોના હવાલેથી મળતી વિગતો મુજબ ઈઝરાયેલ દ્વારા લેબનોનમાં 500થી વધુ સ્થળો પર હુમલા કરવામાં આવ્યા છે. જેમાં હિઝબુલ્લાહના લડવૈયાઓ, રદવાન ફોર્સના સભ્યો, મિસાઈલ લોન્ચર, કમાન્ડ સેન્ટર અને હથિયારોના ગોદામોને ટારગેટ કરવામાં આવી રહયા છે,આમ ઈરાન અને લેબનોનમાં ઈઝરાયેલના સતત હુમલા ચાલુ છે ત્યારે ઈરાનમાં ઈઝરાયેલ સાથે અમેરિકા પણ સતત હુમલાઓ કરતા જાહેર જીવન અસ્તવ્યસ્ત બની ગયું છે.
વળતા પ્રહારમાં ઇરાને ઈઝરાયેલ ઉપર બેલેસ્ટિક મિસાઇલ છોડી ક્લસ્ટર બૉમ્બ ફેંક્યા હતા જોકે,ઈઝરાયેલે દાવો કર્યો હતો કે તમામ મિસાઇલ હવામાં જ તોડી પાડવામાં આવી હતી,ઇરાને પણ અત્યાર સુધી અમેરિકા અને ઇઝરાયલ સહિત 12 દેશો પર હુમલો કર્યો છે. આ દેશોમાં UAE, કતાર, બહેરીન, જોર્ડન, ઇરાક, કુવૈત, ઓમાન, સાઉદી અરેબિયા, સાયપ્રસ, સીરિયા અને અઝરબૈજાનનો સમાવેશ થાય છે.
અમેરિકી સેનાએ જણાવ્યું કે યુદ્ધમાં અત્યાર સુધીમાં ઈરાનના 30થી વધુ જહાજો નાશ કરવામાં આવ્યા છે ઈઝરાયેલ અને અમેરિકાએ સંયુક્ત કાર્યવાહી હાથ ધરી ઈસ્લામિક દેશોનું લીડર ઇરાનની વિચારધારા તોડી નાખવા જાણે સંયુક્ત અભિયાન હાથ ધરતા અનેક નિર્દોષ લોકો મોતને ભેટ્યા છે અને અબજોનું નુકશાન થઈ રહ્યાનું ચિત્ર સપાટી ઉપર આવી રહ્યું છે.
ઈરાનનું કહેવું છે કે તેમનો પરમાણુ કાર્યક્રમ શાંતિપૂર્ણ હેતુઓ માટે છે, તેમ છતાં ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૬થી ઇઝરાયલ અને અમેરિકાએ ઈરાન પર મોટા પાયે સૈન્ય હુમલા (ઓપરેશન એપિક ફ્યુરી/રોરિંગ લાયન) શરૂ કર્યા છે. આ હુમલાઓ પાછળના કારણો વિશ્લેષકો અલગ અલગ જણાવી રહયા છે જેમ કે દુનિયામાં ઈસ્લામિક વિચારધારા અને સંગઠન બનવું ભવિષ્યનો ખતરો કે અણુબૉમ્બનો ખતરો કે પછી ગમે તે હોય પણ હાલતો અનેક આશાસ્પદ નિર્દોષ માનવ જિંદગીઓ કચડાઈ રહી છે અને અબજો રૂપિયાનો ખર્ચ થઈ રહયો છે તે કડવી વાસ્તવિકતા છે.
આ પણ વાંચો:








